Entertainment

મુન્ના-સર્કિટના ચાહકો માટે ગુડ ન્યૂઝ, રાજકુમાર હિરાણીએ કર્યું કન્ફર્મ, બનશે 'મુન્નાભાઈ MBBS-3'

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં 'મુન્નાભાઈ 3' ફિલ્મની પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે. રાજકુમાર હિરાણીએ સંજય દત્ત અને અરશદ વારસી સાથેની આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવાની પુષ્ટિ કરી છે. સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે, પરંતુ હિરાણી ઉત્તમ ગુણવત્તા જાળવવા પ્રતિબદ્ધ છે. મુન્ના-સર્કિટની જોડી ફરી મોટા પડદે જોવા મળશે, જે ચાહકો માટે ખુશીના સમાચાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુન્ના-સર્કિટના ચાહકો માટે ગુડ ન્યૂઝ, રાજકુમાર હિરાણીએ કર્યું કન્ફર્મ, બનશે 'મુન્નાભાઈ MBBS-3'

Munnabhai Three Is Not Cancelled : સંજય દત્ત અને અરશદ વારસીને મુન્ના-સર્કિટના રોલમાં જોયાને ઘણો સમય વીતી ગયો છે. પરંતુ હવે આ બંનેની સુપરહિટ જોડી ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે. ડાયરેક્ટર રાજકુમાર હિરાણીએ કન્ફર્મ કર્યું છે કે, તેઓ 'મુન્નાભાઈ ૩' ફિલ્મ બનાવશે, જેની સ્ક્રિપ્ટ પણ લગભગ તૈયાર છે. ડાયરેક્ટર રાજકુમાર હિરાણીએ વર્ષ 2004માં સંજય દત્ત અને અરશદ વારસીને લઈને ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ' બનાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવવાની સાથે લોકોના દિલમાં પણ ખાસ જગ્યા બનાવી હતી. ત્યારબાદ, મુન્નાભાઈને એક ફ્રેન્ચાઈઝીમાં બદલવામાં આવી, અને વર્ષ 2006માં 'લગે રહો મુન્નાભાઈ' ફિલ્મ રિલીઝ થઈ.

મુન્નાભાઈ 3 પર આવ્યું મોટું અપડેટ

આ બંને ફિલ્મો ખૂબ મોટી સક્સેસ સાબિત થઈ હતી. ફિલ્મમાં મુન્ના-સર્કિટની જોડી એક મિસાલ બની ગઈ, અને રાજકુમાર હિરાણીના ખૂબ વખાણ થયા. આટલા વર્ષોમાં આ ફિલ્મના ત્રીજા પાર્ટની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે, પરંતુ તે હજુ સુધી બની નથી. મુન્નાભાઈ ફિલ્મનો બીજો પાર્ટ આવ્યાને 20 વર્ષ વીતી ગયા છે, છતાં તેના ત્રીજા પાર્ટ પર હજુ સુધી કોઈ પાકું અપડેટ આવ્યું નહોતું.
સંજય દત્ત અને અરશદ વારસી ઘણી વખત કહી ચૂક્યા છે કે, રાજકુમાર હિરાણી મુન્નાભાઈ 3ની 2-3 સ્ક્રિપ્ટ બનાવીને બેઠા છે. એવામાં ઘણા લોકોના મનમાં એવું ઘર કરી ગયું હતું કે, કદાચ હવે આ ફિલ્મ ક્યારેય નહીં બને. પરંતુ હવે ખુદ રાજકુમાર હિરાણી અને અરશદ વારસીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે, અને જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ પર હજુ પણ કામ ચાલુ છે.

કેમ નથી બની રહી મુન્નાભાઈ 3?

રાજકુમાર હિરાણીએ કહ્યું કે 'જો માત્ર ઇન્ટરવલ સુધીની જ સ્ટોરી બનાવવાની હોય, તો હું અત્યારે જ પાંચ મુન્નાભાઈ ફિલ્મ બનાવી શકું તેમ છું. કારણ કે તે પછીની સ્ટોરી મારી પાસે નથી. સાચું કહું તો હું વધુ એક ફિલ્મ બનાવવા માંગું છું. મારી જગ્યાએ બીજું કોઈ હોત તો કહેતુ કે, કોઈ પણ સ્ક્રિપ્ટ લખી નાખો, ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળશે અને ખૂબ કમાણી થશે. પરંતુ હું એવું કરવા નથી માંગતો. અમે બે શાનદાર ફિલ્મો બનાવી છે. જો મારો હેતુ માત્ર પૈસા કમાવવાનો હોત, તો અત્યાર સુધીમાં હું ચાર-પાંચ ફિલ્મો બનાવી ચૂક્યો હોત. નવી ફિલ્મનું સ્તર ઓછામાં ઓછું અગાઉની ફિલ્મો જેટલું જ સારું હોવું જોઈએ. બસ આ જ એ જગ્યા છે, જ્યાં આવીને હું અટકી જાઉં છું.'

અરશદ વારસીએ ડાયરેક્ટરની વાત પર ઉમેર્યું કે, તેમણે મુન્નાભાઈ ૩ ફિલ્મ માટે લખાયેલી કેટલીક સ્ક્રિપ્ટ વાંચી છે, જે ખરેખર તેમને ખૂબ ગમી હતી. પરંતુ તે હજી પૂરી થઈ શકી નથી, કારણ કે રાજકુમાર હિરાણી અને રાઈટર અભિજાત જોશી કોઈને કોઈ સ્ટેજ પર આવીને અટકી જાય છે. ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, તેમના પર ફ્રેન્ચાઈઝીની વેલ્યુ જાળવી રાખવાનું દબાણ છે, જેમાં તેઓ કોઈ કસર છોડવા માંગતા નથી.