Get The App

ટીમમાંથી આઉટ અને કેપ્ટન્સી પણ ગઈ... હવે સૂર્યકુમારે 36 બોલમાં 72 રન ફટકારીને સિલેક્ટર્સને આપ્યો જવાબ!

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
ટીમમાંથી આઉટ અને કેપ્ટન્સી પણ ગઈ... હવે સૂર્યકુમારે 36 બોલમાં 72 રન ફટકારીને સિલેક્ટર્સને આપ્યો જવાબ! 1 - image

SuryaKumar Answers with Bat: ભારતીય T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ અને કેપ્ટનપદ ગુમાવ્યા પછી સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મેદાન પર પોતાના બેટથી જોરદાર જવાબ આપ્યો છે. T20 મુંબઈ 2026 ટૂર્નામેન્ટમાં 'ટ્રાયમ્ફ્સ નાઇટ્સ એમએનઈ' (Triumphs Knights MNE) તરફથી રમતા સૂર્યકુમારે 'એમએસસી મરાઠા રોયલ્સ' સામે માત્ર 36 બોલમાં અણનમ 72 રનની વિસ્ફોટક અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેની આ તોફાની રમતના આધારે ટીમે 6 વિકેટે શાનદાર જીત નોંધાવીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે.

ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસની આગામી સીરિઝ માટે જાહેર કરાયેલી ભારતીય T20 ટીમમાં સ્થાન ન મળ્યા બાદ સૂર્યકુમારે કમબેક કરતા સાબિત કરી દીધું કે આ ફોર્મેટમાં તેનો દબદબો હજુ પણ યથાવત છે. 35 વર્ષીય આ બેટ્સમેને અગાઉની મેચમાં પણ નવા ભારતીય T20 કેપ્ટન શ્રેયસ અય્યરની ટીમ 'સોબો મુંબઈ ફાલ્કન્સ' સામે 24 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી, જોકે તે મેચમાં તેની ટીમનો પરાજય થયો હતો.

મુશ્કેલ રનચેઝ દરમિયાન સંભાળી ઇનિંગ્સ

લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટ્રાયમ્ફ્સ નાઇટ્સ એમએનઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે શરૂઆતમાં જ મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ પાંચમી ઓવરમાં જ બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવી ગયો હતો.

સૂર્યકુમારે મેદાન પર ઉતરતાની સાથે જ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારી પોતાના આક્રમક ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ત્યાર પછીની ઓવરમાં શ્રેયસ ગુરવની બોલિંગ પર સતત ત્રણ ચોગ્ગા ફટકારી તેણે વિરોધી ટીમ પર દબાણ લાવી દીધું હતું. ત્યારબાદ સૂર્યકુમારે નૂતન કુમાર ગોયલ સાથે મળીને ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંને બેટ્સમેનોએ સંયમ અને આક્રમકતાનું અદભુત સંતુલન જાળવીને ટીમનો સ્કોર 12મી ઓવરમાં 100 રનને પાર પહોંચાડ્યો હતો.

માત્ર 29 બોલમાં ફિફ્ટી

સૂર્યકુમાર યાદવે માત્ર 29 બોલમાં પોતાની તોફાની અડધી સદી પૂર્ણ કરી લીધી હતી. બીજી તરફ સાથી બેટ્સમેન નૂતન ગોયલે પણ શાનદાર રમત બતાવી 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. બંને વચ્ચેની આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીએ મેચનું આખું ચિત્ર બદલી નાખ્યું હતું.

15મી ઓવરમાં અથર્વ ભોસલેએ નૂતન ગોયલને 56 રને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ત્યારબાદ જયેશ પોખરે પણ આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં મેચ ટ્રાયમ્ફ્સ નાઇટ્સના સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગઈ હતી. અંતે સૂર્યકુમાર યાદવે વિજયી ચોગ્ગો ફટકારી મેચનો અંત લાવ્યો હતો. ટીમે 4 ઓવર બાકી રહેતાં જ લક્ષ્યાંક હાસિલ કરી લીધો હતો, જેના કારણે તેનો નેટ રન રેટ પણ ઘણો સુધર્યો છે.

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ વહેંચીને જીત્યું દિલ

શાનદાર બેટિંગ બદલ સૂર્યકુમાર યાદવને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તેણે આ સન્માન માત્ર પોતાની પાસે રાખવાને બદલે ટીમના યુવા બોલર સિલ્વેસ્ટર ડી’સૂઝા સાથે વહેંચ્યું હતું. ડી’સૂઝાએ આ મેચમાં ઘાતક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી અને વિરોધી ટીમને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યકુમારના આ ખેલદિલી પૂર્વકના નિર્ણયની સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો: નજર સૂર્યવંશી પર હતી પણ શ્રીલંકા સામે સરપ્રાઇઝ આપી ગયો આ ખેલાડી, છેલ્લી ઘડીયે એન્ટ્રી કરીને ફટકારી સદી!

T20 મુંબઈ 2026 ટૂર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી રમેલી 4 ઇનિંગ્સમાં 143 રન બનાવ્યા છે, જેમાં તેમનો સરેરાશ 47.67 અને સ્ટ્રાઈક રેટ 185.71નો રહ્યો છે. તે હાલ ટૂર્નામેન્ટના ટોચના રનસ્કોરરોની યાદીમાં 6ઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. હવે ટ્રાયમ્ફ્સ નાઇટ્સ એમએનઈનો આગામી મુકાબલો 'ઈગલ ઠાણે સ્ટ્રાઈકર્સ' સામે રમાશે, જે ટીમ માટે ‘કરો અથવા મરો’ સમાન રહેશે.