Chhota Udaipur

વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલ્યા: છોટા ઉદેપુરના બે ડેમમાં પાણી વધતાં સિંચાઈની ચિંતા થઈ દૂર

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે સુખી અને રામી ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રામી ડેમ 3 દિવસમાં 62.95% ભરાઈને 82.25% થયો, જ્યારે સુખી ડેમ 83.06% ભરાયો. પાણીની આવકથી ખેડૂતો ખુશ છે, રવિ અને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળવાની આશા જીવંત બની છે. તંત્રએ પાણી છોડી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલ્યા: છોટા ઉદેપુરના બે ડેમમાં પાણી વધતાં સિંચાઈની ચિંતા થઈ દૂર

Chhota Udepur Sukhi Rami Dam Water Level: છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદની અસર હવે જિલ્લાના મુખ્ય જળાશયો પર જોવા મળી રહી છે. સુખી અને રામી ડેમમાં નોંધપાત્ર પ્રમાણમાં પાણીની આવક થતાં બંને ડેમના જળસંગ્રહમાં મોટો વધારો થયો છે. ડેમોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રવિ અને ઉનાળુ પાક માટે સિંચાઈના પાણીની ચિંતા કંઈક અંશે દૂર થશે તેવી આશા બંધાઈ છે.

સુખી અને રામી ડેમમાં પાણીની આવક વધી

જિલ્લા ઉપરાંત મધ્યપ્રદેશના ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે રામી ડેમમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જળસંગ્રહમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. ત્રણ દિવસ અગાઉ રામી ડેમનું જળસ્તર 189.90 મીટર હતું અને ડેમ માત્ર 19.30 ટકા ભરાયેલો હતો. પરંતુ સતત પાણીની આવકને કારણે આજે ડેમનું જળસ્તર વધીને 195.40 મીટર થયું છે અને જળસંગ્રહ સીધો 82.25 ટકા સુધી પહોંચી ગયો છે. માત્ર ત્રણ દિવસમાં જ ડેમના જળસંગ્રહમાં 62.95 ટકાનો વધારો નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

image.png

બીજી તરફ, જિલ્લાના મહત્ત્વના સુખી ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ રહેતા જળસંગ્રહમાં વધારો નોંધાયો છે. અગાઉ 77.19 ટકા રહેલો જળસંગ્રહ હવે વધીને 83.06 ટકા થયો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા બે વખત પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે પણ અગાઉથી સૂચના આપવામાં આવી હતી.

ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા

સુખી અને રામી બંને ડેમમાં પાણીનો જથ્થો વધતા જિલ્લાના હજારો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા જીવંત બની છે. જિલ્લામાં મુખ્યત્ત્વે મકાઈ, ડાંગર, તુવેર, સોયાબીન સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદ અને ડેમોમાં થયેલા જળસંગ્રહના કારણે ખેડૂતોમાં નવા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે પીવાના પાણીની દ્રષ્ટિએ પણ લાભદાયી સાબિત થશે.

sssss.png

આ પણ વાંચો: સુરતમાં પૂર અને વાવાઝોડા બાદ પશુઓ પર જોખમ: રોગચાળો અટકાવવા 12 ખાસ ટીમો તૈનાત, રસીકરણ અને કૃમિનાશક દવાનું વિતરણ શરૂ

આ વર્ષે મોડ઼ો પણ સારો વરસાદ અને ડેમોમાં થયેલી પાણીની આવકને કારણે ખેતી માટે પૂરતું પાણી મળશે તેવી આશા છે. ડેમ ભરાતા ખેડૂતોને મોટી રાહત મળી છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે. રામી ડેમમાં માત્ર ત્રણ દિવસમાં 62.95 ટકાનો વધારો અને સુખી ડેમમાં પણ 83.06 ટકા સુધી પહોંચેલો જળસંગ્રહ આગામી દિવસોમાં જિલ્લાના કૃષિ ક્ષેત્ર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. જો વરસાદનો આ જ ક્રમ યથાવત રહેશે તો બંને ડેમ સંપૂર્ણ ભરાવાની શક્યતા પણ નકારી શકાય નહીં.