Get The App

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો 1 - image

Sanjay Raut Controversy Statement On Shiv Sena UBT Rebel MP : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બળવાનો મોટો ભૂકંપ આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ સાથ છોડીને અલગ જૂથ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને અલગ જૂથ તરીકે માન્યતા આપવા માગ કરી છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે બળવાખોરો પર આકરા પ્રહારો કરીને અપશબ્દોનો મારો ચલાવ્યો છે.

મીડિયાને સંજય રાઉતનો ખુલ્લો પડકાર

પ્રેસ કોન્ફરન્સમાં બળવાખોર સાંસદોને ખૂબ સંભળાવ્યા બાદ સંજય રાઉતે પત્રકારોને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે લાઈવ કેમેરા સામે જ મીડિયાને કહ્યું કે, 'તમે મારા અપશબ્દોને બીપ ન કરતા અને મારો વીડિયો કાપતા પણ નહીં.'

પક્ષ પીઠમાં છરો ભોંકનારાઓને ક્યારેય માફ નહીં કરે : સંજય રાઉત

સંજય રાઉતે બળવાખોરો પર નિશાન સાધતા કહ્યું કે, 'આ લોકો બેઈમાન છે અને હવે એવું લાગવા માંડ્યું છે કે બેઈમાની તેમના લોહીમાં જ છે. હું કોઈ પક્ષ કે વ્યક્તિનું નામ નથી લઈ રહ્યો, પરંતુ પક્ષ પીઠમાં છરો ભોંકનારાઓને ક્યારેય માફ નહીં કરે.'

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર

‘હિંમત હોય તો રાજીનામું આપો, પછી NDAમાં સામેલ થાઓ’

પક્ષ છોડી રહેલા નેતાઓને આડે હાથ લેતા સંજય રાઉતે કહ્યું કે, 'પક્ષના ટિકિટ પર ચૂંટાયેલા લોકોને જનાદેશ સાથે વિશ્વાસઘાત કરવાનો કોઈ અધિકાર નથી. તમારામાં હિંમત હોય તો પહેલા સાંસદ પદેથી રાજીનામું આપો અને પછી ખુલ્લેઆમ NDA માં સામેલ થાઓ.'

અપશબ્દોના ઉપયોગ પર રાઉતનો બચાવ

પોતાની ભાષાનો બચાવ કરતા સંજય રાઉતે કહ્યું કે, 'મેં કંઈ પણ ખોટું કહ્યું નથી, કારણ કે મહારાષ્ટ્ર અને મરાઠી ભાષામાં આવી વાતો સામાન્ય રીતે બોલાતી હોય છે.' તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે સંસદમાં આવી વાત નથી કરી, પરંતુ ભ્રષ્ટાચાર કરનારા પર ફૂલ વરસાવી શકાય નહીં.

50 કરોડની ડીલનો સનસનીખેજ દાવો

સંજય રાઉતે સાંસદોના ખરીદ-વેચાણનો મોટો દાવો કરતા કહ્યું કે, 'મને મોડી રાત્રે માહિતી મળી હતી કે, સાંસદોને ખરીદવાનો રેટ 50 કરોડ રૂપિયા નક્કી થયો છે. દરેક સાંસદને રાત સુધીમાં 15-15 કરોડ રૂપિયા મળી જવાના હતા. આ લોકો પૈસા લીધા વિના વિમાનમાં બેસવા પણ તૈયાર નહોતા.' તેમણે ચેતવણી આપી કે જો 2022 જેવી ઘટનાઓ ફરી બની, તો કાર્યકરો ચૂપ બેસી રહેશે નહીં.

આ પણ વાંચો : 'જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..', ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી