Ruturaj Gaikwad Scores Century: ભારત-એ અને શ્રીલંકા-એ વચ્ચે રમાયેલી ટ્રાય નેશન સીરિઝની પ્રથમ મેચમાં ક્રિકેટપ્રેમીઓની નજર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પર ટકેલી હતી. સૌકોઈ તેની પાસેથી ધમાકેદાર ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા હતા, પરંતુ વૈભવ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મેચમાં અચાનક ચર્ચાનું કેન્દ્ર ઋતુરાજ ગાયકવાડ બની ગયો હતો. ઇજાગ્રસ્ત રિયાન પરાગના સ્થાને છેલ્લી ઘડીયે ટીમમાં સામેલ કરાયેલા વાઈસ કેપ્ટન ગાયકવાડે જવાબદારીપૂર્વક બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી અને ભારત-એને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.
શ્રીલંકામાં રમાઈ રહેલી આ ટ્રાય નેશન ‘એ’ સીરિઝની પ્રથમ મેચની તમામ લાઇમલાઇટ ઋતુરાજ ગાયકવાડે પોતાના નામે કરી લીધી હતી. ગાયકવાડે 114 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 88.60ની રહી હતી.
શરૂઆતી આંચકા બાદ પ્રેશરમાં આવી ગઈ હતી ટીમ
દાંબુલાના રંગિરી દાંબુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત-એની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઝટકો માત્ર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના રૂપમાં લાગ્યો હતો. વૈભવ પાસેથી મોટી ઇનિંગ્સની આશા હતી અને તેણે શરૂઆતમાં કેટલાક આકર્ષક શોટ્સ પણ રમ્યા હતા, પરંતુ તે 12 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
વૈભવ આઉટ થયા બાદ વિકેટકીપર બેટ્સમેન પ્રભસિમરન સિંહ પણ માત્ર 2 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. પરિણામે ભારત-એનો સ્કોર માત્ર 16 રનમાં 2 વિકેટ થઈ ગયો હતો અને ટીમ ભારે પ્રેશરમાં આવી ગઈ હતી.
ગાયકવાડ અને તિલક વર્મા વચ્ચે 150 રનની ભાગીદારી
આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડે પહેલા પ્રિયાંશ આર્ય સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. પ્રિયાંશે 32 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. પ્રિયાંશ આઉટ થયા બાદ ગાયકવાડને કેપ્ટન તિલક વર્માનો મજબૂત સાથ મળ્યો હતો અને બંનેએ મળીને શ્રીલંકન બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો.
ગાયકવાડ અને તિલક વર્મા વચ્ચે ચોથી વિકેટ માટે 185 બોલમાં 150 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જે ભારત-એની ઇનિંગ્સનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. કેપ્ટન તિલક વર્માએ અત્યંત સંયમપૂર્ણ બેટિંગ કરતાં 97 બોલમાં 60 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ભારત-એ દ્વારા કરવામાં આવ્યો 277 રનનો સ્કોર
મેચની અંતિમ ઓવરોમાં સુર્યાંશ શેડગેએ 14 બોલમાં અણનમ 26 રન અને આયુષ બદોનીએ 18 બોલમાં 24 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. આ બંને બેટ્સમેનોના લોઅર-ઓર્ડર કન્ટ્રીબ્યુશનના કારણે ભારત-એની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 277 રનનો એક ફાઈટિંગ સ્કોર ઊભો કર્યો હતો.
છેલ્લી ઘડીયે નસીબ ખૂલ્યું
આ મેચની સૌથી રસપ્રદ બાબત એ છે કે ટ્રાય નેશન સીરિઝ માટે જાહેર કરાયેલી ભારત-એની મૂળ ટીમમાં ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ જ કરવામાં આવ્યો ન હતો. જોકે સ્ટાર ઓલરાઉન્ડર રિયાન પરાગ ઇજાગ્રસ્ત થતાં ગાયકવાડને અચાનક નસીબજોગ તક મળી હતી. ગાયકવાડે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને શતક ફટકારીને મુખ્ય પસંદગીકારો સમક્ષ સિનિયર ટીમ માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી દીધી છે. મેચ પહેલા ભલે બધી ચર્ચા વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર હતી, પરંતુ મેદાન પર ઋતુરાજે સાબિત કરી દીધું કે ક્રિકેટમાં અનુભવ અને ક્લાસનો કોઈ વિકલ્પ નથી.


