Iran Oil Crisis : અમેરિકી પ્રતિબંધો છતાં ચીનની સતત ખરીદીને કારણે લાંબા સમય સુધી મજબૂત રહેલું ઈરાનનું અર્થતંત્ર હવે મુશ્કેલીમાં મુકાયું છે. ચીની કંપનીઓએ ઈરાનની મોટી માંગ અને અમેરિકાની કડકાઈને કારણે ઓઈલની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો છે, જેના લીધે ઈરાન ભારે દબાણ હેઠળ આવી ગયું છે. છેલ્લા એક મહિનામાં ઈરાનનું ઓઈલ પ્રોડક્શન 19 ટકા જેટલું ગગડી ગયું છે અને તેના તેલ નિકાસની આવક પર મોટું સંકટ ઊભું થયું છે. ગ્રાહકોને આકર્ષવા માટે ઈરાની ઓઈલ વિક્રેતાઓએ કિંમતોમાં પણ ઘટાડો કરવો પડી રહ્યો છે.
ચીનના ઐતિહાસિક નિર્ણયે ઈરાનનું વધાર્યું ટેન્શન
ઈરાનના કુલ તેલ નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો ખરીદતી ચીનની સ્વતંત્ર 'ટીપોટ રિફાઇનરીઓ' હાલ સતત આર્થિક નુકસાનનો સામનો કરી રહી છે. આ કારણે ચીને ઓઈલ પ્રોસેસિંગ ક્ષમતા અને ખરીદી બંનેમાં ભારે ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. શરૂઆતમાં ચીને આ રિફાઇનરીઓને ઈંધણ ઉત્પાદન ચાલુ રાખવા કહ્યું હતું, પરંતુ વધતા નુકસાનના કારણે પાછળથી આ નિયમોમાં ઢીલ આપી દેવામાં આવી. બીજીતરફ ચીન પાસે હવે રશિયાના સસ્તા ઓઈલનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોવાથી તેના પર ઈરાન પાસેથી જ ઓઈલ ખરીદવાનું કોઈ દબાણ રહ્યું નથી. અમેરિકાએ ચીનની મોટી રિફાઇનરી 'હંગલી પેટ્રોકેમિકલ' પર પ્રતિબંધ મુકતા હવે ચીની ખરીદદારો કોઈ મોટો આર્થિક જોખમ લેવા તૈયાર નથી.
આ પણ વાંચો : પાકિસ્તાની સેનાનો દમનનો દોર ચાલુ રહેતાં Pokમાં કેન્ડલ લાઈટ પ્રોસેશનમાં હજ્જારો જોડાય
સપ્લાયમાં મોટો ઘટાડો અને અમેરિકાની દરિયાઈ નાકાબંધી
મીડિયા રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ઈરાનથી ચીનને થતી ક્રૂડ ઓઈલની સપ્લાય જે 18 લાખ બેરલ પ્રતિ દિવસ હતી, તે મે મહિનામાં સીધી ઘટીને માત્ર 1.6 લાખ બેરલ પ્રતિ દિવસ રહી ગઈ છે. આ ઘટાડો અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ શરૂ થયો છે. નિષ્ણાતોના મતે, આ વખતે અમેરિકાએ માત્ર આર્થિક પ્રતિબંધો જ નથી લગાવ્યા, પરંતુ નૌસેનાની મજબૂત નાકાબંધી કરી છે. ફારસની ખાડીના અન્ય દેશો 'હોર્મુઝ સ્ટ્રેટ' જળમાર્ગ દ્વારા ઓઈલ નિકાસ કરી શકે છે, પરંતુ આ મહિને ઈરાનનું એક પણ ટેન્કર આ માર્ગ પરથી પસાર થઈ શક્યું નથી.
સમુદ્રમાં અટવાયા કરોડો બેરલ તેલના ટેન્કર્સ
કેપ્લરના આંકડા દર્શાવે છે કે, હાલમાં ફારસની ખાડી અને તેની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં અંદાજે 13.2 કરોડ બેરલ તેલ ટેન્કરોમાં અટવાઈ પડ્યા છે. આમાંથી 5.7 કરોડ બેરલ જેટલો મોટો જથ્થો ચીન, સિંગાપોર અને મલક્કા સ્ટ્રેટ નજીક દરિયામાં ઊભેલા જહાજો પર અટવાયેલો છે. નાકાબંધી બાદ આ કોમર્શિયલ જહાજોની અવરજવરમાં 55 ટકા સુધી ઘટી છે.
આ પણ વાંચો : 'પાકિસ્તાન સળગી રહ્યું છે : અસીમ મુનીર પહેલાં તમારૂં ઘર જુઓ, પછી શાંતિદૂત બનો'


