મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UBT MPs Rebellion: મહારાષ્ટ્રના રાજકારણમાં દિલ્હી સુધી આવેલું મોટું રાજકીય તોફાન હવે શાંત પડતું દેખાઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના(UBT)માં મોટી બળવાની આશંકાઓ વચ્ચે અચાનક આખો ગેમ પલટાઈ ગયો છે. પક્ષ પલટાની અટકળો પર વિરામ મૂકતાં ઉદ્ધવ જૂથના બે પ્રમુખ સાંસદો - રાજાભાઉ વાજે અને સંજય પાટીલે એકનાથ શિંદે જૂથમાં જોડાવાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. આ બંને સાંસદોના સત્તાવાર નિવેદનો બાદ મહારાષ્ટ્રમાં બળવાખોરોની વ્યૂહરચના સંપૂર્ણપણે ઊંધી પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, જેનાથી ઉદ્ધવ ઠાકરેને મોટી રાહત મળી છે.
'હું ક્યાંય નથી જતો' અને શિંદેના ઘરે કોઈ બેઠક નહીં
શરૂઆતમાં એવા અહેવાલો હતા કે બળવાખોર સાંસદો દિલ્હીમાં શ્રીકાંત શિંદે(એકનાથ શિંદેના પુત્ર)ના નિવાસસ્થાને એક મોટી બેઠક કરવાના છે. જોકે, હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સવારથી શ્રીકાંત શિંદેના આવાસ પર આવી કોઈ બેઠક થઈ જ નથી. એટલું જ નહીં, શિંદે જૂથના સાંસદ શ્રીકાંત શિંદે પોતે દિલ્હીમાં હાજર નથી અને તેઓ મહાબલેશ્વરમાં છે. બીજી તરફ, નાસિકના સાંસદ રાજાભાઉ વાજેએ સ્પષ્ટ કર્યું છે કે, 'હું ક્યાંય નથી જઈ રહ્યો અને ઉદ્ધવ ઠાકરે સાથે જ રહીશ. અમે માત્ર સંસદીય સમિતિની બેઠક માટે દિલ્હી આવ્યા છીએ.'
સંજય પાટીલ પણ મુંબઈમાં, શિંદે સાથે લેવાદેવા નથી
ઉદ્ધવ જૂથના અન્ય એક સાંસદ સંજય પાટીલે પણ શિંદે જૂથમાં જવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. તેમણે મુંબઈથી નિવેદન આપતાં જણાવ્યું કે, 'મારે એકનાથ શિંદે સાથે કોઈ લેવાદેવા નથી. અમને આવતીકાલે દિલ્હીમાં સંસદીય દળની બેઠક માટે બોલાવવામાં આવ્યા છે અને હું તેમાં હાજર રહીશ.'
નંબર ગેમમાં ફસાયા બળવાખોરો, કાનૂની સંકટ
લોકસભામાં શિવસેના(UBT)ના કુલ 9 સાંસદો છે. પક્ષ પલટાના કાયદા(એન્ટી-ડિફેક્શન લો)થી બચવા અને નવો જૂથ બનાવવા માટે બળવાખોરોને ઓછામાં ઓછા 2/3 બહુમતી એટલે કે 7 સાંસદોના સમર્થનની જરૂર છે. સંજય રાઉતે દાવો કર્યો છે કે બળવાખોરો પાસે આ જરૂરી આંકડો નથી, તેથી તેમનો સાંસદો તોડવાનો પ્રયાસ નાકામ રહેશે. ઉદ્ધવ જૂથે આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ પત્ર લખીને ભાજપની કથિત વ્યૂહરચના અંગે વાકેફ કર્યા છે.
15-15 કરોડના ઍડ્વાન્સનો ગંભીર આક્ષેપ
આ આખા રાજકીય ડ્રામા વચ્ચે શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે મહારાષ્ટ્રના સાંસદોને પક્ષ બદલવા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે અને ઍડ્વાન્સ પણ અપાયા છે. જોકે, ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ આ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું કે સાંસદો પક્ષ કેમ છોડી રહ્યા છે તેનું આત્મમંથન ઉદ્ધવ ઠાકરેએ પોતે કરવું જોઈએ, આમાં ભાજપનો કોઈ હાથ નથી. હાલ પૂરતો તો ઉદ્ધવ જૂથના સાંસદો એકજૂથ દેખાતા 'ઓપરેશન ટાઇગર' નિષ્ફળ થતું દેખાઈ રહ્યું છે.









