તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

₹100 Crore Mismatch Row: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના જંગમાં પ્રથમવાર ઝંપલાવી રહેલા અભિનેતા અને 'તમિલગા વેટ્ટરી કઝગમ' (TVK) ના સ્થાપક થલાપતિ વિજયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિજય દ્વારા રજૂ કરાયેલા ચૂંટણી સોગંદનામામાં 100 કરોડ રૂપિયાથી વધુની વિસંગતતા જોવા મળતા મદ્રાસ હાઈકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
સુપરસ્ટાર વિજય આ વખતે તમિલનાડુમાં બે બેઠક, તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુરથી ચૂંટણી લડી રહ્યા છે. પેરામ્બુરના એક મતદારે કોર્ટમાં અરજી કરી આક્ષેપ કર્યો હતો કે, વિજયે બંને બેઠકો માટે ફાઈલ કરેલા સોગંદનામામાં તેમની આવકના આંકડા જુદા જુદા છે. જેમ કે, ત્રિચી બેઠકના સોગંદનામામાં વિજયે રૂ. 220 કરોડની આવક દર્શાવી છે. તો પેરામ્બુર બેઠકના સોગંદનામામાં માત્ર રૂ. 115 કરોડની આવક જાહેર કરી છે. આમ, બંને સોગંદનામા વચ્ચે રૂ. 105 કરોડ રૂપિયાના તફાવત સામે આવતા વિજયે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
રાજકીય ગરમાવો અને જ્ઞાતિગત સમીકરણો
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની સત્તારૂઢ ડીએમકે સામે વિજયની એન્ટ્રીથી આ મુકાબલો હવે ત્રિપાંખિયો જંગ બની રહ્યો છે. ખાસ કરીને તિરુચિરાપલ્લી ઈસ્ટમાં લઘુમતી અને ખ્રિસ્તી મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિજયની ઉમેદવારીથી અહીં લઘુમતી મતોમાં વિભાજન થવાની શક્યતા સેવાઈ રહી છે, જે ડીએમકે માટે ચિંતાનો વિષય બની શકે છે. આ ઉપરાંત, દલિત અને હિન્દુ મતો પણ આ રસાકસીભરી જંગમાં મહત્ત્વના સાબિત થશે.
તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી
તમિલનાડુમાં આગામી 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે 4 મેના રોજ પરિણામ જાહેર કરાશે. એક તરફ ડીએમકે ગઠબંધન (સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ) છે અને બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે, ત્યારે વિજયની પાર્ટીની એન્ટ્રીએ રાજ્યના રાજકારણને વધુ રસપ્રદ બનાવી દીધું છે. નોંધનીય છે કે, હવે જોવાનું રહેશે કે આવકવેરા વિભાગ હાઈકોર્ટમાં શું જવાબ રજૂ કરે છે અને વિજયની રાજકીય કારકિર્દી પર તેની શું અસર પડે છે.








