કેદારનાથ નજીક મોટી દુર્ઘટના, રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ, ગુજરાતના એક સહિત 7નાં મોત
AI Image |
Kedarnath Rudraprayag Helicopter Crash: ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે. રવિવારે (15મી જૂન) કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોની યાદી
1. કેપ્ટન રાજબીર સિંહ ચૌહાણ – 39 વર્ષીય પાઈલટ, જયપુર
2. વિક્રમ રાવત – BKTC પ્રતિનિધિ, રાસી, ઉખીમઠ
3. વિનોદ દેવી – 66 વર્ષ, ઉત્તર પ્રદેશ
4. તૃષ્ટિ સિંહ - 19 વર્ષ, ઉત્તર પ્રદેશ
5. રાજકુમાર સુરેશ જયસ્વાલ – 41 વર્ષ, ગુજરાત
6. શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ – મહારાષ્ટ્ર
7. કાશી – 2 વર્ષની છોકરી, મહારાષ્ટ્ર
પાઈલટ રાજવીર સિંહ ચૌહાણે 15 વર્ષથી વધુ ભારતીય સેનામાં સેવા આપી હતી
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જયપુરના રહેવાસી પાઈલટ રાજવીર સિંહ ચૌહાણ 15 વર્ષથી વધુ ભારતીય સેનામાં સેવા આપી હતી. તેમણે ઓક્ટોબર 2024થી 'આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ'માં પાઈલટ તરીકે કામ કરી રહ્યા હતા. ભારતીય સેનામાં સેવા આપ્યા પછી તેમને વિવિધ ભૂપ્રદેશોમાં ઉડાન મિશન, હવાઈ સંચાલનનું નિરીક્ષણનો બહોળો અનુભવ ધરાવતા હતા. આ ઉફરાંત તેમને વિવિધ પ્રકારના હેલિકોપ્ટર અને તેમના મેન્ટેનન્સમાં તાલીમ આપવામાં આવી હતી.
અધિકારીઓએ આપી માહિતી
ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં પાઈલટ સહિત 7 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
મુખ્યમંત્રી ધામીએ વ્યક્ત કર્યું દુઃખ
ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે 'X' પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું 'જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.'