Get The App

વૈભવ અને યશસ્વીએ જબરી ધોલાઈ કરી, હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યું હારનું ઠીકરું?

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
વૈભવ અને યશસ્વીએ જબરી ધોલાઈ કરી, હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યું હારનું ઠીકરું? 1 - image

Image Source: Twitter

RR vs MI:  ગુવાહાટીમાં વરસાદથી પ્રભાવિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં વિલંબ બાદ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લેનારા કેપ્ટન હાર્દિક પંડ્યાએ હાર માટે પોતાની ટીમના બોલરોને જવાબદાર ઠેરવ્યા છે.

હાર્દિક પંડ્યાએ હારનું ઠીકરું બોલરો પર ફોડ્યું

હાર્દિક પંડ્યાએ સ્પષ્ટ કહ્યું કે, 'પાવરપ્લેમાં ટીમ પોતાની યોજના પ્રમાણે બોલિંગ કરવામાં નિષ્ફળ ગઈ. રાજસ્થાનના ઓપનરોએ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ અમારી ટીમના બોલરો અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. હું આ મેચ માટે બેટિંગ યુનિટને જવાબદાર નહીં ઠેરવીશ, બોલરોએ જવાબદારી લેવી પડશે.' પંડ્યાએ આગળ કહ્યું કે, ટીમ પોતાની ભૂલોમાંથી શીખશે અને આગામી મેચ માટે વધુ સારી તૈયારી કરશે.

વૈભવ અને યશસ્વીએ જબરી ધોલાઈ કરી

રાજસ્થાનની જીતનો પાયો ઓપનર્સે નાખ્યો હતો. યશસ્વી જયસ્વાલે 32 બોલમાં અણનમ 77 રન બનાવ્યા, જ્યારે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 બોલમાં 39 રન બનાવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર પાંચ ઓવરમાં 80 રન જોડીને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું. 

પંડ્યાએ વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી

પંડ્યાએ યુવા ખેલાડી વૈભવની પ્રશંસા કરતા કહ્યું કે, 'આટલી નાની ઉંમરે આવી નીડર બેટિંગ જોવી અદ્ભુત છે.' તેણે તેના ઉજ્જવળ ભવિષ્યની કામના પણ કરી. 

બીજી તરફ રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે પોતાની ઓપનિંગ જોડીને ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ જોડી ગણાવી. તેણે કહ્યું કે, 'બંને પાસે સ્કિલ સાથે મેચ્યોરિટી પણ છે, જે તેમને ખાસ બનાવે છે.'

જયસ્વાલે પણ પોતાની ઈનિંગ અંગે ખુલાસો કર્યો કે, 'નાના પાવરપ્લેને ધ્યાનમાં રાખીને પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો કે કયા બોલરોની ધોલાઈ કરવી. હું વૈભવને સતત સકારાત્મક મેસેજ આપી રહ્યો હતો, જેથી તે ખુલીને રમી શકે.'

જુઓ રિયાન પરાગે રાજસ્થાનના બોલરો માટે શું કહ્યું?

રાજસ્થાનના બોલરોની પ્રશંસા કરતા પરાગે કહ્યું કે, ટીમના ફાસ્ટ બોલરો 140-145 કિમી પ્રતિ કલાકની રફ્તાર સાથે કંટ્રોલ પણ જાળવી રાખે છે, જે વિરોધી ટીમ માટે સમસ્યાઓ ઉભી કરે છે.

આ પણ વાંચો: ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- 'અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર'

RR v MI મેચ 13ના બદલાયેલા નિયમ

ગુવાહાટીમાં રમાયેલી રાજસ્થાન અને મુંબઈ વચ્ચેની IPL મેચ 13માં બદલાયેલા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જે હેઠળ મેચ 11 ઓવરની રહી હતી, પાવરપ્લે 3.2 ઓવરનો હતો, ચાર બોલરોએ વધુમાં વધુ 2-2 ઓવર ફેંકી હતી, જ્યારે એક બોલરને વધુમાં વધુ 3 ઓવર ફેંકવાની છૂટ હતી.