NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET-UG 2026 Paper Leak : નીટ-યુજી પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં 4 મોટા અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આમાં 2 સંયુક્ત સચિવ અને 2 સંયુક્ત નિયામકનો સમાવેશ થાય છે. NTA એક સરકારી સંસ્થા છે જે દેશમાં NEET, JEE જેવી મોટી પ્રવેશ પરીક્ષાઓ યોજે છે. આ સંસ્થા ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કામ કરે છે. હવે આ સંસ્થામાં સંયુક્ત સચિવ સ્તરના બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ બે સંયુક્ત સચિવની અધિકારી તરીકે નિમણૂક
- પ્રથમ અધિકારી અનુજા બાપટ છે, તેઓ 1998 બેચના ISS એટલે કે ભારતીય સાંખ્યિકીય સેવાના અધિકારી છે.
- બીજા અધિકારી રૂચિતા વિજ છે, તેઓ 2004 બેચના IRS એટલે કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારી છે.
આ બે સંયુક્ત નિયામકની અધિકારી તરીકે નિમણૂક
- પ્રથમ અધિકારી આકાશ જૈન છે, તેઓ IRS (IT) એટલે કે ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (ઇન્કમ ટેક્સ)ના 2013 બેચના અધિકારી છે. તેમને 'લેટરલ શિફ્ટ' એટલે કે એક સરકારી વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી કરવાની પદ્ધતિ દ્વારા NTAમાં સંયુક્ત નિયામક બનાવવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 4 ડિસેમ્બર 2029 સુધી રહેશે.
- બીજા અધિકારી આદિત્ય રાજેન્દ્ર ભોજગઢિયા છે. તેઓ IA&AS એટલે કે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસના 2013 બેચના અધિકારી છે. તેમને પણ લેટરલ શિફ્ટ હેઠળ NTA માં સંયુક્ત નિયામક બનાવવામાં આવ્યા છે અને તેમનો કાર્યકાળ 16 મે 2028 સુધીનો રહેશે. આ નિમણૂક સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ કરવામાં આવી છે.
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ
તેમને કયું પદ મળ્યું અને તેઓ ક્યાં સુધી પદ પર રહેશે?
અનુજા બાપટ અને રૂચિતા વિજને NTAમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. સરકારમાં સંયુક્ત સચિવનું પદ ઘણું મોટું ગણાય છે. તેઓ ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કામ કરશે અને આ બંનેની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવી છે.
આ નિર્ણય કોણે લીધો?
એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ (ACC) દ્વારા ચારેય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ACC સરકારની સૌથી સર્વોચ્ચ સમિતિ છે જે મોટા અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપે છે અને તેમાં વડાપ્રધાનની મુખ્ય ભૂમિકા હોય છે.
નિમણૂકનો આદેશ કોણે જાહેર કર્યો અને કોને મોકલવામાં આવ્યો?
આ આદેશ કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેના પર ડાયરેક્ટર એનીસ કનમની જોયના હસ્તાક્ષર છે. આ આદેશ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીને મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત PMO (વડાપ્રધાન કાર્યાલય), ગૃહ મંત્રીની ઓફિસ, કેબિનેટ સચિવાલય અને અન્ય કેટલાક વિભાગોને પણ આ આદેશની નકલ મોકલવામાં આવી છે.









