Get The App

મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ 1 - image

Mumbai Indians: પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની હાલત આઈપીએલ 2026માં કફોડી જોવા મળી રહી છે. આ સીઝનની પ્રથમ મેચ જીત્યા બાદ મુંબઈને આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે હવે રાજસ્થાન રોયલ્સે પણ તેને પરાજય આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ આ બંને મેચ ઘરઆંગણે નહીં પણ અન્ય મેદાન પર હારી છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ટીમનો ટ્રેક રેકોર્ડ વર્ષ 2023થી જ નબળો ચાલી રહ્યો છે, જેમાં ટીમ ઘરની બહાર રમાતી મેચોમાં ખૂબ ઓછી મેચ જીતી રહી છે. 

મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી

મુંબઈ ઈન્ડિયન્સનો IPL 2023થી ઘરની બહાર રમવાનો રેકોર્ડ ખૂબ ખરાબ છે. MI માત્ર 36 ટકા મેચ જ ઘરની બહાર એટલે કે અવે ગેમ્સમાં જીતી રહી છે. IPLમાં અન્ય કોઈ ટીમનો રેકોર્ડ એટલો ખરાબ નથી, જેટલો પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમનો છે. IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સે 25 મેચ ઘરની બહારની રમી છે અને તેમાંથી ફક્ત નવ મેચમાં જીત હાંસલ કરી શકી છે. ટીમ 16 મેચ હારી ચૂકી છે, અને તેમની જીતની ટકાવારી ફક્ત 36 છે, જે અન્ય નવ ટીમોમાં સૌથી ખરાબ છે.

MI માટે આ દરમિયાન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કેટલીક મેચોમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી છે. વર્ષ 2023માં રોહિત શર્મા કેપ્ટન હતો, જ્યારે 2024માં હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યો અને હાલમાં પણ તે જ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. હાર્દિકની કેપ્ટન્શીપમાં જ મુંબઈ ઈન્ડિયન્સને 'અવે ગેમ્સ' (ઘરની બહારની મેચો)માં સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે, જેનો ઉકેલ વહેલી તકે લાવવો જરૂરી છે. ચાલુ સીઝનમાં જ ટીમ બે મેચ હારી ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તો બોલરોનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને માત્ર 11 ઓવરમાં જ 150 રન આપી દીધા હતા. આ કારમી હાર માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલરોને જવાબદાર ઠેરવ્યા છે.

IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સની 'અવે ગેમ્સ'

મેચ: 25

જીત: 9

હાર: 16

જીત ટકાવારી: 36% (બધી ટીમોથી સૌથી ખરાબ)

આ પણ વાંચો: વૈભવ અને યશસ્વીએ જબરી ધોલાઈ કરી, હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યું હારનું ઠીકરું?

મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ત્રણ સીઝનમાં બે વાર પ્લેઓફમાં તો ચોક્કસ પહોંચી છે, પરંતુ એક પણ વખત એલિમિનેટરથી આગળ નથી વધી શકી, જ્યારે એક વખત ટીમને ક્વોલિફાયર 2 થી આગળ જવાની તક નહોતી મળી. 2013થી 2020 સુધી મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ટ્રોફી જીતી છે, પરંતુ હાલમાં ટીમની સ્થિતિ નબળી લાગી રહી છે. ટીમમાં T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ છે. જસપ્રીત બુમરાહ જેવો બોલર છે. ખુદ દમદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કેપ્ટન છે. તિલક વર્મા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર જેવા સ્ટાર્સ છે, પરંતુ તેમ છતાં ટીમની સ્થિતિ સારી નથી.