Get The App

ધારાસભ્ય ન હોવા છતાં સુનેત્રા પવાર કેવી રીતે બન્યા ડેપ્યુટી CM? જાણો બંધારણનો આ ખાસ નિયમ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ધારાસભ્ય ન હોવા છતાં સુનેત્રા પવાર કેવી રીતે બન્યા ડેપ્યુટી CM? જાણો બંધારણનો આ ખાસ નિયમ 1 - image


Sunetra Pawar : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા અજિત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારએ શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) તરીકે શપથ લીધા છે.

શપથ લીધા બાદ સુનેત્રા પવારે જણાવ્યું હતું કે, “અજિત દાદાએ તેમના સમગ્ર જીવનમાં ખેડૂતો, મજૂરો, મહિલાઓ, યુવાનો અને સમાજના વંચિત વર્ગોને જીવવાનો મંત્ર આપ્યો. તેમના વિચારો અને કાર્યોના વારસાને આગળ ધપાવતા, હું ‘શિવ-શાહુ-ફુલે-આંબેડકર’ના વિચારોનું પાલન કરીને, કર્તવ્યની ભાવના સાથે આ જવાબદારી સ્વીકારું છું.”

ધારાસભ્ય ન હોવા છતાં કેવી રીતે બની શકાય મંત્રી?

સુનેત્રા પવાર હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય નથી, છતાં તેમને NCP વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

બંધારણ શું કહે છે?

ભારતીય બંધારણની કલમ 164(4) મુજબ, કોઈપણ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય ન હોવા છતાં મંત્રી (નાયબ મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી) તરીકે નિયુક્ત થઈ શકે છે. જોકે, શરત એટલી જ છે કે શપથ ગ્રહણની તારીખથી સતત 6 મહિનાની અંદર તેમણે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું અનિવાર્ય છે. જો તેઓ આ સમયગાળામાં સભ્ય ન બને, તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર

અગાઉના કેટલાક ઉદાહરણો:

ભારતીય રાજનીતિમાં આવા અનેક ઉદાહરણો છે જ્યાં નેતાઓ ધારાસભ્ય બન્યા વગર જ ઉચ્ચ પદ પર બેઠા હોય:

ઉદ્ધવ ઠાકરે: 2019માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોઈ ગૃહના સભ્ય નહોતા, બાદમાં તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા.

યોગી આદિત્યનાથ: 2017માં સીએમ બન્યા ત્યારે તેઓ સાંસદ હતા, બાદમાં વિધાન પરિષદના સભ્ય બન્યા.

પૃથ્વીરાજ ચૌહાણ: સીએમ બન્યા ત્યારે કેન્દ્રીય મંત્રી હતા, બાદમાં પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા.

કોણ છે સુનેત્રા પવાર?

18 ઑક્ટોબર 1963ના રોજ જન્મેલા સુનેત્રા પવાર એક મજબૂત રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે.

પરિવાર: તેમના પિતા બાજીરાવ પાટીલ વરિષ્ઠ નેતા હતા અને ભાઈ પદ્મસિંહ પાટીલ પ્રભાવશાળી રાજકારણી રહ્યા છે.

શિક્ષણ: તેમણે ઔરંગાબાદની એસ.બી. કૉલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી છે.

સામાજિક કાર્ય: તેઓ ‘એન્વાયરમેન્ટલ ફોરમ ઑફ ઇન્ડિયા’ના સ્થાપક અને પર્યાવરણવિદ તરીકે જાણીતા છે.

રાજકીય સફર: 2024માં તેમણે બારામતીથી લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં નણંદ સુપ્રિયા સુલે સામે તેમની હાર થઈ હતી. ત્યારબાદ તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા હતા.