| AI Image |
The Houselisting Process, Census : ભારતમાં વસતી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે ગઈકાલે બુધવારે (7 જાન્યુઆરી, 2026) નોટિફિકેશન જાહેર કર્યું હતું. વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. જેમાં પહેલા તબક્કામાં 1 એપ્રિલથી દેશભરના ઘરની નોંધણી કરાશે. આ કામ કેન્દ્ર સરકારે રજિસ્ટ્રાર જનરલ અને આ વસ્તી ગણતરી કમિશ્નરની કચેરી દ્વારા કરવામાં આવશે. આમ વસ્તી ગણતરી પહેલા ઘરની નોંધણી કરવાની પ્રક્રિયાને લઈને નાગરિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જેમાં ઘરના આકાર, અનેક ઘર હોય તે અને ભાડેથી રહેતા હોય તેવા લોકોના મનમાં અનેક સવાલો છે. ચાલો જાણીએ ઘરની નોંધણીને લઈને ઉદ્ભવેલા કેટલાક સવાલો વિશે.
ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર વાર્ષિક ધોરણે વસ્તી ગણતરી કરે છે. આ વિભાગ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તે માત્ર વસ્તી ગણતરીનું આયોજન જ નથી કરતું, પરંતુ ડેટા એકત્રિત કરવા સહિતની પ્રક્રિયા પણ કરે છે. આ સાથે વસ્તી ગણતરી સંબંધિત તાલીમ અને પ્રકાશનોનું નિરીક્ષણ કરવાનું પણ કામ આ વિભાગનું છે. વિભાગના વર્તમાન કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણ છે. આ કાર્યાલય 1950ના દાયકાથી કાયમી ધોરણે અસ્તિત્વમાં છે અને રાજ્ય-સ્તરીય નિર્દેશાલયો વચ્ચે સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવે છે.
વર્ષ 2027ના વસ્તી ગણતરીની પ્રક્રિયામાં અનેક મહત્ત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ વસ્તી ગણતરી ડિજિટલ સ્વરૂપે થશે. જેમાં ઍપ્લિકેશન, સ્વ-ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે.
પહેલા તબક્કામાં શું થશે?
ભારતની વસ્તી ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવતી એક મુખ્ય વહીવટી અને આંકડાકીય કવાયત છે. જોકે, આ વખતે કોવિડ-19 રોગચાળાને કારણે તેમાં 5-6 વર્ષનો વિલંબ થયો હતો. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘરનું લિસ્ટ અને ગણતરી કરાશે. જે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કમાં વસ્તી ગણતરી કરાશે. જે ફેબ્રુઆરી 2027માં થશે. આ કામગીરીથી દેશભરમાં 30 લાખ લોકોને રોજગારી મળશે.
કેમ પહેલા તબક્કામાં ઘરની નોંધણી કરાશે?
વસ્તી ગણતરીના પહેલા તબક્કામાં ફોકસ દેશભરના ઘરનું લિસ્ટ બનાવવા પર રહેશે. જેથી બીજા તબક્કામાં વસ્તી ગણતરી કરવા માટે એક મજબૂત ફ્રેમવર્ક તૈયાર થઈ શકે. જેથી ખ્યાલ આવે કે દેશમાં કેટલા ઘરો છે અને કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે. ઘરની નોંધણી કરતી વખતે મકાન કાચું છે કે પાકું, પાણી, વીજળી, શૌચાલય સહિતની સુવિધા છે કે નહીં, ઘરમાં કઈ કંપનીનું ટીવી, કાર સહિતની વસ્તુ છે, તેની નોંધ લેવાશે. આ ડેટા સરકારને નીતિ બનાવવા મદદ કરે છે.
વસ્તી ગણતરી રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર તરીકે કામ કરશે
વસ્તી ગણતરી રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર તરીકે કામ કરશે. જે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર(NPR)ને અપડેટ કરવામાં પણ મદદ કરશે. ઘરની યાદી વિના, વસ્તી ગણતરી અધૂરી રહેશે, તેથી તે ઘરે-ઘરે હાથ ધરવામાં આવશે.
પ્રથમ રાઉન્ડમાં શું થશે?
વસ્તી ગણતરી વખતે કર્મચારીઓ લોકોના ઘરે આવશે. તેઓ ઘર વિશે માહિતી એકત્રિત કરવા માટે સવાલનું લિસ્ટ લાવશે. આ કાર્ય 30 દિવસની અંદર પૂર્ણ કરવાનું છે. આ વખતે સરકાર દરેકને તેમના ઘરની માહિતી ઓનલાઈન દાખલ કરવાનો વિકલ્પ આપી રહી છે. આ સુવિધા 15 માર્ચથી વસ્તી ગણતરી સાઇટ પર ઉપલબ્ધ થશે. તમે વસ્તી ગણતરી ઍપ્લિકેશન અથવા પોર્ટલ(https://se.census.gov.in/)ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકાશે. વસ્તી ગણતરી કર્મચારીઓ અને અધિકારીઓ ટેબ્લેટ અથવા ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા દાખલ કરશે, જે રીઅલ-ટાઇમ મોનિટરિંગ માટે કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ ડેટા ગુણવત્તામાં સુધારો કરશે.
વસ્તી ગણતરી સ્ટાફ કઈ-કઈ માહિતી એકત્રિત કરશે?
ઘર કેવું છે? પાકું/કાચું, કેટલાં રૂમ? ઘર માલિકીનું છે કે ભાડાનું. જો ઘર ખાલી હોય, તો તેને ખાલી તરીકે નોંધવામાં આવશે. તે ઘર રહેણાંક, વાણિજ્યિક અથવા મિશ્ર ઉપયોગ માટે છે કે કેમ તે પણ નોંધવામાં આવશે.
સુવિધાઓ: પીવાનું પાણી, વીજળી, શૌચાલય, રસોડું, બળતણ (ગેસ, લાકડું).
સંપત્તિ: ટીવી, રેફ્રિજરેટર, કાર, બાઇક, ઇન્ટરનેટ, વગેરે.
વધુ ઘરો ધરાવતા લોકોનું શું થશે?
વસ્તી ગણતરીનો આ પહેલો તબક્કો ફક્ત ઘરોની ગણતરીનો છે, માલિકોની નહીં. જો તમારી પાસે અનેક ઘરો છે, તો દરેક ઘરને અલગથી સૂચિબદ્ધ કરવામાં આવશે. જો કોઈએ પોતાનું ઘર ભાડે આપ્યું હોય, તો ભાડુઆતની માહિતી એકત્રિત કરવામાં આવશે. જો તે ખાલી હોય તો તેને ખાલી તરીકે દર્શાવવામાં આવશે, પરંતુ ઉપયોગિતા ડેટા હજુ પણ એકત્રિત કરવામાં આવશે. જોકે, વધુ ઘરો હોવા કોઈ સમસ્યા નથી. વસ્તી ગણતરી કર અથવા મિલકત ચકાસણી માટે નથી. તમારા ડેટાનો ઉપયોગ ફક્ત આંકડાકીય હેતુઓ માટે કરવામાં આવશે, વ્યક્તિગત ચકાસણી માટે નથી.
આ પણ વાંચો: કેરળમાં અકસ્માતમાં ભિખારીનું મોત, પેટીમાં 45 લાખ રૂપિયા રોકડા મળ્યાં, કોને મળશે આ રકમ?
તમારા ઘરે કોણ આવશે?
વસ્તી ગણતરી માટે રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક વહીવટીતંત્રના નિયુક્ત કર્મચારીઓ આવશે. જેમાં મોટાભાગે શિક્ષક, આંગણવાડી સુપરવાઇઝર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયત કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમની પાસે સરકારી ઓળખ કાર્ડ અને વસ્તી ગણતરીના ઑથોરાઇઝ લેટર પણ હશે. તમને તેમના ઓળખપત્રો જોવાનો સંપૂર્ણ અધિકાર છે.
જો તમે સહયોગ નહીં કરો તો...?
વસ્તી ગણતરી એક બંધારણીય અને કાનૂની પ્રક્રિયા છે. આમ જાણીજોઈને ખોટી માહિતી આપવી અથવા જાણકારી આપવાનો ઇન્કાર કરવો એ વસ્તી ગણતરી અધિનિયમ 1948 હેઠળ કાયદાકીય ગુનો બને છે. જો તેમાં કોઈ વ્યક્તિએ અસહયોગ કર્યો તો દંડ પણ થઈ શકે છે.
શું વસ્તી ગણતરીનો ડેટા 'કાનૂની દસ્તાવેજ' છે?
વસ્તી ગણતરી બિલકુલ કાનૂની દસ્તાવેજ નથી. તમે વસ્તી ગણતરીની એન્ટ્રી બતાવી શકતા નથી અને કહી શકતા નથી કે સરકારે સ્વીકાર્યું છે કે તમે અહીંના રહેવાસી છો. કોઈ દસ્તાવેજ ચકાસણીની જરૂર નથી.
વસ્તી ગણતરી કરતાં કર્મચારીઓ આવે ને ઘર બંધ હોય તો...?
આ એક ખૂબ જ સામાન્ય અને વ્યવહારુ સ્થિતિ છે. જોકે, આમાં ગભરાવાનું કોઈ કારણ નથી. જો કોઈ ઘર પહેલી વાર બંધ જોવા મળે, તો વસ્તી ગણતરી કર્મચારી ઘર બંધ હોવાની કામચલાઉ નોંધ લેશે. તેઓ ઘણીવાર દરવાજા પર સ્ટીકર, ચોકનું નિશાન અથવા સ્લિપ લગાવશે. તેમજ પાડોશી પાસે નોટિસ છોડી દેવામાં આવે છે. વસ્તી ગણતરી કર્મચારીઓ ફરીથી અને ત્રીજી વખત પણ મુલાકાત લેશે.
વસ્તી ગણતરીના નિયમો અનુસાર, દરેક ઘરની મુલાકાત ઓછામાં ઓછા બે કે ત્રણ વખત અલગ-અલગ સમયે કરવામાં આવે છે. જેમાં સવાર, બપોર અથવા સાંજે એમ ત્રણ સમયે. જેથી ખાતરી કરી શકાય કે કામ કરતા લોકો પણ હાજર છે. જોકે, પાડોશીઓને પૂછપરછ કરીને ઘણીવાર માહિતી એકત્રિત કરવામાં આવે છે. જો કોઈ ઘર લાંબા સમય સુધી બંધ રહે છે, જેમ કે અઠવાડિયા કે મહિનાઓ સુધી તો ઘર ખાલી અથવા અસ્થાયી રૂપે બંધ તરીકે નોંધાઈ શકે છે. કાનૂની સમસ્યાઓ ફક્ત ત્યારે જ ઊભી થાય છે, જો તમે ઇરાદાપૂર્વક હાજર રહેવાનો ઇન્કાર કરો.


