Palghar Highway Accident : મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે ટ્રક અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ટ્રકમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 20 થી 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
100થી વધુ લોકો સગાઈમાં જઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, ડહાણુ તાલુકાના બાપુગામથી 100થી વધુ લોકો એક સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે ટ્રકમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલઘર જિલ્લાના ધાનીવરી ગામ પાસે સામેથી આવી રહેલા એક કન્ટેનર સાથે ટ્રકની સામસામે ટક્કર થઈ હતી.
ભયાનક ટક્કર : ટ્રક-કન્ટેનર બંને પલટી ગયા
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક અને કન્ટેનર બંને રોડ પર પલટી ગયા હતા. અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં બેઠેલા અનેક લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. મૃતકો અને ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે.
CMએ દુઃખ વ્યક્ત કર્યું
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને હાઈવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ટ્રકમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢીને તાત્કાલિક કાસા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ
આ અકસ્માતને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર કિલોમીટરો સુધી લાંબો જામ લાગી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ પડતી ઝડપ અને ડ્રાઈવરની બેદરકારી હોવાનું મનાઈ રહ્યું છે.


