Surat

દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં ખોરાક મળી રહે તે માટે સુરતના જંગલોમાં 50 ચિત્તલ છોડાયા

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત વન વિભાગે માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અનોખી પહેલ કરી છે. સાસણ ગીરથી કુલ 50 ચિત્તલ (સ્પોટેડ ડીયર) લાવીને માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા છે. મે અને જૂનમાં 3 તબક્કામાં આ સ્થાનાંતરણ થયું. વનમંત્રી અર્જુન મોઢવાડિયાના મતે, આ દીપડા જેવા હિંસક પ્રાણીઓને કુદરતી ખોરાક પૂરો પાડી પર્યાવરણીય સંતુલન જાળવવાનો લાંબાગાળાનો પ્રયાસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં ખોરાક મળી રહે તે માટે સુરતના જંગલોમાં 50 ચિત્તલ છોડાયા

Surat Forest Department Releases Spotted Deer: દક્ષિણ ગુજરાતમાં દીપડા જેવા હિંસક વન્યપ્રાણીઓને જંગલમાં જ તેનો કુદરતી ખોરાક મળી રહે અને માનવ-વન્યજીવ વચ્ચેનું ઘર્ષણ અટકે તેવા હેતુથી વન વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. સુરત વન વિભાગ દ્વારા તાજેતરમાં સાસણ ગીરથી કુલ 50 ચિત્તલ (સ્પોટેડ ડીયર) લાવીને માંડવીના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા છે.

મે અને જૂન મહિના દરમિયાન ત્રણ તબક્કામાં કરાયું સ્થાનાંતરણ

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષના મે અને જૂન માસ દરમિયાન તબક્કાવાર રીતે આ તૃણાહારી પ્રાણીઓને માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા 23મી મેના રોજ 21 ચિત્તલ, ત્યારબાદ 18મી જૂને 16 અને 24મી જૂને અન્ય 13 ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યાં. આમ કુલ 50 ચિત્તલને સાસણ ગીરથી સુરત જિલ્લાના માંડવી વન વિસ્તારમાં સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.

પર્યાવરણીય સંતુલન જાળવવાનો લાંબા ગાળાનો પ્રયાસ: મંત્રી અર્જુન મોઢવાડિયા

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'જંગલમાં દીપડા જેવા વન્યપ્રાણીઓને સરળતાથી કુદરતી શિકાર ઉપલબ્ધ થાય તે માટે આ પ્રયાસ કરાયો છે. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવેલું આ સ્થાનાંતરણ, યોગ્ય વન વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધારીને પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવાનો રાજ્ય સરકારનો એક લાંબા ગાળાનો પ્રયાસ છે.'

બીજી તરફ, વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન જયપાલ સિંહે ઉમેર્યું હતું કે આ પહેલ માંડવી વન રેન્જમાં અગાઉ હાથ ધરાયેલા સંરક્ષણ કાર્યોને વધુ મજબૂત બનાવે છે. સ્થાનિક સ્તરે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા માટે વન વિભાગ દ્વારા એક ચિત્તલ બ્રીડિંગ સેન્ટર (સંવર્ધન કેન્દ્ર) પણ કાર્યરત કરવામાં આવ્યું છે.

કેમેરા ટ્રેપ્સ અને ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા સઘન મોનિટરિંગ

ચિત્તલને જંગલમાં મુક્ત કર્યા બાદ તેના અસ્તિત્વ અને આરોગ્યની માહિતી મેળવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સમર્પિત ફોરેસ્ટ ગાર્ડ્સ અને પ્રશિક્ષિત ટ્રેકર્સ દ્વારા સતત ફિલ્ડ મોનિટરિંગ. હરણોની હિલચાલ, રહેઠાણનો ઉપયોગ અને સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે વ્યૂહાત્મક સ્થળોએ કેમેરા ગોઠવાયા.

વન અધિકારીઓના મતે, વિજ્ઞાન આધારિત વન્યજીવ વ્યવસ્થાપનથી કુદરતી શિકારનો આધાર મજબૂત થશે, જેનાથી જૈવવિવિધતાનું સંરક્ષણ થશે અને દક્ષિણ ગુજરાતમાં માનવ-પ્રાણી સંઘર્ષની ઘટનાઓમાં મોટા પાયે ઘટાડો થશે.