Get The App

6 સેકન્ડમાં મતદાન, 17 લાખ મતોનું રહસ્ય... આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં EVMમાં હેરાફેરીના ગંભીર આક્ષેપ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
6 સેકન્ડમાં મતદાન, 17 લાખ મતોનું રહસ્ય... આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં EVMમાં હેરાફેરીના ગંભીર આક્ષેપ 1 - image
AI Image

Major allegations over Andhra polls: આંધ્ર પ્રદેશ 2024ની વિધાનસભા ચૂંટણીમાં NDA(ટીડીપી સહિત)એ 175માંથી 164 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી હતી. એ ચૂંટણીને બે વર્ષ વીતી ગયા છે, પરંતુ એના પરિણામો પર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ ચૂંટણીમાં થયેલા કેટલાક ‘અસામાન્ય’ મતદાનની પેટર્ન દર્શાવાઈ છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે આ આંકડા રજૂ કરીને ગંભીર આક્ષેપો કરતાં દિલ્હીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. 

ચાલો, જાણીએ આ વિવાદના મૂળમાં શું છે....

મધરાતનું ‘ભૂતિયું’ મતદાન: 17 લાખ મતોનો કોયડો

શું તમે કલ્પના કરી શકો છો કે રાત્રે 12 વાગ્યા પછી લોકો મતદાન કરવા આવે? આંધ્ર પ્રદેશની ચૂંટણીમાં એવું જ કંઈક બન્યું હોવાનો દાવો કરાયો છે. અર્થશાસ્ત્રી પ્રભાકરના મતે, આ ચૂંટણીમાં કુલ મતદાનના આશરે 4.16% મત રાતે 11:45 બાદ સવારના 2 વાગ્યા સુધીમાં નોંધાયા હતા. આ સમયગાળામાં આશરે 17 લાખથી વધુ મતદાન થયાનો અંદાજ છે. ચોંકાવનારી વાત એ છે કે મધ્યરાત્રિ પછી દર 20 સેકન્ડે એક મત પડ્યાનો દાવો કરાયો છે.

‘6 સેકન્ડ’ની ચમત્કારિક ઝડપ શક્ય છે?

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMને ફરી સેટ થવામાં સામાન્ય રીતે 14 સેકન્ડ લાગે છે. તેથી પ્રભાકરે પ્રશ્ન કર્યો કે, ‘જો એક મશીનને રિ-સેટ કરતાં 14 સેકન્ડ લાગે, તો 6 સેકન્ડમાં એક મત કેવી રીતે નોંધાઈ શકે? શું કોઈ મતદાર માત્ર 6 સેકન્ડમાં મશીન પાસે જઈને મત આપીને બહાર નીકળી શકે છે? આ સમયગાળો એટલો ઓછો છે કે, એ શક્ય જ નથી.’ 

આ પણ વાંચો: Explainer: ઈસુના કફનનું ભારત સાથેનું કનેક્શન, આ પવિત્ર કાપડના તાર સિંધુ સંસ્કૃતિ સુધી લંબાયેલા છે

બદલાતા આંકડાનું સત્ય: 68%થી 81% સુધીનો ઉછાળો

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં પણ મોટી વિસંગતતા જોવા મળી. ચૂંટણીના દિવસે એટલે કે 13 મે, 2024ના રોજ સાંજે 5 વાગ્યે મતદાન પૂરું થયું ત્યારે 68.04% મતદાન જાહેર કરાયું. રાત્રે 8 વાગ્યે તેને બદલીને 68.12% કરવામાં આવ્યું. બાદમાં સૌથી મોટો ફેરફાર રાત્રે 11:45 વાગ્યે થયો, જ્યારે અચાનક આ આંકડો સુધારીને 76.50% કરી દેવાયો. ચાર દિવસ પછી આવેલા અંતિમ આંકડા તો વધુ ચોંકાવનારા હતા. કુલ 81.79% મતદાન નોંધાયું હતું. આટલા ઓછા સમયમાં મતદાન ટકાવારીમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે શક્ય બન્યો?

પારદર્શકતાનો અભાવ: ફોર્મ 17Cનો કિસ્સો

આ મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાના અભાવ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ફોર્મ 17C, જેમાં દરેક બૂથ પર પડેલા મતોની સંખ્યા હોય છે, તે યોગ્ય રીતે જાહેર કરાયું નથી. તેમણે એમ પણ કહ્યું કે મતદારોની યાદીઓ મશીન-રીડેબલ ફોર્મેટમાં ઉપલબ્ધ નથી, જેના કારણે આ ડેટાની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી મુશ્કેલ બની જાય છે. તેમણે લોકશાહીને બચાવવા માટે VVPAT સ્લિપની ફરજિયાત ગણતરી કરવાની માંગ પણ કરી છે.

ચૂંટણી પંચનો પ્રતિકાર: ‘બે વર્ષ બાદનો ડેટા ગેરબંધારણીય’

જો કે, ભારતીય ચૂંટણી પંચના સૂત્રોએ આ આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા. તેમણે કહ્યું કે ચૂંટણીના બે વર્ષ પછી આવા ડેટા લાવવા એ ‘ગેરબંધારણીય’ છે. પંચે સ્પષ્ટ કર્યું કે જો કોઈ પક્ષ અથવા ઉમેદવારને ચૂંટણીમાં ગેરરીતિ લાગતી હોય તો તેણે તરત જ અપીલ કરવી જોઈતી હતી અથવા કોર્ટનો દરવાજો ખખડાવવો જોઈતો હતો. પરંતુ આંધ્રપ્રદેશના કોઈપણ ઉમેદવારે એવું કર્યું નથી. 

આ પણ વાંચો: Explainer: મુંબઈના ‘વિવિયન રિચર્ડ્સ’નો કરુણ અંત, જાણો તેંદુલકર-કાંબલી યુગના એક ‘મહાન’ ક્રિકેટરનું પતન કેવી રીતે થયું!

ઓડિટની માંગ: શું તપાસ થશે?

આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરૈશીએ આ ચૂંટણી રૅકોર્ડનું ઓડિટ કરવાની માંગ કરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે ફોર્મ 17C બૂથ લેવલ પર સહી કરીને સીલ કરાય છે, તો પછી એકત્રિત કરેલા ડેટામાં આટલી મોટી વિસંગતતા કેવી રીતે આવી શકે? તેમણે ભવિષ્યમાં આવા વિવાદો ન થાય તે માટે મતદાન ટકાવારી તે જ દિવસે જાહેર કરવાની અને બુથ સ્તરના આંકડા પ્રસિદ્ધ કરવાનું સૂચન કર્યું છે.