Get The App

કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર્ડર કેસ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર્ડર કેસ 1 - image

Lucknow Horror Murder Case : ઉત્તર પ્રદેશના લખનૌના આશિયાના વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી, તેમના મૃતદેહના ટુકડા કર્યા અને ત્યારબાદ કોઈ પણ ડર વગર મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો રહ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ભયાનક મર્ડર દરમિયાન 17 વર્ષની સગીર પુત્રી પણ હાજર હતી, જે ભયના માર્યા ચાર દિવસ સુધી મૌન રહી હોવાનો ખુલાસો થયો છે.

અભ્યાસના વિવાદમાં પિતાની હત્યા

49 વર્ષીય માનવેન્દ્ર અને તેમના પુત્ર અક્ષત વચ્ચે અવારનવાર અભ્યાસ બાબતે ઝઘડા થતા હતા. માનવેન્દ્ર ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ગમે તે કરે પણ ભણવામાં ધ્યાન આપે. 20 ફેબ્રુઆરીની રાત્રે 2 વાગ્યે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે અક્ષતે પિતા પર ગોળીબાર કરી તેમની હત્યા કરી દીધી હતી. આ સમયે તેની સગીર બહેન પણ રૂમમાં હાજર હતી, જેણે આ સમગ્ર દ્રશ્ય પોતાની નજરે જોયું હતું.

લાશના ટુકડા કરી એસિડમાં નાખ્યા

હત્યા કર્યા બાદ અક્ષતે આરી વડે પિતાના શરીરના ટુકડા કર્યા હતા. લાશને ઠેકાણે પાડવા માટે તે શરીરના અંગોને નીચેના માળે લાવ્યો અને એક વાદળી રંગના ડ્રમમાં ભરી દીધા હતા. પુરાવા નાશ કરવા માટે તેણે ડ્રમમાં એસિડની ચાર-પાંચ બોટલો પણ રેડી હતી જેથી મૃતદેહ ઓગળી જાય. અક્ષતે તેની બહેનને ધમકી આપી હતી કે, જો તે આ વાત કોઈને કહેશે તો પિતા જેવી જ તેની હાલત કરવામાં આવશે.

આ પણ વાંચો : 'જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ', ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર

હત્યા બાદ પુત્ર ક્રિકેટ રમ્યો અને પુત્રી પરીક્ષા આપવા ગઈ

આ ભયાનક ઘટનામાં આરોપીની નિર્દયતાની વાત એ છે કે, તે પિતાની હત્યાના બીજા જ દિવસે પોલીસમાં પિતા ગુમ થયા હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. પાડોશીઓના જણાવ્યા મુજબ, હત્યા બાદ અક્ષત મહોલ્લાના છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યો હતો અને તેના ચહેરા પર પસ્તાવો કે ડરની કોઈ નિશાની નહોતી. બીજી તરફ, તેની બહેન પણ ભયના ઓથાર હેઠળ હોવા છતાં સામાન્ય રીતે પરીક્ષા આપવા ગઈ હતી.

અસહ્ય દુર્ગંધ આવવા પાડોશીઓને શંકા ગઈ

ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગતા પાડોશીઓને શંકા ગઈ હતી અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જ્યારે તપાસ કરી ત્યારે વાદળી ડ્રમમાંથી માનવેન્દ્રનો મૃતદેહ મળી આવ્યો હતો. સંબંધીઓના જણાવ્યા અનુસાર અક્ષત આવું પગલું ભરશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. હાલ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે અને સગીર પુત્રીની પૂછપરછ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : હવે 'કેરલમ' નામથી ઓળખાશે કેરળ: સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય