આમિરનાં ત્રીજા લગ્ન પહેલાં જ ફૈસલે પરિવારની માફી માગી લીધી

જાહેરમાં પરિવારની ટીકા મારી મોટી ભૂલ
આમિર સહિત પરિવારે પાગલ ઠેરવી એક વર્ષ કેદમાં રાખ્યો હોવાના આરોપો મૂક્યા હતા
મુંબઈ : પાંચમી જુલાઇએ આમિરખાનના ગૌરી સ્પ્રાટ સાથે લગ્ન છે તે પહેલાં જ ફૈસલખાને પરિવારની માફી માંગી લેતાં આમિરખાન અને તેના પરિવારને હાશ થઇ છે. ફૈસલખાને જાહેરમાં આમિરખાન અને પોતાના પરિવાર સામે જાતજાતના આક્ષેપો કરી તેમની સાથેનો સંબંધ કાપી નાંખ્યો હતો.
ફૈસલખાને એક યુટયુબર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હું સૌ પ્રથમ મારી માતા, મારી બહેન નિખત, સંતોષ અને આમિરની માફી માંગું છું. ગુસ્સા અને પીડાને કારણે હું ઘણી બાબતો બોલી ગયો હતો જે મારે બોલવી જોઇતી નહોતી.ફૈસલે સ્વીકાર્યું હતું કે મારા પરિવારની જાહેરમાં ટીકા કરી એ મારી સૌથી મોટી ભૂલોમાંની એક હતી. હવે હું માનું છું કે એ બધા મુદ્દા જાહેરમાં ચર્ચવાને બદલે વાતચીત કરી ખાનગીમાં ઉકેલવા જોઇતા હતા. ગયા વર્ષે ફૈસલે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે મુઝે કૈદ કર કે રખા એક સાલ,મુઝે પાગલ ગિનાયા ઔર જેજે હોસ્પિટલ મેં મુઝે બીસ દિન રખા ગયા.
આ આક્ષેપો બાદ આમિરખાને એક જાહેર નિવેદન બહાર પાડી પોતાની વ્યથા વ્યક્ત કરી મિડિયાને આ મામલે સંવેદનશીલ અભિગમ અપનાવવા જણાવ્યું હતું. આ નિવેદન બાદ ફૈસલે આમિર અને પરિવાર સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. પણ હવે મામલો ઘરમેળે પતી ગયો છે.









