Get The App

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11ની ધરપકડ

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11ની ધરપકડ 1 - image

NEET-UG-2026 Paper Leak Case Latest Update : નીટ-યુજી પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ એક પછી એક ધરપકડો અને અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરી રહી છે. સીબીઆઈને થોડા દિવસ ધરપકડ કરાયેલી મનીષા વાઘમરેને લઈને મહત્ત્વની વિગતો હાથ લાગી છે. સીબીઆઈએ કહ્યું કે, પુણેમાંથી ઝડપાયેલી 46 વર્ષિય બ્યુટીશિયન મનીષા વાઘમરે આખી ઘટનાની ‘કોમન લિંક’ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સીબીઆઈએ મહારાષ્ટ્રના કોચિંગ જગતમાં 'M Sir'ના નામે જાણીતા અને RCC ક્લાસીસના ફાઉન્ડર શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી છે.

મનીષા વાઘમરે તમામ કડીઓના સંપર્કમાં હતી

સીબીઆઈના કહેવા મુજબ, પેપર લીક કેસના મુખ્ય આરોપીઓ, સ્કૂલના શિક્ષકો, ટ્યુશન ક્લાસના સંચાલકો અને વિદ્યાર્થીઓ કે વાલીઓને એકબીજાના સંપર્કમાં ન હતા, પરંતુ વાઘમરે વચેટીયા તરીકે આ બધાના સંપર્કમાં હતી. કમિશનના લાલચમાં આવીને વાઘમરેએ જાણીતી શાળાના શિક્ષકો સાથે ટ્યુશન ટીચરની શોધ કરી રહેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની મુલાકાત કરાવી હતી. આ ઉપરાંત તેણીએ આ સંપર્કોનો ઉપયોગ પ્રશ્નપત્ર વેચવા માટે પણ કર્યો હતો.

ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ

નીટ પેપર લીક થયા બાદ સીબીઆઈઓ સૌપ્રથમ કાર્યવાહી કરીને 14 મેના રોજ પુણેના સુખસાગર નગરમાં દરોડો પાડ્યો હતો, ત્યાંથી પાર્લર ચલાવનારી મનીષા વાઘમરેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી સીબીઆઈએ વાઘમરેને 16 મેએ કોર્ટમાં હાજર કરી 10 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીની મંજૂરી મેળવી લીધી છે. આ ઉપરાંત પેપર લીકના મુખ્ય કિંગપિન મનાતા આસિસ્ટન્ટ પ્રોફેસર પી.વી.કુલકર્ણીની પણ જ્યૂડિશિયલ કસ્ટડીની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીની એક કોર્ટે કેસની ત્રીજી આરોપી મનીષા ગુરુનાથ મંધારેની 14 દિસની જ્યૂડિશિયલ કસ્ટડીની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી...: NEET પેપર લીક કેસમાં 'M સર'ની CBI દ્વારા ધરપકડ

NTAની સભ્ય મંધારેએ વિદ્યાર્થીઓને પેપર લીક કર્યું હતું

ચોંકાવનારી વાત એ છે કે, 15 મેએ પુણેથી ધરપકડ કરાયેલી મનીષા મંધારે NTAના નીટ-યુજી-2026ના પ્રશ્નપત્ર પેનલની વિશેષ સભ્ય હતી અને તે નીટ યુજીનું પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ હતી, તેથી સીબીઆઈ મંધારેને માસ્ટરમાઈન્ડ માની રહી છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે, મંધારેએ નાણાંકીય લાભ માટે કેટલાક પસંદગીના વિદ્યાર્થીઓ વચ્ચે પેપર લીક કરી દીધું હતું. મંધારે NTAમાં નિષ્ણાત તરીકે સામેલ હોવાના કારણે તેની વનસ્પતિશાસ્ત્ર (Botany) અને પ્રાણીશાસ્ત્ર (Zoology) સુધી પુરી પહોંચ હતી.

