Iran Warns Israel : અમેરિકા અને ઈરાને 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ વિશ્વભરે હાશકારો લીધો છે. જોકે બીજીતરફ લેબેનૉનમાં હુમલા બદલ ઈરાને ઈઝરાયલને ધમકી આપી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે (IRIB) સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, જો ઈઝરાયલ થોડાં જ કલાકોમાં દક્ષિણ લેબેનૉનમાં હુમલા બંધ નહીં કરે તો ઈરાની વાયુસેના અને મિસાઇલ યુનિટ્સ રાજધાની તેલ અવીવમાં બોંબમારો શરૂ કરશે.’
અમે હિઝબુલ્લા પર હુમલા ચાલુ રાખીશુ : ઈઝરાયલ
યુદ્ધવિરામ અંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ‘અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું છે, પરંતુ તે લેબેનૉન પર લાગુ થતું નથી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધના હુમલા બે સપ્તાહ સુધી અટકાવવાનો નિર્ણય લીધો છે, જેનું ઈઝરાયલ સમર્થન કરે છે. યુદ્ધવિરામમાં શરત મૂકવામાં આવી છે કે, ઈરાન તાત્કાલિક હોર્મુઝ જળમાર્ગ ખોલે અને અમેરિકા, ઈઝરાયલ સહિતના હુમલા પણ અટકાવી દે.’ બીજીતરફ ઈઝરાયલી સેનાએ કહ્યું કે, અમારી સેના યુદ્ધમાં પણ લેબેનૉનના લશ્કરી દળ હિઝબુલ્લા વિરુદ્ધ લડાઈ અને જમીન પરની કાર્યવાહી ચાલુ રાખશે.
અમેરિકા-ઈઝરાયલ-ઈરાન વચ્ચે 14 દિવસનું યુદ્ધવિરામ
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે કડક ડેડલાઇન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જાહેરાત કરી છે કે, તેઓ ઈરાન પરના બોમ્બમારો અને હુમલાને બે અઠવાડિયા માટે સ્થગિત કરવા સંમત થયા છે. આ નિર્ણયને વ્યાપક યુદ્ધવિરામ તરફનું પ્રથમ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. હોર્મુઝ જળમાર્ગ તાત્કાલિક ખોલી દેવાનો અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને સ્વીકારી લીધા બાદ યુદ્ધવિરામની જાહેરાત કરાઈ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પણ કહ્યું છે કે, જો ઈરાન પર હુમલા બંધ થશે તો તહેરાન પણ સૈન્ય કાર્યવાહી અટકાવી દેશે. યુદ્ધમાં હિઝબુલ્લાએ ઈરાનને સાથ આપ્યો છે. ત્યારે ઈરાને એવું પણ કહ્યું કે, ઈઝરાયેલે પણ હિઝબુલ્લા વિરુદ્ધના હુમલા રોકવા પડશે.
આ પણ વાંચો : ઈરાનને ખતમ કરવાની ધમકી અને પછી યુદ્ધવિરામ, જાણો છેલ્લી ઘડીએ એવું તો શું થયું
આ પણ વાંચો : 'આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે...', ઈરાન-US યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન


