Anti Dumping Duty India : કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જે ઉત્પાદનોની સમીક્ષા કરાઈ રહી છે, તેના પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાથી વાર્ષિક અંદાજે Rs 28,540 કરોડ (3 બિલિયન યુએસ ડોલર) ના વિદેશી હૂંડિયામણની બચત થશે. એટલું જ નહીં, દેશમાં રૂ. 70,000 કરોડ ના સ્થાનિક રોકાણને મોટો વેગ મળશે. સેન્ટર ફોર ડિજિટલ ઈકોનોમી પોલિસી રિસર્ચ (C-DEP) અને વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) સ્ટડીઝ દ્વારા આજે ‘ઇમ્પેક્ટ ઓફ એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા’ એટલે કે ‘ભારતમાં એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીની અસર’ શીર્ષક હેઠળ એક વિશેષ અહેવાલ જાહેર કરાયો છે. આ અહેવાલમાં આ વાત કરાઈ છે. આ સિવાય તેમાં ડાઉનસ્ટ્રીમ ખર્ચ, ફુગાવો, MSME, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રોકાણ પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસરોનું વિસ્તૃત મૂલ્યાંકન કરાયું છે.
ઉદ્યોગ જગતના અગ્રણીઓની બેઠકમાં અહેવાલ રજૂ કરાયો
વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝના વડા પ્રીતમ બેનર્જી દ્વારા આ અહેવાલ જાહેર કરાયો હતો. ભારતના મુખ્ય સ્થાનિક ઉદ્યોગોના અગ્રણીઓ સાથેની એક બેઠકમાં રજૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં કેમિકલ્સ, પોલિમર્સ, ટેક્સટાઈલ અને અન્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એવા ક્ષેત્રો છે જેની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને ચીન અને અન્ય દેશો દ્વારા કરવામાં આવતા ડમ્પિંગથી ભારે નુકસાન પહોંચ્યું છે. આ અસરગ્રસ્ત સ્થાનિક ઉત્પાદકો Rs 2 લાખ કરોડ થી વધુનું ટર્નઓવર ધરાવે છે.
ડમ્પિંગના કારણે રોજગારી અને અર્થતંત્ર પર મોટું જોખમ
આ અહેવાલમાં કરાયેલા 33 ઉત્પાદનોના અભ્યાસ દર્શાવે છે કે, હાલના સમયગાળામાં ડમ્પ કરાયેલી આયાતથી થતું આર્થિક નુકસાન આશરે રૂ. 1.54 લાખ કરોડ જેટલું છે. વર્ષ 2030 સુધીમાં આ નુકસાન વધીને રૂ. 2.68 લાખ કરોડથી રૂ. 2.70 લાખ કરોડ ની વચ્ચે પહોંચવાની આશંકા છે. આ સાથે જ આ ક્ષેત્રોમાં જોખમમાં મુકાયેલી રોજગારીની સંખ્યા આશરે 24,000થી વધીને 38,000થી 42,000 થઈ શકે છે. આ તારણો દર્શાવે છે કે આયાત-પ્રેરિત બજારની વિસંગતતાને કારણે ભારતના અર્થતંત્ર અને રોજગાર પર લાંબા ગાળે ગંભીર અસરો થઈ શકે છે.
આ પણ વાંચો : બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની '3D' નીતિથી ફફડાટ
ફુગાવા કે ગ્રાહક કિંમતો પર નહિવત અસર
આ અહેવાલમાં એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ડાઉનસ્ટ્રીમ ખર્ચ પર નહીવત અસર થાય છે અને ફુગાવા પર તેની અસર અતિશય ઓછી છે. ડીજીટીઆર દ્વારા ભલામણ કરાયેલા એવા 56 કિસ્સાનું વિશ્લેષણ કરાયું છે, જેમાં ડ્યુટી લાગુ કરાઈ ન હતી. આ વિશ્લેષણ દર્શાવે છે કે જો ત્યાં ડ્યુટી લાગુ કરાઈ હોત, તો પણ અંતિમ ગ્રાહક કિંમતો પર તેની સરેરાશ અસર માત્ર 0.023% જ હોત. આમાંના 91% થી વધુ કિસ્સામાં આ અસર 0.10%થી પણ ઓછી હતી. જો એવી ધારણા રખાય કે, આ ડ્યુટીનો 50% બોજો ગ્રાહકો પર નાંખવામાં આવે, તો પણ પેન્ડિંગ રહેલા 21 એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ઉત્પાદનોનો ફુગાવામાં હિસ્સો 0.01% થી ઓછો છે. આ આંકડા સાબિત કરે છે કે આ ડ્યુટીથી સામાન્ય ગ્રાહકો માટે કિંમતોમાં કોઈ મોટો વધારો થતો નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદકો માટે બજારમાં તંદુરસ્ત અને વાજબી સ્પર્ધા ચોક્કસ પુનઃસ્થાપિત થાય છે.
