Jharkhand Rajya Sabha Polls : ઝારખંડની રાજ્યસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્યોની સારી એવી સંખ્યા હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા ચૂંટણી હારી ગયા છે. ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી જીતી ગયા છે. નથવાણીને જીતવા માટે જરૂરી 28 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના પ્રણવ ઝાને 20 વોટ મળ્યા છે. બીજી તરફ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના વૈજનાથ રામ પણ 30 વોટ મેળવીને વિજયી બન્યા છે.
ઈન્ડિયા ગઠબંધન પાસે 56 બેઠકો છતાં કોંગ્રેસની હાર !
ઝારખંડમાં રાજ્યસભાની 2 બેઠકો માટે ગુરુવારે (18 જૂન) ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન તરફથી બે અને NDA સમર્થિત પરિમલ નથવાણી મેદાનમાં હતા. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 28 ધારાસભ્યોની જરૂર હતી. ઈન્ડિયા ગઠબંધન પાસે 56 ધારાસભ્યો હોવા છતાં તેમના એક ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે.
રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે થયો ખેલ?
ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. તેમાંથી ઝારખંડ મુક્તિ મોરચા પાસે 34, કોંગ્રેસ પાસે 16, રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાસે 4 અને સીપીઆઈ-એમએલ પાસે 2 ધારાસભ્યો છે. વિપક્ષમાં ભાજપ પાસે સૌથી વધુ 21 ધારાસભ્યો છે. આ ઉપરાંત જેડીયુ, લોજપા અને આજસુ પાસે 1-1 ધારાસભ્ય છે. જેએલકેએમના જયરામ મહતો પણ 2024ની વિધાનસભા ચૂંટણી જીતીને ગૃહમાં પહોંચ્યા હતા. સરકારમાં JMM, કોંગ્રેસ, RJD અને સીપીઆઈ-એમએલ સામેલ છે એટલે કે ચારેય પક્ષો પાસે કુલ 56 ધારાસભ્યો છે. તેમ છતાં આ રાજકીય ખેલ કેવી રીતે થયો, તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.
રાજકીય ખેલ થવાના મુખ્ય કારણો
JMMની અતિ-સુરક્ષિત વ્યૂહરચના : JMM ના ઉમેદવાર વૈજનાથ રામને 30 વોટ મળ્યા છે, જ્યારે જીતવા માટે માત્ર 28 વોટની જરૂર હતી. બેઠક સુરક્ષિત કરવા માટે પાર્ટીએ પોતાના 2 વધારાના ધારાસભ્યો પાસે રામને વોટ અપાવડાવ્યો. કોંગ્રેસના પ્રણવ ઝાને પોતાની પાર્ટીના 16 અને JMM ના 4 ધારાસભ્યોના વોટ મળ્યા હોવાનું કહેવાય છે.
નથવાણીનું સફળ પક્ષપલટો ગણિત : બીજી બેઠક માટે નથવાણીના સમર્થનમાં વિપક્ષના તમામ ધારાસભ્યો એકજૂથ રહ્યા હતા અને તેમને જયરામ મહતોનું સમર્થન પણ મળ્યું હતું. આ રીતે તેમની પાસે 25 વોટ પહેલેથી હતા અને જીતવા માટે માત્ર 3 વોટ ખૂટતા હતા, પરંતુ નથવાણી 5 વધારાના વોટ મેળવવામાં સફળ રહ્યા. કોંગ્રેસ પ્રભારી કે. રાજુના જણાવ્યા મુજબ, RJD અને સીપીઆઈ-એમએલ પક્ષે દગો આપ્યો છે.
ક્રોસ વોટિંગ અને રદ થયેલા વોટ : અત્યાર સુધીની ચર્ચા મુજબ, RJD અને સીપીઆઈ-એમએલના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. નથવાણીને કુલ 5 વોટ વધુ મળ્યા હતા, જેમાંથી 2 વોટ રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ પ્રણવ ઝાને મળેલો 1 વોટ પણ રદ થયો હોવાના અહેવાલ છે.
નેતાઓ મૌન : JMM ના રાષ્ટ્રીય મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ અંગે સત્તાવાર રીતે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ પહેલા પોતાના નેતા સાથે વાત કરશે.
હાઈકમાન્ડનો આદેશ : વોટિંગ બાદ RJD ના ઓબ્ઝર્વર ભોલા યાદવે રાંચીમાં પત્રકારોને જણાવ્યું કે ધારાસભ્યોએ હાઈકમાન્ડના નિર્દેશ મુજબ જ વોટ આપ્યો છે, જોકે તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે હાઈકમાન્ડનો આદેશ શું હતો.
બિહારની હારનો ઝારખંડમાં બદલો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે એપ્રિલમાં બિહારમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં RJDના ઉમેદવાર અમરેન્દ્ર સિંહ ધારી કોંગ્રેસના ધારાસભ્યોના કારણે હારી ગયા હતા. RJDએ ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને તે જ વાતનો બદલો લીધો હોવાની રાજકીય ચર્ચા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા


