Get The App

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-'જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ'

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-'જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ' 1 - image

West Asia Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે PM આવાસ પર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ(CCS)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. યુદ્ધ વચ્ચે CCSની આ બીજી વિશેષ બેઠક હતી. બેઠકમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે 'સુનિશ્ચિત કરવામાં આવે કે યુદ્ધની અસર જનતા પર ન પડે.'

દરેક શક્ય પગલાં લેવામાં આવે: PM મોદી

વડાપ્રધાને સામાન્ય જનતા માટે જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરી અને કહ્યું કે ખરીફ અને રવિ સીઝનમાં ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવો જરૂરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે લોકો સુધી સાચી અને વિશ્વાસપાત્ર માહિતી પહોંચે, જેથી અફવાઓને રોકી શકાય. બેઠકમાં વડાપ્રધાને તમામ વિભાગોને નિર્દેશ આપ્યા હતા કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સામાન્ય નાગરિકો અને પ્રભાવિત વિસ્તારોની સમસ્યાઓ ઘટાડવા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવે.

LPGની કિંમતોમાં હાલમાં કોઈ ફેરફાર નહીં

કેબિનેટ સચિવે બેઠકમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાસ કરીને LPG અને LNGનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. LPG માટે અલગ-અલગ દેશોમાંથી આયાત વધારવામાં આવી રહી છે અને LNG પણ વિવિધ સ્ત્રોતોમાંથી મંગાવવામાં આવી રહ્યું  છે. ઘરેલું ગ્રાહકો માટે LPGની કિંમતોમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાથે જ, કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે કડક કાર્યવાહી ચાલુ છે.

વીજળી માટે ખાસ વ્યવસ્થા

પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શનનું વિસ્તરણ કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. ઉનાળાના પીક મહિનાઓ દરમિયાન વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સને ગેસ પૂલિંગ મિકેનિઝમમાંથી મુક્તિ આપીને રાહત આપવામાં આવી છે અને થર્મલ પાવર સ્ટેશનો સુધી વધુ કોલસો પહોંચાડવા માટે રેકની સંખ્યા વધારવામાં આવી છે, જેથી ઉનાળામાં વીજળીની અછત ન સર્જાય.

ખાતરનું આગોતરું આયોજન

આ ઉપરાંત બેઠકમાં કૃષિ, ખાતર, ઉડ્ડયન, શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં સંભવિત પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું કે ખાતરનો પુરવઠો જાળવી રાખવા માટે યુરિયાનું ઉત્પાદન ચાલુ છે અને DAP/NPKના સપ્લાય માટે વિદેશો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે દેખરેખ અને કાર્યવાહી તેજ કરવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પ્રોજેક્ટમાં વિલંબ થતા પાકિસ્તાન પર ચીન ભડક્યું, ઈરાન-તાલિબાન મુદ્દે મુનીરને આપ્યું અલ્ટીમેટમ

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ છેલ્લા એક મહિનાથી સ્થિર

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ છેલ્લા એક મહિનાથી સ્થિર રહ્યા છે. સરકારે કિંમતો પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ બનાવ્યા છે અને રાજ્યો સાથે સતત સંપર્કમાં છે. શાકભાજી અને ફળોના ભાવ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે એ બાબતે પણ ચર્ચા થઈ હતી કે સરકાર ઉર્જા, ખાતર અને અન્ય સપ્લાય ચેઈનના સ્ત્રોતોને વૈશ્વિક સ્તરે વિવિધ બનાવવાના પ્રયાસો કરી રહી છે. સાથે જ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો અને રાજદ્વારી વાતચીત ચાલુ છે.