Get The App

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય 1 - image


Helicopter Crash in Kedarnath : કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બાદ વરસાદની આફત સર્જાઈ છે, જેના કારણે અહીંના રહેવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હેલિકોપ્ટર ક્રેશની ઘટના રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ‘આર્યન એવિએશન’ની હેલિકોપ્ટર સેવાઓને તાત્કાલીક અસરથી અટકાવી દીધી છે. આ ઉપરાંત હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય 2 - image

એવિએશન કંપની સામે કાર્યવાહી

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ગૌરીકુંડ જંગલમાં આજે (15 જૂન) એક હેલિકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના મોત થયા છે, ત્યારે મીડિયા અહેવાલો મુજબ રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકારે હેલિકોપ્ટરનો કોન્ટ્રાક્ટ ધરાવતી એવિએશન કંપની સામે આકરી કાર્યવાહી કરી છે. સરકારે ‘આર્યન એવિએશન’ની હેલિકોપ્ટર સેવાને તાત્કાલકી બંધ કરી દીધી છે. ગૌરીકુંડથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં સાત લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં પાઈલટ સહિત 7 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય 3 - image

હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત

કેદારનાથ નજીક રૂદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. યુકાડા (ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ) અને DGCAએ સંયુક્ત રૂપે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય રવિવારે ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ લેવામાં આવ્યો છે. જેમાં સાત લોકોના મોત થયા છે. તપાસ પૂરી થયા બાદ સુરક્ષાના માપદંડોની સમીક્ષા સુધી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત રહેશે.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય 4 - image

CM પુષ્કર સિંહ ધામીએ જારી કર્યા નિર્દેશ

રાજ્યમાં હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Uttarakhand CM Pushkar Singh Dhami)એ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) તૈયાર કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી મેળવવી અનિવાર્ય છે. 

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય 5 - image

મુખ્યમંત્રી ધામીએ વ્યક્ત કર્યું દુઃખ 

ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે 'X' પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું 'જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.' 

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય 6 - image

ટેક્નિકલ એક્સપર્ટની કમિટી રચવા આદેશ

મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે, ટેક્નિકલ એક્સપર્ટની એક કમિટી રચવામાં આવે. જે હેલિકોપ્ટરના સંચાલન માટે તમામ ટેક્નિકલ અને સુરક્ષાના માપદંડોની સમીક્ષા કરી SOP તૈયાર કરશે. જે ખાતરી આપશે કે, હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને નિર્ધારિત માપદંડો અનુસાર છે. આજે સવારે બનેલી હેલિકોપ્ટર ક્રેશની તપાસ માટે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવા આદેશ આપ્યો છે. જે દરેક બાબતોને ધ્યાનમાં લેતાં રિપોર્ટ તૈયાર કરશે. આ કમિટી પ્રત્યેક ઘટનાના કારણોની તપાસ કરશે. તેમજ દોષિત વ્યક્તિ અને સંસ્થાઓની ઓળખ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય 7 - image

પાઈલટ રાજવીર સિંહ ચૌહાણે 15 વર્ષથી વધુ ભારતીય સેનામાં સેવા આપી હતી

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જયપુરના રહેવાસી પાઈલટ રાજવીર સિંહ ચૌહાણ 15 વર્ષથી વધુ ભારતીય સેનામાં સેવા આપી હતી. તેમણે ઓક્ટોબર 2024થી 'આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ'માં પાઈલટ તરીકે કામ કરી રહ્યા હતા. ભારતીય સેનામાં સેવા આપ્યા પછી તેમને વિવિધ ભૂપ્રદેશોમાં ઉડાન મિશન, હવાઈ સંચાલનનું નિરીક્ષણનો બહોળો અનુભવ ધરાવતા હતા. આ ઉફરાંત તેમને વિવિધ પ્રકારના હેલિકોપ્ટર અને તેમના મેન્ટેનન્સમાં તાલીમ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 7નાં મોત

આ પણ વાંચો : ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા બંધ

આ પણ વાંચો : કેદારનાથમાં વરસાદી આફત, એકનું મોત, જુઓ VIDEO

Tags :