US-Iran War, President Donald Trump On Hormuz Strait : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલા બાદ ઈરાન પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. એટલું જ નહીં તેણે વિશ્વ માટે અતિમહત્ત્વના વેપારી માર્ગ હોર્મુઝ જળમાર્ગના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે અનેક દેશોનો વેપાર અટકી ગયો છે. યુદ્ધ શરૂ થયા બાદ ઈરાન હોર્મુઝમાંથી પસાર થનારા જહાજો પર હુમલાઓ કરી રહ્યું છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ જળમાર્ગને લઈ મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે તેલ કંપનીઓને સપાહ આપી છે કે, ‘ડર્યા વગર હોર્મઝ જળમાર્ગનો ઉપયોગ કરો.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ઈરાન વિરુદ્ધ અમેરિકાનું સૈન્ય અભિયાન ચાલુ રહેશે અને જરૂર પડશે તો તેનાથી પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે.
ટ્ર્પના ફરી ઈરાન પર પ્રહાર
મીડિયા સાથે વાત કરતી વખતે ટ્રમ્પે દાવો કર્યો છે કે, હુમલામાં ઈરાની સેનાને મોટું નુકસાન થયું છે. ઈરાને પોતાનું નૌકાદળ ખોઈ દીધું છે, પોતાની એરફોર્સ પણ ગુમાવી દીધી છે અને તેના મોટા નેતાઓના મોત થઈ ગયા છે. અમે ઈચ્છીએ તો તેનાથી પણ મોટી કાર્યવાહી કરી શકીએ છીએ.’ જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, અમેરિકાએ સૈન્ય અભિયાન સમાપ્ત કરવા માટે વધુ શું કરવાની જરૂર છે? તો તેમણે કહ્યું કે, ‘અમે તેવું જ કરતા રહીશું, જે અમે હાલ કરી રહ્યા છીએ અને જોઈશું કે તેનું પરિણામ શું આવે છે.’
‘ડર્યા વગર હોર્મુઝ જળમાર્ગનો ઉપયોગ કરો’
ટ્રમ્પે વિશ્વના અનેક દેશો માટે અતિ મહત્ત્વનો માર્ગ હોર્મુઝ જળમાર્ગ અંગે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેલ કંપનીઓએ ડર્યા વગર આ જળમાર્ગનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે તેનાથી ગભરાવવાની જરૂર નથી.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘ઈરાનનું સમર્થન કરનારા જૂથો દ્વારા અમેરિકન જમીન પર હુમલા થવાની આશંકાની મને વધુ ચિંતા નથી. અમેરિકન સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે અને કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.’ આ દરમિયાન ટ્રમ્પને તહેરાનની મિનાબ શાળામાં હુમલા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તો તેમણે કહ્યું કે, ‘મારી પાસે તે વિશે કોઈ માહિતી નથી.’
આ પણ વાંચો : દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે... યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી
હોર્મુઝમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો
ઉલ્લેખનીય છે કે, મધ્ય-પૂર્વમાં ભારે તણાવ વચ્ચે ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા એક થાઈ કાર્ગો શિપ પર આજે (11 માર્ચ) હુમલો થયો છે. આ શિપ ગુજરાત આવી રહ્યું હતું. રિપોર્ટ મુજબ, જ્યારે શિપ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અજાણ્યા પ્રોજેક્ટાઈલે તેના પર હુમલો કર્યો છે, જેમાં શિપ પર ભીષણ આગ લાગી છે. રિપોર્ટ મુજબ, રેસ્ક્યૂ ઓપરેશન કરીને 20 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લેવાયા છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, મયૂરી નારી નામની શિપ ઓમાનના ઉત્તર દરિયાકિનારાથી લગભગ 11 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે હુમલો કરાયો છે. થાઈલેન્ડ સરકારે પુષ્ટી કરી છે કે, ઘટના બાદ 20 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લેવાયા છે.