પ્રશ્નપત્રની માહિતી ધરાવનાર મંધારે વિદ્યાર્થીઓને પ્રશ્નો વેંચ્યા

તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું કે, મંધારેએ બે અન્ય આરોપી મનીષા વાઘમરે અને પ્રહલાદ વિઠ્ઠલ રાવ કુલકર્ણી સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. મંધારેએ મોટી રકમ લઈને પસંદગીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં પુછાનારા સવાલો આપ્યા હતા. તે NTAની પેનલની સભ્ય હોવાથી અને પ્રશ્નપત્રની પ્રક્રિયામાં સામેલ હોવાના કારણે તેની છેલ્લા પ્રશ્નપત્રની માહિતી હતી, જેના કારણે તેણીએ પૈસાની લાલચમાં આવીને તે પ્રશ્નો વિદ્યાર્થીઓને લીક કરી દીધા હતા.

વાઘમરે પ્રશ્નો ખરીદનારને શોધી લાવતી હતી

સૂત્રોના જણાવ્યા મુજબ, પેપર લીકમાં મનીષા વાઘમરેની પણ મુખ્ય ભૂમિકા હતી. તેણીને કથિત એવી માહિતી મળી હતી કે, મંધારે પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા સામેલ છે. તે પછી વાઘમરે અને મંધારેએ પેપર લીક કરવાની યોજના બનાવી હતી. આક્ષેપ મુજબ, બંનેએ કુલકર્ણીને પણ ષડયંત્રમાં સામેલ કર્યા હતા. તે પછી વાઘમરેએ એવા વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી, જેઓ પ્રશ્નપત્ર ખરીદવા માટે તૈયાર થાય.

આ પણ વાંચો : NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા

ત્રણેય આરોપીઓ વચ્ચે નાણાંની ભાગબટાઈની ડીલ

તપાસ મુજબ, ટ્યૂશન શિક્ષકો શોધી રહેલા વિદ્યાર્થીઓ વાઘમરે સુધી પહોંચી ગયા હતા, જેના કારણે તે અનેક વિદ્યાર્થીઓના સંપર્કમાં હતી. તેની પર આરોપ છે કે, તેણે પ્રત્યેક વિદ્યાર્થી સાથે લગભગ 10 લાખ રૂપિયાની ડીલ કરી હતી. આ રકમ આવ્યા બાદ વાઘમરે, મંધારે અને કુલકર્ણીએ અઢી લાખથી ત્રણ લાખ અરસપરસ વહેંચવાની યોજના બનાવી હતી. વાઘમરેએ પ્રશ્નપત્ર ખરીદવા માટે કથિત ચાર-પાંચ વિદ્યાર્થીઓને મનાવી લીધા હોવાનું અને પોતાના જૂના મિત્ર ધનંજય નિવૃત્તિ લોખંડેને પ્લાનિંગ શેર કરી હતી. ત્યારપછી ધનંજયે નાસિકમાં કાઉન્સિલિંગનું કામ કરતા શુભમ ખૈરનાર સાથે સંપર્ક કર્યો હતો.

હજુ અનેક લોકોની ધરપકડ થવાના સંકેત

સૂત્રો મુજબ ધનંજયે વાઘમરે પાસેથી પ્રશ્નપત્ર લીધા અને તેને શુભમ સુધી પહોંચાડ્યા. ત્યારપછી શુભમે તેને ગુરુગ્રામમાં રહેતા યશ યાદવ અને જયપુરના કેટલાક લોકો સાથે શેર કર્યા હતા. યશ યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ વાઘમરેની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરીને કોર્ટમાં કહ્યું કે,  આ કેસમાં મોટા ષડયંત્રના સંકેત મળ્યા છે અને હજુ અનેક આરોપીની ધરપકડ કરાઈ નથી.

આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લેવા જરૂરી : CBIની કોર્ટમાં દલીલ

સીબીઆઈએ કોર્ટમાં કહ્યું કે, ‘કેસની તપાસ શરૂઆતના અને ખૂબ જ મહત્ત્વના તબક્કામાં છે. મોટા ષડયંત્રનો ખુલાસો કરી શકાય તેમજ પેપર લીકની ગેંગના અન્ય સક્રિય સભ્યોની ધરપકડ કરી શકાય અને કેસ સંબંધી પુરાવાઓ મેળવી શકાય, તે માટે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લેવા જરૂરી છે.’ બીજીતરફ આરોપીની વકીલે કસ્ટડીની માંગનો વિરોધ કરીને કહ્યું કે, મંધારે 57 વર્ષના છે અને લેક્ચરર છે. તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે, તેથી પોલીસ રિમાન્ડની જરૂર નથી.

CBIનો હવે 'M Sir'ના નામે જાણીતા શિવરાજ મોટેગાંવકર પર સકંજો

ઉલ્લેખનીય છે કે, પેપર લીક કાંડના તાર બિહાર, દિલ્હી બાદ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રના કોચિંગ જગતમાં 'M Sir'ના નામે જાણીતા અને RCC ક્લાસીસના ફાઉન્ડર શિવરાજ મોટેગાંવકર સીબીઆઈના સકંજામાં આવ્યા છે. CBIની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી તેમની સઘન પૂછપરછ કરી રહી છે. મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારી કરાવતા ક્ષેત્રમાં મોટેગાંવકર એક બહુ મોટું નામ છે.  મોટેગાંવકર પર આક્ષેપ છે કે તેઓ NEET પેપર લીક કાંડના મુખ્ય આરોપી અને રિટાયર્ડ કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીના સીધા સંપર્કમાં હતા. કુલકર્ણીની તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રોફેસર કુલકર્ણી ભૂતકાળમાં મોટેગાંવકરની સંસ્થા RCCમાં જ કેમિસ્ટ્રી ભણાવતા હતા. આમ આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ કરી છે.

પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં 10 આરોપીની ધરપકડ

નીટ પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલી લોકોની યાદી નીચે મુજબ છે.

મુખ્ય સૂત્રધારો અને મદદગારો

1. પી.વી. કુલકર્ણી: પુણેના કેમિસ્ટ્રી (રસાયણ શાસ્ત્ર)ના પ્રોફેસર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના સમિતિના સભ્ય. તેઓ આ પેપર લીકના માસ્ટર માઇન્ડ હોવાનું મનાય છે, જેમણે પ્રશ્નો પૂરા પાડ્યા હતા.

2. મનીષા ગુરુનાથ મંધારે : NTAના નીટ-યુજી-2026ના પ્રશ્નપત્ર પેનલની વિશેષ સભ્ય હતી અને તે નીટ યુજીનું પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ હતી.

3. મનીષા વાઘમરે (અથવા માંઢરે): પુણેની બ્યુટી પાર્લર માલિક અને બોટની (વનસ્પતિ શાસ્ત્ર)ના પૂર્વ શિક્ષિકા. તેમના પર બાયોલોજીના પ્રશ્નો લીક કરવાનો આરોપ છે.

4. શુભમ ખૈરનાર: મહારાષ્ટ્રના નાસિકનો રહેવાસી અને આ કૌભાંડનો મુખ્ય ચહેરો. તેના પર ‘ગેસ પેપર’ (અંદાજિત પ્રશ્નપત્ર) વહેંચવાનો આરોપ છે.

આ કૌભાંડના વચેટિયા અને લાભાર્થીઓ

5. માંગીલાલ બિવાલ: રાજસ્થાનના જયપુરનો રહેવાસી, જેને લીક થયેલું પેપર મળ્યું હોવાનો આરોપ છે.

6. વિકાસ બિવાલ: માંગીલાલ બિવાલનો પુત્ર/પરિવારનો સભ્ય, જેની જયપુરથી ધરપકડ કરાઈ છે.

7. દિનેશ બિવાલ: માંગીલાલ બિવાલના પરિવારનો સભ્ય, જેની પણ જયપુરથી ધરપકડ કરાઈ છે.

8. યશ યાદવ: હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી, જેના પર બિવાલ પરિવાર સુધી લીક થયેલું મટીરિયલ પહોંચાડવાનો આરોપ છે.

9.  મનીષ કુમાર: બિહારના પટણાથી ધરપકડ. તે આ મલ્ટી-સ્ટેટ (બહુ-રાજ્ય) પેપર લીક નેટવર્કમાં સક્રિય હતો.

10. ધનંજય લોખંડે: મહારાષ્ટ્રના અહિલ્યાનગર (અહમદનગર)નો રહેવાસી અને આ કૌભાંડનો સહયોગી.

11. શિવરાજ મોટેગાંવકર : મહારાષ્ટ્રના કોચિંગ જગતમાં 'M Sir'ના નામે જાણીતા અને RCC ક્લાસીસના ફાઉન્ડર, મુખ્ય આરોપીના સંપર્કમાં હતા.