Get The App

ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીની પાર્ટીમાં બળવા પછી શરદ પવાર એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીની પાર્ટીમાં બળવા પછી શરદ પવાર એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું 1 - image

Sharad Pawar on Alert After Rebellion In Mamata And Uddhav's Party: ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં ફરી એકવાર ભંગાણ પડી શકે છે. એવી માહિતી મળી રહી છે કે શિવસેના (UBT) ના 6 કે 7 સાંસદો પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. બીજી તરફ હવે આ રાજકીય ઘટનાક્રમોને જોતા વરિષ્ઠ નેતા શરદ પવાર એલર્ટ મોડ પર આવી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) એ આગામી દિવસોમાં સાંસદોની બેઠક બોલાવી છે. જોકે, આ અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી.

મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ

મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે વરિષ્ઠ પવારની આગેવાની હેઠળના રાકંપા (NCP) જૂથની બેઠક આગામી એક-બે દિવસમાં થઈ શકે છે. મહારાષ્ટ્રની રાજકીય હલચલને જોતા આ પગલું ભરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે પાર્ટી તરફથી સત્તાવાર રીતે હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું. 

વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ 9 બેઠકો પોતાના નામે કરી હતી. બીજી તરફ સુનેત્રા પવારની પાર્ટીને માત્ર 1 બેઠક મળી હતી. ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NCP (SP) ખાસ પ્રદર્શન નહોતી કરી શકી અને તેના માત્ર 10 ધારાસભ્યો જ ચૂંટાયા હતા. આનાથી વિપરીત NCPના 41 ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી.

NCPમાં પણ ભંગાણ પડી ચૂક્યું છે

ખાસ વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની જેમ અગાઉ NCP પણ ભંગાણનો સામનો કરી ચૂકી છે. શરદ પવારના ભત્રીજા દિવંગત અજિત પવારની આગેવાનીમાં જુલાઈ 2023માં અનેક ધારાસભ્યોએ અલગ રાહ પકડી હતી. ત્યારબાદ અજિત જૂથને મુખ્ય NCP તરીકે માન્યતા મળી હતી અને ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન પણ મળ્યું હતું.

NCPના કોંગ્રેસમાં વિલયની અટકળો

જ્યારે શરદ પવારની NCPને નામ બદલવું પડ્યું હતું અને તેમનું ચૂંટણી ચિહ્ન 'તુતારી' રાખવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે થોડા સમય પહેલા સુધી એવી અટકળો ચાલી રહી હતી કે NCPના બંને જૂથો ફરી એક થઈ શકે છે, પરંતુ અજિત પવારના નિધન બાદ આ અટકળો પર પણ વિરામ મુકાઈ ગયો છે. તાજેતરમાં એવી પણ ચર્ચાઓ હતી કે, શરદ પવાર  NCPનો કોંગ્રેસમાં વિલય કરાવવાનો પ્રસ્તાવ આપી રહ્યા છે, પરંતુ તેમણે આ વાતનો ઈનકાર કરી દીધો હતો. 

સુપ્રિયા સુલેનું નિવેદન

પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ શનિવારે કહ્યું હતું કે 'તેમની પાર્ટી કે કોંગ્રેસ તરફથી આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. ન તો કોઈએ અમારો સંપર્ક કર્યો છે અને ન તો અમને કોઈ પ્રસ્તાવ આપ્યો છે. તેવી જ રીતે અમે પણ કોઈનો સંપર્ક કર્યો નથી કે કોઈને કોઈ પ્રસ્તાવ પણ આપ્યો નથી.'

આ પણ વાંચો: 'જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..', ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી

સુપ્રિયા સુલેએ આ અંગે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું હતું કે, મને, પાર્ટી પ્રમુખ શરદ પવારને કે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ જયંત પાટીલ અને શશિકાંત શિંદેને આવા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી.