Get The App

પાકિસ્તાની સેનાનો દમનનો દોર ચાલુ રહેતાં Pokમાં કેન્ડલ લાઈટ પ્રોસેશનમાં હજ્જારો જોડાય

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની સેનાનો દમનનો દોર ચાલુ રહેતાં Pokમાં કેન્ડલ લાઈટ પ્રોસેશનમાં હજ્જારો જોડાય 1 - image

- ભારત પરિસ્થિતિ ઉપર બરોબર ધ્યાન રાખે છે : ચિંતાતુર છે

- પાક. સેના સાથેના સંઘર્ષમાં 27નાં મોત થતાં તેમને 'શ્રદ્ધાંજલી' અર્પવા કેન્ડલ માર્ચ યોજાઈ : પાક સેના એલઈટીનો સાથ લે છે

નવીદિલ્હી : પાકિસ્તાનના કબજા નીચેનાં કાશ્મીર (પી.ઓ.કે.)માં બુધવારે રાત્રે હજ્જારો લોકોએ પાકિસ્તાન સેના તરફથી થતા અત્યાચારના વિરોધમાં રાવલકોટથી મુઝફરાબાદ સુધીનું કેન્ડલ લાઈટ પ્રોસેશન કાઢ્યું હતું. આ મીણબત્તી સરઘસ કાઢવા માટે પાકિસ્તાનના કબજા નીચેનાં કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય તેવાં જૂથ જોઈન્ટ આવામી એકશન કમીટીના આદેશથી જનતાએ સ્વૈચ્છિક રીતે કાઢ્યું હતું. વાસ્તવમાં પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે આ જૂથને પ્રતિબંધિત જાહેર કર્યું છે. તેના અગ્રણીઓ તો અત્યારે ભૂગર્ભમાં છે. અને ત્યાંથી આદેશો આપે છે.

બુધવારે સાંજે તે જૂથે જનતાને રાવલકોટના ઈદગાહ મેદાનમાં એકત્રિત થવા આદેશ આપ્યો હતો, અને ત્યાંથી પાસેનાં પી.ઓ.કે.ના કહેવાતા પાટનગર મુઝફરાબાદ સુધી લોકોએ કેન્ડલ માર્ચ યોજવી શરૂ કરી હતી.

આ સરઘસને રોકવા પાકિસ્તાની સેનાએ સુધાન એજ્યુકેશનલ કોન્ફરન્સની ઓફીસની બહાર આવેલા રોડથી છેક મુઝફરાબાદ સુધીનો રોડ ખોદાવી નાખ્યો હતો જેથી આ રાત્રી સરઘસ દરમિયાન પ્રદર્શનકારીઓ પડી પણ જાય, તે બધા અવરોધો અવગણી સરઘસ આગળ વધ્યું હતું. તે અંગેના અનેક વિડીયો પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.

આ જે.એ.એ.સી.એ પાકિસ્તાન સેના દ્વારા કરાયેલા અમાનુષી જુલ્મો સામે વિરોધ પ્રદર્શિત કરવા હામ ભિડી છે. તેની મુખ્ય માગણી તો પીઓકેમાં રખાયેલી ૧૨ અનામત બેઠકો દૂર કરવાની છે. તે ઉપરાંત બેકારી, મોંઘવારી અને ફુગાવો દૂર કરવાની છે.

પાકિસ્તાન કબજા નીચેનાં કાશ્મીરમાં ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૫માં ભારત સાથેનાં યુદ્ધો વખતે આવેલા શરણાર્થીઓ માટે ૧૨ બેઠકો, વિધાનસભામાં અનામત રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં ઠેર ઠેર દેખાવો યોજાયા હતા. તે સામે પાકિસ્તાની સેનાએ અમાનુષ અત્યાચારો ગુજાર્યા હતા. ગોળીબારમાં ૨૦થી વધુનાં મોત થયાં હતાં. તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા આ મીણબત્તી સરઘસ યોજવામાં આવ્યું હતું.

ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સાથે ચિંતાતુર પણ છે.