MSME ક્ષેત્રના એકમો પર વિનાશક અસર
આ અહેવાલમાં એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ ન કરવાના કારણે MSMEs પર પડતી પ્રતિકૂળ અસરો પર વિશેષ વાત કરાઈ છે. સતત થઈ રહેલી ડમ્પ આયાતને કારણે સબ્લિમેશન-ટ્રાન્સફર પેપર, ફોન બેક કવર અને નાયલોન ફિલામેન્ટ યાર્ન જેવા ક્ષેત્રોમાં ઘણા પ્લાન્ટ્સ બંધ કરવાની નોબત આવી છે. ડ્યુટીના અભાવે નાના ઉદ્યોગો પર વિનાશક અસર પડી રહી છે, જેનાથી વિદેશી આયાત પરની નિર્ભરતા વધી છે અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતા નાશ પામી રહી છે.
તેનાથી વિપરીત, કેબલ ટાઈઝ, સિરામિક વેર અને વેક્યૂમ ફ્લાસ્ક જેવા ક્ષેત્રોમાં સમયસર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ થવાથી સ્થાનિક MSMEs ને મોટી રાહત મળી છે. તેઓ પોતાની કામગીરી ચાલુ રાખી શક્યા છે, ઉત્પાદન વધાર્યું છે અને નવું રોકાણ આકર્ષવામાં પણ સફળ રહ્યા છે.
વૈશ્વિક પ્રથાઓની સરખામણીમાં ભારતની નીતિ ઉદાર
અહેવાલમાં વિશ્લેષણ કરાયેલા આંકડા સ્પષ્ટ કરે છે કે ભારત એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો દુરુપયોગ કરી રહ્યું નથી. તેનાથી ઉલટું, અમેરિકા અને અન્ય દેશો ભારત કરતાં ઘણી મોટી માત્રામાં અને કડક રીતે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતની આ નીતિઓ હંમેશા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ રહી છે, કારણ કે ભારતની એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની ભલામણો હંમેશા WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) ના વિવાદોમાં યોગ્ય અને કાયદેસર ઠરી છે.
ત્વરિત અમલીકરણની જરૂરિયાત
અહેવાલના નિષ્કર્ષ મુજબ, વિદેશી હૂંડિયામણના વ્યયને અટકાવવા અને સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત કરવા માટે DGTR દ્વારા ભલામણ કરાયેલ એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીનો તાત્કાલિક અમલ કરવો જરૂરી છે. જે ક્ષેત્રોમાં ભારત પાસે પૂરતી સ્થાનિક ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે, ત્યાં વિદેશી ડમ્પ આયાતને મંજૂરી આપવી તે ભારતીય અર્થતંત્ર અને ભારતીય રૂપિયાના મૂલ્ય માટે નુકસાનકારક છે.
એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી સમયસર લાગુ કરવાથી સ્થાનિક ક્ષમતાઓમાં પૂરતું નવું રોકાણ સુનિશ્ચિત થશે. આ પગલું વર્ષ 2030 સુધીમાં માંગ અને પુરવઠા વચ્ચેનો મોટો તફાવત સર્જાતો અટકાવશે, આયાતી માલ પર ભારતની નિર્ભરતા ઘટાડશે, ઔદ્યોગિક ક્ષેત્રને મજબૂતી આપશે અને વર્ષ 2047 સુધીમાં વડાપ્રધાનના 'વિકસિત ભારત' ના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપશે.


