West Bengal Election 2026 : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાય તે પહેલા જોરદાર રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કૂચબિહારના દિહાટ ખાતે ચૂંટણી રેલીને સંબોધતા ભાજપ અને એનઆઈએ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, આગામી ચૂંટણી દરમિયાન રાજ્યનું વાતાવરણ બગાડવા માટે મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
બોંબ લગાવવાનું ભાજપનું કાવતરું : મમતાનો આક્ષેપ
મમતા બેનરજી (CM Mamata Banerjee)એ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ‘ભાજપ ચૂંટણી સમયે રાજ્યમાં અશાંતિ ફેલાવવા માટે બોમ્બ લગાવવાનું કાવતરું બનાવી રહ્યો છે. મતદારોમાં ડર પેદા કરવા અને ચૂંટણી માહોલને પ્રભાવિત કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. બહારના લોકોને લાવીને સ્થાનિક લોકો પર ખોટા આરોપો લગાવવાનું આયોજન છે. આવી પ્રવૃત્તિઓ પાછળનો હેતુ માત્ર રાજકીય લાભ ખાટવાનો છે.’
મમતાએ NIAની કામગીરી પર પણ ઉઠાવ્યા સવાલ
મમતા બેનરજીએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી કે, 'એજન્સીઓનો દુરુપયોગ કરીને નિર્દોષ યુવાનોને ફસાવવાનો પ્રયાસ થઈ શકે છે. ચૂંટણી દરમિયાન NIAને લાવીને વાતાવરણ વધુ તણાવપૂર્ણ બનાવવામાં આવી રહ્યું છે.' તેમણે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિથી દૂર રહેવા અપીલ કરી હતી.
‘મારા શાસનકાળમાં આવી ઘટનાઓ જોવા મળતી નહોતી’
કૂચબિહારમાં વધી રહેલી રાજકીય હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘મારા શાસનકાળમાં આવી ઘટનાઓ જોવા મળતી નહોતી, પરંતુ હવે કૂચબિહારમાં સતત અશાંતિની ખબરો મળી રહી છે.' ચૂંટણી પંચ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, 'ચૂંટણી પંચના કાર્યકાળ હેઠળ જ્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પંચની હોય, ત્યારે આવી સ્થિતિ બગડવી તે ચિંતાનો વિષય છે.'


