Mamata Banerjee refuses to resign: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાર બાદ પણ મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની લડાઈ સતત ચાલી રહી છે. ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરી મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. આ રાજકીય ખેંચતાણ વચ્ચે હવે મમતા બેનર્જીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના બાયોમાં કરેલો ફેરફાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
શું ફેરફાર કર્યો મમતા બેનર્જીએ?
મમતા બેનર્જીએ તેમના સત્તાવાર 'X' પ્રોફાઇલ પર પોતાનો પરિચય બદલી નાખ્યો છે. તેમણે હવે 'ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક અધ્યક્ષ' અને '15મી, 16મી અને 17મી વિધાનસભા દરમિયાન મુખ્યમંત્રી લખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના બાયોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી લખેલું હતું. આ ફેરફાર સૂચવે છે કે, તેઓ વર્તમાન પરિણામોને સ્વીકારવા તૈયાર નથી અને જૂની વિધાનસભાઓના કાર્યકાળનો ઉલ્લેખ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ શાસન લગાવવું હોય તો લગાવી દો
7 મેના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ટી. રવિએ વિધાનસભા ભંગ કરી દીધી હોવા છતાં મમતા બેનર્જી રાજીનામું ન આપવાની જીદ પર અડગ છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપે આ ચૂંટણી લૂંટી છે અને મતગણતરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. તૃણમૂલ કોંગ્રેસ આ જનાદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.
કડક વલણ
મમતાએ પક્ષના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે, જો તેઓ રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગતા હોય તો ભલે લગાવે, જો મને બરતરફ કરવી હોય તો કરી દે, પણ આ દિવસને ઇતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધવા દો.
બંગાળમાં હવે આગળ શું?
મમતા બેનર્જીના આ વલણથી પશ્ચિમ બંગાળમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એકતરફ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ મમતા બેનર્જી આ જનાદેશને રાજકીય અને કાયદાકીય રીતે પડકારવા માટે મક્કમ છે.


