India Statement on West Asia Ceasefire: અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ હવે ભારતે પ્રતિક્રિયા આપી છે. આ સમજૂતી એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે થોડા કલાકો પહેલા ઈરાનની સભ્યતાને મીટાવી દેવાની ધમકી આપી હતી. અચાનક આવેલા પરિવર્તને દુનિયાભરના નેતાઓને ચોંકાવી દીધા છે. ત્યારે હવે ભારતે મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. ભારતે કહ્યું છે કે, ઉકેલ માટે વાતચીત જરૂરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, "અમે યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે મિડલ ઈસ્ટમાં સ્થાયી શાંતિ તરફ દોરી જશે. જે રીતે અમે અગાઉ સતત હિમાયત કરી છે, તેમ ચાલુ સંઘર્ષનો વહેલી તકે અંત લાવવા માટે તણાવમાં ઘટાડો, સંવાદ અને મુત્સદ્દીગીરી અનિવાર્ય છે. આ સંઘર્ષને કારણે લોકોએ પહેલેથી જ અપાર વેદના ભોગવી છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠો તેમજ વેપાર નેટવર્ક ખોરવાઈ ગયા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે હોર્મુઝ જળમાર્ગ દ્વારા નેવિગેશનની અબાધિત સ્વતંત્રતા અને વૈશ્વિક વાણિજ્યનો પ્રવાહ જળવાઈ રહેશે."


