Get The App

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ 1 - image

NEET-UG 2026 Paper Leak Case : નીટ-યુજી પરીક્ષાના બાયોલોજી પેપર લીક કેસમાં વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ મૂળ મહારાષ્ટ્રના પૂણેની રહેવાસી એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર વિષયની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. શિક્ષિકા NTA પેનલની હોવાનું અને તે જ પેપર લીકની માસ્ટરમાઇન્ડ હોવાનો પણ ખુલાસો થયો છે.

NTAએ જ શિક્ષિકાની નિમણૂક કરી હતી

સીબીઆઇની તપાસમાં ખુલાસો થયો છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નીટ-યુજી-2026ની પરીક્ષા પ્રક્રિયામાં નિષ્ણાત તરીકે મનીષાની નિમણૂક કરી હતી. તેમને વનસ્પતિશાસ્ત્ર (Botany) અને પ્રાણીશાસ્ત્ર (Zoology) પેપરની જવાબદારી સોંપવામાં આવી હતી.

બંને આરોપીએ ભેગા મળી વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું

તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, મનીષા મંડહરે અને પૂણેની મનીષા વાઘમારએ નીટના વિદ્યાર્થીઓને એકઠા કર્યા હતા. પછી બંનેએ પૂણેના મકાનમાં વિશેષ કોચિંગ ક્લાસ શરૂ કરીને તેઓને માહિતી આપી હતી. મનીષા વાઘમરેની 14 મેએ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા

વિદ્યાર્થીઓને આપેલી માહિતી પેપર સાથે મેળ ખાતી હતી

આરોપીઓએ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને બોટની અને ઝુઓલોજીના સવાલો આપ્યા, કેટલીક વિગતો પણ આપી અને પુસ્તકોમાં ટીકમાર્ક પણ કરાવ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓને આપેલી વિગતોમાંથી મોટાભાગની માહિતી નીટ-યુજી પરીક્ષાના પેપર સાથે મેળ ખાતી હતી.

CBIના દેશભરમાં 6 સ્થળોએ દરોડા

સીબીઆઇએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં છ સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં અનેક દસ્તાવેજો, લેપટોપ, બૅંક સ્ટેટમેન્ટ, મોબાઇલ ફોન સહિત અનેક સામાન જપ્ત કરવામાં આવ્યા છે. હાલ તે સામાનની તપાસ ચાલી રહી છે. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે નીટ-યુજી 2026નું પેપર લીક થયું હોવાની ફરિયાદ કર્યા બાદ સીબીઆઇએ 12 મેએ ફરિયાદ નોંધી હતી. ત્યારપછી સીબીઆઇએ તાત્કાલીક કાર્યવાહી શરૂ કરીને દેશભરમાં દરોડા શરૂ કરી દીધા હતા. અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચો : NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન

અત્યાર સુધીમાં કુલ 9 આરોપીની ધરપકડ

અત્યાર સુધીની તપાસ મુજબ, સીબીઆઇએ દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પૂણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટ કાર્યવાહી પૂરી થયા બાદ આમાંથી પાંચ આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. સીબીઆઇએ કહ્યું છે કે, રસાયણશાસ્ત્ર (Chemistry) અને જીવવિજ્ઞાન (Biology) પેપર લીકના મુખ્ય ગુનેગારો અને વિદ્યાર્થીઓને તેમાં સામેલ કરનારા વચેટીયાઓની ઓળખ કરી લેવાઈ છે. આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને વિશેષ કોચિંગ ક્લાસ આપતા હતા અને તેઓ પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિદ્યાર્થીઓને માહિતી આપતા હતા.

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

આ પહેલા પેપર લીક કેસમાં CBIએ મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ પી.વી. કુલકર્ણી તરીકે થઈ છે, જે કેમિસ્ટ્રીનો લેક્ચરર છે અને NTAની પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી પી.વી. કુલકર્ણી, જે મૂળ લાતૂરનો રહેવાસી છે, તે પૂણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વતી પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો, જેના કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી.

21 જૂને ફરી પરીક્ષા યોજાશે

ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરિતીના આરોપો સામે આવ્યા બાદ, હવે નીટ-યુજીની પરીક્ષા 21 જૂને ફરી યોજવામાં આવશે. અગાઉ પરીક્ષા ત્રીજી મેએ યોજાવાની હતી. 

આ પણ વાંચો : ‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર