અમદાવાદ: મેટ્રો કોર્ટ પરિસરમાં જ આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ, ભરણપોષણના કેસથી કંટાળી ભર્યું પગલું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Metro Court Self Immolation Attempt: અમદાવાદના ઘી કાંટા ખાતે આવેલા રાજ્યની સૌથી મોટા મેટ્રોપોલિટન કોર્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુરુવારે(20 ઓગસ્ટ) સવારે 11 વાગે ભરણપોષણના રિકવરી વોરંટ સંદર્ભે 54 વર્ષીય પરાગભાઇ શાહે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે હાજર પક્ષકારોને અને વકીલોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે, સદનસીબે એક નોટરીએ પાણી છાંટતા આગ બુઝાઈ ગયી હતી, ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
મેટ્રો કોર્ટ પરિસરમાં જ આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
આ બનાવની જાણ થતાં કારંજ પોલીસ સ્ટેશનના પી.આઈ, એસ.પી સહિતનો સ્ટાફ કોર્ટ પરિસરમાં દોડી આવ્યો હતો. પોતાના શરીર પર આંચ આપી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પરાગ શાહની તબિયત સારી છે.
આ પણ વાંચો: અમદાવાદ: છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના વિવાદમાં યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ
એક એડવોકેટ કમ નોટરીએ જણાવ્યું હતું કે, 'ગ્રાઉન્ડ ફ્લોરની સીડી પાસે તેઓ તેમના ટેબલ પર બેઠા હતા ત્યારે 11 વાગે પરાગભાઇ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપતા ભડકો થયો હતો. આગ લાગતા જ મારી પાસેની પાણીની બોટલથી પાણીનો મારો કર્યો હતો. આગના કારણે દાજી ગયેલા પરાગભાઈ દોડીને પહેલા માળે જઈ પટકાયા હતા. તાત્કાલિક ધોરણે અન્ય વકીલે 108 બોલાવી હતી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.'
સૂત્રોના જણાવ્યા મુજબ, પરાગ શાહની સામે તેમની પત્ની ફાલ્ગુની શાહે કોર્ટે નંબર-19માં ઘરેલું હિંસાચારનો કેસ કરેલો છે. જેમાં ભરણપોષણની રિકવરીનો વોરંટ ચાલુ હતું. 21 જુલાઇ 2025થી 20 ઓગસ્ટ 2026 સુધીની રિકવરી બાકી છે. કારંજ પોલીસે નજરે જોનાર અને પાણીનો છંટકાવ કરનાર અશોક પરમારની પૂછપરછ કરી જગ્યાનું પંચનામુ કર્યું હતું અને પુરાવા રૂપે સળગી ગયેલા શર્ટ લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.









