US Intelligence Report : એકતરફ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકાએ ખતરનાક મિસાઈલ મામલે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. અમેરિકન રિપોર્ટમાં પાકિસ્તાનની મિસાઈલ ક્ષમતા મામલે ગંભીર આક્ષેપો કરાયા છે, જેના કારણે ફફડી ગયેલા પાકિસ્તાને તાત્કાલીક સ્પષ્ટતા કરવાની નોબત ઉભી થઈ છે.
અમેરિકાએ પોલ ખોલતા પાકિસ્તાન તુરંત સ્પષ્ટતા કરવી પડી
વાસ્તવમાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડે બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ '2026 વાર્ષિક મૂલ્યાંકન' અહેવાલ રજૂ કર્યો હતો. તે રિપોર્ટ ખુલાસો કરાયો છે કે, પાકિસ્તાન ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે મળીને એવી આધુનિક મિસાઈલ સિસ્ટમ (ICBM) તૈયાર કરી રહ્યું છે, જે અમેરિકા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.’ ત્યારે હવે આ મામલે પાકિસ્તાને તુરંત સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપીને કહ્યું કે, તેની મિસાઈલ ક્ષમતા સંપૂર્ણ રક્ષાત્મક છે અને તેનું હેતુ માત્ર પોતાની સુરક્ષા કરવાનો અને દક્ષિણ એશિયામાં સ્થિરતા જાળવાવ માટેનો છે.
અમેરિકન રિપોર્ટમાં ચોંકાવનારી ચેતવણી
અમેરિકાના હાલમાં જ આવેલા એક સુરક્ષા અહેવાલમાં ખુબ જ ચોંકાવનારી ચેતવણી આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ પાકિસ્તાન હવે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે મળીને એવી આધુનિક મિસાઇલ સિસ્ટમ (ICBM) તૈયાર કરી રહ્યું છે, જે અમેરિકા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડે સેનેટ સમક્ષ આ અહેવાલ અને ખતરાની વિગતો રજૂ કરી હતી. ગેબાર્ડે જણાવ્યું કે, "રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન પરમાણુ તથા પરંપરાગત પેલોડ લઈ જઈ શકે તેવી નવી અને અત્યંત આધુનિક મિસાઇલ સિસ્ટમ પર સંશોધન કરી રહ્યા છે. આ મિસાઇલોની મારક ક્ષમતા એટલી છે કે તે અમેરિકા સુધી પહોંચી શકવા સક્ષમ હશે." અહેવાલમાં ભારપૂર્વક જણાવાયું છે કે, આ દેશો પોતાના પરમાણુ હથિયારોને વધુ સચોટ બનાવી રહ્યા છે અને એવી ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યા છે જે કોઈપણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને માત આપી શકે.
આ પણ વાંચો : હજુ તો અમે વેર વાળ્યું જ નથી! ઓઈલ-ગેસ પ્લાન્ટ્સ પર હુમલા બાદ પણ ઈરાનની ખતરનાક ચેતવણી
ભારત-પાકિસ્તાન સંબંધો અને પરમાણુ યુદ્ધનું જોખમ
અમેરિકી રિપોર્ટમાં દક્ષિણ એશિયાની સ્થિતિ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હજુ પણ પરમાણુ સંઘર્ષનું જોખમ ધરાવે છે. ખાસ કરીને બંને દેશો જે રીતે ભૂતકાળમાં સામસામે આવી ચૂક્યા છે તે જોતા તણાવ વધવાની પૂરી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે, આવી ઘટનાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જામગરી ચાંપી શકે છે. આતંકવાદી તત્વો હજુ પણ બંને દેશો વચ્ચે સંકટ ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થતાથી રાહત
રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપને કારણે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ તણાવમાં ઘટાડો થયો છે. અમેરિકાનો અંદાજ છે કે, બંનેમાંથી કોઈ પણ દેશ અત્યારે ખુલ્લા યુદ્ધની તરફેણમાં નથી. જોકે, જમીની હકીકત હજુ પણ અસ્થિર છે અને આતંકી સંગઠનો ગમે ત્યારે પરિસ્થિતિ બગાડી શકે છે.
આ પણ વાંચો : ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ : ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, 12 દેશોએ આપી ગંભીર ચેતવણી


