Prasangpat

પીએસયુ બેંકોનો તગડો નફો પણ ગ્રાહકોને સંતોષ આપી શકી નથી

By GS Team
21 Jul 20264 mins read
TukuTouch Logo
જાહેર ક્ષેત્રની બેંકોએ તાજેતરમાં તગડો નફો દર્શાવ્યો છે, પણ ગ્રાહકો નારાજ છે. બેંકો ગ્રાહકો પર વિવિધ ચાર્જીસ લગાવીને કમાણી કરે છે. રિઝર્વ બેંકના નિયમોને પણ બેંકો અવગણે છે, જેનાથી સામાન્ય જનતા પરેશાન છે. ચેક ક્લિયરિંગ, KYC, ATM સેવાઓ અને SMS ચાર્જિસ બાબતે બેંકોની મનમાનીથી ગ્રાહકો ત્રસ્ત છે. બેંકોએ નફો કર્યો, પણ ગ્રાહક સંતોષ ગુમાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

પીએસયુ બેંકોનો તગડો નફો પણ ગ્રાહકોને સંતોષ આપી શકી નથી

એવો નફો શું કામનો જ્યાં ગ્રાહકો નારાજ ચાલતા હોય
પ્રસંગપટ
બેંકના ખાતેદારો પર વિવિધ ચાર્જીસ લગાવીને પોતાની આવક વધારી છે. રિઝર્વ બેંકને બેંકો ગાંઠતી નથી

