Get The App

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે 'કેસરિયા'... શું દબાણમાં AAP છોડી?

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે 'કેસરિયા'... શું દબાણમાં AAP છોડી? 1 - image

Ashok Mittal Why Join BJP?: રાજકારણમાં કહેવાય છે કે દુખતી નસ પકડો એટલે ધાર્યું થાય! આવું જ કાઈંક બન્યું લાગે છે હાલમાં અશોક મિત્તલવાળા કેસમાં, આજે શુક્રવારે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે, રાઘવ ચઢ્ઢા સાથે કુલ 7 સાંસદોએ AAP છોડી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે, રાઘવ ચઢ્ઢાને હટાવીને અરવિંદ કેજરીવાલે જે અશોક મિત્તલની રાજ્યસભામાં ડેપ્યુટી લીડર તરીકે નિમણૂક કરી હતી, તે અશોક મિત્તલે પણ રાઘવ ચઢ્ઢાની સાથે AAP છોડી દીધી છે. થોડા દિવસ પહેલા જ આ અશોક મિત્તલના ઘરે EDએ દરોડા પાડયા હતા.

શું અશોક મિત્તલે મજબૂરીમાં છોડી AAP?

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ભાજપ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રાજકીય હિત સાધવામાં સફળ થયું હોવાનું જણાઈ આવે છે કારણ કે, આ એ જ અશોક મિત્તલ છે, જેમને 2 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢાના સ્થાને આમ આદમી પાર્ટીએ મોટી જવાબદારી આપતા રાજ્યસભામાં ડેપ્યુટી લીડર બનાવ્યા હતા. ત્યાર પછી 15 એપ્રિલે અશોક મિત્તલના અનેક સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પડ્યા હતા. અશોક મિત્તલના ઘર, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના કેમ્પસમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

દરોડાના 7 દિવસ પછી કેસરિયાનું કારણ શું?

લગભગ ત્રણ દિવસ ચાલેલી EDની કાર્યવાહી 17 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી, જે બાદ અચાનક જ દરોડાના 7 દિવસ પછી 24 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢા સાથે અશોક મિત્તલ પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી. આ સમગ્ર ઘટના પરથી રાજકીય પંડિતો અને લોકમુખે એવી ચર્ચા છે કે અશોક મિત્તલના ઘરે દરોડા અને ભાજપમાં જોડાવું કોઈ સંયોગ નથી. આપ નેતા સંજય સિંહે પણ કહ્યું છે કે, ભાજપે 'વોશિંગ મશીન'ની ચાંપ દબાવીને આ પ્રક્રિયા પૂરી કરી છે. 

'ઓપરેશન લોટસ'નો ભાગ?

ગુજરાત આપના નેતાઓનું પણ માનવું છે કે, અહીં ઉડીને આંખે વળગે એવી વાત છે કે સમગ્ર ઘટના ક્રમ કોઈના કોઈ રીતે અશોક મિત્તલની મજબૂરીને ઉજાગર કરી રહ્યો છે. ચાણક્ય નીતિ અને માસ્ટર સ્ટ્રોકના નામે ભાજપ અંદર ખાને 'ઓપરેશન લોટસ' ચલાવી રહ્યું છે. 

લોકશાહી પર ખતરો

ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ અનેક વખત એવું જોવા મળ્યું છે કે લોકશાહીના મૂલ્યોને નેવે ચઢાવી ED અને CBI, IT જેવી સંસ્થાઓનો ઉપયોગ રાજકીય હાથકંડા માટે થયો છે. પરંતુ સત્તાની આ રમત એ મૂલ્ય અને મતદારોના હક્ક પર ઘા કરી છે જેને કારણે જ રાજકીય પક્ષોનું અસ્તિત્વ ટકી રહ્યું છે. 

આ પણ વાંચો: પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો

અશોક મિત્તલ કોણ છે?

અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના સ્થાપક અને ચાન્સેલર છે. તેઓ પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. આપે 2 એપ્રિલ 2026 ના રોજ અશોક મિત્તલને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદે નિયુક્ત કર્યા હતા.

EDની કાર્યવાહી અને ઘટનાક્રમ

2 એપ્રિલે અશોક મિત્તલ રાજ્યસભામાં આપના ડેપ્યુટી લીડર બન્યા. ત્યારબાદ 15 એપ્રિલે અશોક મિત્તલના ઘર સહિતના સ્થળોએ ઈડીના દરોડા પડ્યા હતા. ઈડીએ જલંધરમાં અશોક મિત્તલના ઘર, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના કેમ્પસ સહિત અન્ય સ્થળોએ દરોડાની  કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન સાથે જોડાયેલી તપાસ હેઠળ કરવામાં આવી હતી. આ દરોડા લગભગ ત્રણ દિવસ સુધી ચાલ્યા અને 17 એપ્રિલ 2026 ના રોજ સમાપ્ત થયા. ત્યારબાદ શુક્રવાર, 24 એપ્રિલના રોજ સમાચાર આવ્યા કે અશોક મિત્તલે રાઘવ ચઢ્ઢાની સાથે આપ સાથે છેડો ફાડી દીધો છે.  

આ પણ વાંચો: BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી ભાજપમાં સામેલ

ED અને CBIનો દુરુપયોગ થઈ રહ્યો છે: સંજય સિંહ

સંજય સિંહે કહ્યું કે આ નેતાઓએ પંજાબની જનતાની 'પીઠમાં છરો ભોંકવાનું' કામ કર્યું છે અને રાજ્ય સાથે ગદ્દારી કરી છે. તેમના મતે, જનતા આ વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા અશોક મિત્તલ પર ઈડીની કાર્યવાહી કરાઈ હતી અને આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે.