Get The App

વૈભવ સૂર્યવંશી અંગે મેદાનમાં ફરી ડ્રામા, કેચ પર હોબાળો, ત્રિકોણીય શ્રેણીમાં વધુ એક 'ફ્લોપ' ઈનિંગ

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
Vaibhav Suryavanshi Catch Video
(IMAGE - IANS)

Vaibhav Suryavanshi Catch Video : ઇન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે રમાઈ રહેલી ટ્રાઈ-સિરીઝની પાંચમી મેચની શરૂઆતમાં જ એક મોટો વિવાદ સામે આવ્યો છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની ઇનિંગની બીજી જ ઓવરમાં અમ્પાયરના એક નિર્ણયે મેદાન પર તણાવભરી સ્થિતિ સર્જી દીધી હતી. અફઘાનિસ્તાનના ફિલ્ડર દ્વારા વૈભવ સૂર્યવંશીના પકડાયેલા એક શાનદાર કેચને જ્યારે થર્ડ અમ્પાયરે 'નોટ આઉટ' જાહેર કર્યો, ત્યારે અફઘાન ખેલાડીઓ દંગ રહી ગયા હતા અને તેમણે ગ્રાઉન્ડ પર જ અમ્પાયર્સ સાથે તીખી ચર્ચા શરૂ કરી દીધી હતી.

બીજી જ ઓવરમાં આ રીતે થઈ બબાલ

આ સમગ્ર ઘટના ભારતીય ઇનિંગની 1.3 ઓવરમાં બની હતી. અફઘાનિસ્તાનના બોલર શમ્સ ઉર રહેમાનના દડા પર ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોઇન્ટની દિશામાં હવામાં કટ શોટ રમ્યો હતો. ત્યાં તહેનાત અફઘાન ફિલ્ડર ફરીદૂને ડાબી બાજુ અદભુત ડાઇવ લગાવીને એક હાથે અત્યંત મુશ્કેલ અને શાનદાર કેચ ઝડપી લીધો હતો. મેદાન પર હાજર તમામ લોકોને લાગ્યું કે આ એકદમ ક્લીન કેચ હતો.

જોકે, મેદાન પરના અમ્પાયરોએ ચોકસાઈ કરવા માટે આ નિર્ણય થર્ડ અમ્પાયરને સોંપ્યો હતો. રીપ્લેના એક ફ્રેમમાં જોવા મળ્યું કે જ્યારે ફિલ્ડર ફરીદૂન જમીન પર પડ્યો, ત્યારે દડાનો અમુક હિસ્સો ઘાસને અડી રહ્યો હતો. બસ, આ જ બાબતને આધાર બનાવીને થર્ડ અમ્પાયરે વૈભવ સૂર્યવંશીને 'નોટ આઉટ' આપ્યો હતો, જેની સામે અફઘાનિસ્તાનની ટીમે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

શ્રીલંકા સામેની મેચમાં પણ થયો હતો ઝઘડો

મેદાન પર આ પ્રકારનો તણાવ ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે નવો નથી. આ જ ટ્રાઈ-સિરીઝની અગાઉની મેચમાં શ્રીલંકા એ સામે રમાયેલા મુકાબલા દરમિયાન પણ વૈભવ વિવાદોમાં આવ્યો હતો. તે મેચે પણ ભારે હેડલાઇન્સ મેળવી હતી જ્યારે વૈભવની શ્રીલંકાના ખેલાડીઓ સાથે તીખી નોકઝોક અને લડાઈ થઈ ગઈ હતી. હવે સતત બીજી મેચમાં વૈભવ ક્રિઝ પર હોય તે જ ઓવરમાં વિવાદ થતાં તે ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક નહીં

વૈભવને મળ્યું જીવનદાન, સોશિયલ મીડિયા પર ફેન્સ આમને-સામને

આ વિવાદાસ્પદ નિર્ણયના કારણે વૈભવ સૂર્યવંશીને એક મોટું જીવનદાન મળ્યું તેમ છતાં તે તેનો લાભ ઊઠાવવામાં નિષ્ફળ રહ્યો અને 38 રન કરીને આઉટ થઈ ગયો હતો. વૈભવ સૂર્યવંશી આ ત્રિકોણીય શ્રેણીમાં કોઈ ખાસ રંગ બતાવી શક્યો નથી. મેદાન પરના આ ડ્રામા બાદ સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ ફેન્સ વચ્ચે આ કેચને લઈને જોરદાર ચર્ચા અને દલીલો શરૂ થઈ ગઈ છે.