'લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..' UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ મામલે યુએન (યુનાઇટેડ નેશન્સ) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થતાં પાકિસ્તાનની પોલ ખોલી છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલની સેન્ક્શન્સ મોનિટરિંગ ટીમે રિપોર્ટમાં જણાવ્યું છે કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે બે વખત પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. ઘટનાસ્થળની તસવીરો પણ જાહેર કરી હતી. આ હુમલો પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના થઈ શકે નહીં.
ટીઆરએફે લીધી હતી જવાબદારી
યુએનએસસીમાં ISIL (દાએશ), અલકાયદા જેવા આતંકી સંગઠનો પર દેખરેખ રાખતી ટીમે 36મો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 22 એપ્રિલના પાંચ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હુમલો કર્યો હતો. હુમલાના દિવસે જ ટીઆરએફની જવાબદારી લીધી હતી. તેમજ હુમલાની તસવીરો પણ જાહેર કરી હતી. ટીઆરએફે બીજા દિવસે પણ હુમલાની જવાબદારી લીધી. પરંતુ 26 એપ્રિલે ટીઆરએફે પોતાના દાવા પરથી પીછેહઠ કરી. ત્યારબાદ તેણે કોઈ નિવેદન આપ્યું નહીં. તેમજ અન્ય કોઈ આતંકી જૂથે પણ આ હુમલાની જવાબદારી લીધી નહીં.
આ પણ વાંચોઃ ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઇન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ
લશ્કર-એ-તૈયબાની મદદથી થયો હુમલો
યુએનએસસી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ લશ્કર-એ-તૈયબાની મદદ વિના આ હુમલો કરી શકે નહીં. આ બંને આતંકી જૂથ વચ્ચે સંબંધ છે. આ હુમલાને ટીઆરએફે અંજામ આપ્યો છે. જે લશ્કર-ઐ-તૈયબાનો પર્યાય છે. ઉલ્લેખનીય છે, હુમલા બાદ અમેરિકાએ ટીઆરએફને વિદેશી આતંકી જૂથ જાહેર કર્યું હતું. આ વર્ષે 22 એપ્રિલના રોજ પહલગામની બૈસરન ખીણમાં ત્રણ આતંકવાદીઓેએ નિર્દોષ પર્યટકો પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોની ગોળી મારી હત્યા કરી હતી. જો કે, ભારતે તેનો આકરો બદલો લીધો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત 100 આતંકીઓ અને હાલમાં જ ઓપરેશન મહાદેવની મદદથી પહલગામમાં હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતા.