Entertainment

આશા ભોસલેનું 'મોસાળ' હતું ગુજરાત: ગુજરાતી માતાના સંસ્કારોએ તેમને બનાવ્યા હતા સંગીતના સામ્રાજ્ઞી

By GS Team
12 Apr 20262 mins read
TukuTouch Logo
ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધનથી સમગ્ર દેશ શોકતુર છે, પરંતુ ગુજરાત માટે આ ખોટ વ્યક્તિગત છે. આશાજીનો ગુજરાત સાથેનો નાતો માત્ર પ્રોફેશનલ નહોતો, લોહીનો પણ હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

આશા ભોસલેનું 'મોસાળ' હતું ગુજરાત: ગુજરાતી માતાના સંસ્કારોએ તેમને બનાવ્યા હતા સંગીતના સામ્રાજ્ઞી

Asha Bhosle Gujarat Connection: ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધનથી સમગ્ર દેશ શોકતુર છે, પરંતુ ગુજરાત માટે આ ખોટ વ્યક્તિગત છે. આશાજીનો ગુજરાત સાથેનો નાતો માત્ર પ્રોફેશનલ નહોતો, લોહીનો પણ હતો.

ગુજરાત સાથે લોહીનો સંબંધ

બહુ ઓછા લોકો જાણે છે કે આશા ભોસલે અને લતા મંગેશકરના માતા શેવંતીબેન (લગ્ન પછી શુદ્ધમતી) મૂળ ગુજરાતી પરિવારના હતા. આશાજીના નાના શેઠ હરિદાસ રામદાસ લાડ એક પ્રતિષ્ઠિત ગુજરાતી વેપારી અને  બોમ્બે પ્રેસિડેન્સી વખતના થાલનેરના (હવે ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્રમાં) જમીનદાર હતા 

આ જ કારણ છે કે આશાજીના ઉચ્ચારણમાં જે ગુજરાતી લહેકો અને મીઠાશ હતી તે તેમને વારસામાં મળી હતી. બાળપણમાં તેમણે તેમની નાની અને મામા પાસેથી ગુજરાતી લોકગીતો અને હાલરડાં સાંભળ્યા અને શીખ્યા હતા.

આ પણ વાંચો: 'માડી તારું કંકુ ખર્યું' થી 'છાનું રે છપનું' સુધી: આશા ભોસલેએ ગાયેલા એવરગ્રીન ગુજરાતી ગીતો, જે દરેકના હૈયે વસેલા છે

અવિનાશ વ્યાસ સાથેની અમર જોડી

ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મોમાં આશાજીનો પ્રવેશ સંગીતકાર અવિનાશ વ્યાસ દ્વારા થયો હતો. અવિનાશભાઈ અને આશાજીની જોડીએ ગુજરાતી સંગીતને સુવર્ણકાળ આપ્યો. 'માડી તારું કંકુ ખર્યું' હોય કે 'છાનું રે છપનું', આ જોડીએ એક પછી એક હિટ ગીતોની હારમાળા સર્જી હતી. આશાજી અવિનાશભાઈને હંમેશા મોટાભાઈનું સન્માન આપતા.

ગુજરાતી અસ્મિતા અને ભોજન પ્રત્યેનો પ્રેમ

આશાજી ગર્વથી કહેતા કે તેમને ગુજરાતી સંસ્કૃતિ અને ખાણી-પીણી ખૂબ જ પ્રિય છે. મુંબઈમાં રહેતા હોવા છતાં તેમના ઘરે અવારનવાર ગુજરાતી વાનગીઓ બનતી. તેઓ જ્યારે પણ ગુજરાતમાં કાર્યક્રમ માટે આવતા ત્યારે ચાહકો સાથે ગુજરાતીમાં વાત કરવાનો આગ્રહ રાખતા અને ગુજરાતીઓની મહેમાનગતિના હંમેશા વખાણ કરતા.

ગરબાના સંગીતમાં ક્રાંતિ

ગુજરાતનો પ્રાણ ગરબા છે, અને આશાજીએ તેને નવો આયામ આપ્યો. છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો.., એકે લાલ દરવાજે તંબુ તોણીયા રે લોલ..સોના વાટકડી રે.., તારા ફળીયામાં પગ નહીં મેલુ..., ક્યાં રમી આવ્યા રાસ...જેવા ગરબા આજે પણ નવરાત્રીના ગ્રાઉન્ડ પર ગુંજે ત્યારે ખબર પડે છે કે આશાજીએ ગુજરાતી લોકસંગીતને કેટલું જીવંત રાખ્યું છે.

કલાકારથી વધીને સંબંધ

આશાજી માટે ગુજરાત માત્ર એક રાજ્ય નહોતું, પણ તેમનું મોસાળ હતું. તેમણે અનેક સામાજિક કાર્યક્રમો અને ચેરિટી શો દ્વારા ગુજરાતની જનતા સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

આશા ભોસલેના નિધનથી ગુજરાતી સંગીતનો એક મજબૂત સ્તંભ ધરાશાયી થયો છે. અવાજ ભલે શાંત થયો હોય, પણ તેમની 'ગુજરાતી મીઠાશ' પેઢીઓ સુધી ગુંજતી રહેશે.

આ પણ વાંચો: સંગીતની ‘આશા’ અમર થઈ: સિંગર આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોકનું મોજું