દેશની લગભગ તમામ પીએસયુ બેંકોએ તાજેતરમાં તગડો નફો બતાવ્યો છે. દરેક બેંકો બેડ લોન્સ, પ્રધાનોની ચિઠ્ઠીથી અપાતી લોન, અધૂરા ડોક્યુમેન્ટથી અપાતી લોન વગેરથી દુર રહી છે. નોન પરફોર્મિંગ એસેટ(એનપીએ)ને પણ કાબુમાં રાખી શકી હોવાથી જાહેર ક્ષેત્રની બેંકેા નફો રળી શકે છે. પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક જેવી બહુ જાણીતી બેંકોના નફામાં વધારો થયો છે તેમજ શેરમાર્કેટમાં પણ નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય રીતે લોકો માનતા હતા કે ખાનગી બેંકો અને જાહેર ક્ષેત્રની બેંકો વચ્ચે ગ્રાહકોને સારી સર્વિસ આપવામાં સ્પર્ધા ચાલે છે પરંતુ ગ્રાહકો બહુ સારી રીતે જાણે છેકે બંનેનો આશય વધુ નફો રળવાનો છે અને તે માટે બંને ગ્રાહકો પર વિવિધ ચાર્જીસ લગાવે છે.
સરકાર બેંકોની કામગીરીમાં સુધારણાની જાહેરાતો બહુ મોટા પાયે કરે છે પરંતુ તેના અમલીકરણની સિસ્ટમ ઉભી કરી શકતી નથી. ઉદાહરણ તરીકે બે મહિના અગાઉ ેએવી જાહેરાત કરાઇ હતી કે આજે ડિપોઝિટ કરાવેલો ચેક સાંજેજ પાસ થઇને તે રકમ ખાતામાં આવી જશે. સિસ્ટમ બહુ સારી હતી. લોકો જે દિવસે ચેક ભરે તેજ દિવસે તે પાસ થઇ જાય તેને ભારતના આર્થિક તંત્રમાં એક બહુ ઉપયોગી પગલાં તરીકે આવકારાયું હતું. અત્યાર સુધી એવું હતું કે લોકો ચેક ભરે એટલે બીજી દિવસે તે ક્લીયરીંગ જાય અને ત્રીજા દિવસે ખાતામાં પૈસા જમા થતા હતા.
સત્તાવાળાઓએ જ્યારે એકજ દિવસમાં ક્લિયરીંગની વાત કરી ત્યારે સામે છેડે બેંકાએેે મનમાની શરૂ કરી હતી અને સવારે અગિયાર વાગ્યા સુધીમાં ચેક ભરાય તોજ તે કિલ્યરીંગમાં મોકલાશે એમ નક્કી કર્યું હતું. રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય બંનેને બેંકોની મનમાનીની ખબર છે પરંતુ તે પગલાં લઇ શક્યા નથી.કેટલીક બેંકોમાં ગુજરાતી નહીં જાણતો સ્ટાફ હોય છે જેના કારણે ગુજરાતી લોકોની રજૂઆતો તે લોકો સમજી શકતા નથી જેના કારણે બેંકોની કે સરકારની યોજનાનો લાભ પણ મેળવી શકતા નથી કે પોતાની અન્ય આર્થિક સમસ્યાનો ઉકેલ પણ લાવી શકતા નથી.
બેંકના ગ્રાહકો ખરેખર બેંકો મારફતે લેવાતી દંડની રકમ સમાન હીડન કોસ્ટ, નબળી સર્વિસ અને ડિજીટલ ઘાંધિયાથી ત્રસ્ત છે. કેટલાક ચાર્જીસ તો સાવજ ખોટા લેવાય છે. જ્યારે બેંકો તે બાબતે બેંકના વહિવટકારોને સવાલ કરે છે ત્યારે એવો જવાબ મળે છેકે રિઝર્વ બેંકની સૂચના છે. હજારો લોકોના ખાતામાંથી મિનિમમ બેલેન્સ ના હોવાના કારણે દંડ પેટે ચોેક્કસ રકમ કપાઇ છે. ગ્રાહકના ખાતાનું બેલેન્સ ખાલી થાય ત્યાં સુધી તે રકમ કપાય છે. ગ્રાહક જેવો પૈસા ડિપોઝિટ કરેકે તરતજ બાકી કપાત તેમાંથી કાપી લેવાય છે. બેંકો ક્યારેય ગ્રાહકને સમજાવતી નથી કે મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે. નાનો બિઝનેસ કરતા યુવાનો બિઝનેસના નામે કરંટ ખાતું ખોલાવે છે. તે બેલેન્સ ના રાખી શકે તે સ્વભાવિક છે. તેના ખાતામાંથી પૈસા કાપી લેવાય છે. સરકાર એક તરફ સ્ટડાર્ટઅપને પ્રોત્સાહન આપે છે તો બીજી તરફ બેંકો ઉદ્યોગ સાહસિકોના ખાતામાંથી પૈસા કાપી નાખે છે. કેટલીક બેંકો મનમાની રીતે પેનલ્ટી લગાવે છે અને ગ્રાહકને જાણ કર્યા વગેર તેના ખાતામંાથી પૈસા કાપી નાખે છે. કેવાયસી બાબતે પણ બેંકોનું વલણ જડભરત સમાન હોય છે. કેવાયસી નહીં આપનારનું ખાતું અચાનકજ ફ્રીઝ કરી દેવામાં આવે છે. ખાતેદારને એસએમએસ કરીને જણાવવાની તસ્દી પણ નથી લેવાતી. ગ્રાહક બિચારો દોડતો પૂછવા જાય છે કે મારું ખાતું બંધ કેમ છે ત્યારે તેની પાસે કેવાયસી માંગવામાં આવે છે.
એટીએમ સર્વિસના ધાંધિયાથી પણ લોકો પરેશાન છે. એટીએમમાં પૈસા લેવાનું નિષ્ફળ થાય તો અથવા ડિજીટલ એપમાં મુશ્કેલી આવે તો પણ ખાતામાં પૈસા પાછા આવતા લાંબી રાહ જોવી પડે છે. બેંકોની તમામ સેવાઓ મફત હોય છે એમ માનવાની જરૂર નથી. ગ્રાહકોના પૈસાનો વહિવટ કરતી બેંકો એક સમયે નોન પર્ફોર્મીંગ એસેટના મુદ્દે બદનામ હતી. તેના કરોડા રૂપિયા ડૂબ્યા હતા.
મોબાઇલ ટેકનોલોજી વિકસી છે. દરેક ટેલિકોમ કંપની એસએમએસ સર્વિસ ફ્રી આપે છે પરંતુ બેંકો તેના પર ચાર્જ વસુલ કરીને પોતાનો નફો વધારે છે. પીએસયુ બેંકો નોંધપાત્ર નફો કરી શકી તે આવકાર્ય છે પરંતુ બેંકો જેમના માટે બની છે તે મધ્યમ વર્ગના ગ્રાહકોનો પ્રેમ જીતી શકી નથી. બેંકના ખાતેદારો પર વિવિધ ચાર્જીસ લગાવીને બેંકાએ પોતાની આવક વધારી છે. બેંકોએ તગડો નફો કર્યો પરંતુ તે નફો ગ્રાહકાનો સંતોષ કારક કામ કરી આપવા તરફ ટ્રાન્સફર થવો જોઇતો હતો તે નથી થયો.ગ્રાહકોને સંતોષ દરેક બેંક માટે મહત્વનું પાસું છેે તેને તગડો નફો કરતી બેંકો ધોળીને પી ગઇ છે. રિઝર્વ બેંકે આપેલી માર્ગદર્શિકાને બેંકો ગાંઠતી નથી.