કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Congress Crisis : કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલાવાની ચાલી રહેલી તમામ અટકળોને હાઇકમાન્ડે ફગાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, જેને પગલે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે હાઇ-વોલ્ટેજ બેઠકોનો દોર પણ યોજાયો હતો. જોકે, આ બેઠકોનો એજન્ડા કંઈક અલગ જ હતો.
કોંગ્રેસ નેતાઓએ કર્ણાટક વિવાદ પર બોલવાનું ટાળ્યું !
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર (DK Shivakumar) સાથેની લાંબી બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રણદીપ સિંહ સુરજેવાલા અને કે.સી. વેણુગોપાલે સ્પષ્ટતા કરી છે કે આ મેરેથોન બેઠક માત્ર આગામી રાજ્યસભા ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના નેતાઓએ કર્ણાટક મંત્રીમંડળમાં ફેરફાર અથવા સત્તા પરિવર્તન અંગે એક પણ શબ્દ બોલવાનું ટાળ્યું હતું.
બેઠકમાં CM બદલવા પર નહીં, કર્ણાટક ચૂંટણી પર ચર્ચા કરાઈ !
બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે રાજ્યના નેતાઓની વિગતવાર ચર્ચા થઈ છે. આ બેઠકમાં મુખ્યત્વે રાજ્યસભા અને વિધાન પરિષદ ચૂંટણીની વ્યૂહરચના પર વાત કરવામાં આવી છે અને સત્તા બદલાવાની અન્ય તમામ અટકળોમાં કોઈ સત્ય નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ મીડિયાને જણાવ્યું કે, કેબિનેટ વિસ્તરણ કે નેતૃત્વ પરિવર્તનનો કોઈ એજન્ડા ચર્ચામાં આવ્યો નથી. આ બેઠક બાદ મુખ્યમંત્રી બેંગલુરુ જવા રવાના થઈ ગયા છે.
કર્ણાટકમાં CM બદલવાની ઘણા દિવસોથી અટકળો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું હતું. એવી અફવાઓ હતી કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પદ છોડવા અને ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનો દબાવ લાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર વિવાદને ઉકેલવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા અને તેઓ નેતૃત્વ બદલવાના પક્ષમાં હતા.
રાહુલ-ખડગેએ શિવકુમાર-સિદ્ધારમૈયા સાથે જુદી જુદી બેઠક કરી
આ રાજકીય ગરમાવા વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે મંગળવારે લાંબો સમય બેઠકો ચાલી હતી, જેના કારણે સસ્પેન્સ વધુ વધ્યું હતું. પહેલા રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાએ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર સાથે સંયુક્ત બેઠક કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી અને ખડગેએ આ બંને નેતાઓ સાથે અલગ-અલગ વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી. જોકે, આ તમામ મુલાકાતોના અંતે કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ મંથન માત્ર આગામી ચૂંટણીઓની તૈયારીઓ માટે જ હતું.
આ પણ વાંચો : ‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ









