India

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા

By GS Team
18 Jun 20262 mins read
TukuTouch Logo
શિવસેના UBTના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પાર્ટીના બળવાખોર સાંસદો પર સતત બીજા દિવસે પણ આકરા પ્રહારો કર્યા છે. બુધવાર બાદ ગુરુવારે પણ દિલ્હીમાં તેમણે આ સાંસદો માટે અત્યંત આકરા અને અપશબ્દો જેવા શબ્દોનો પ્રયોગ કરીને તેમને ડરપોક અને દગાબાજ ગણાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા

Maharashtra Politics News : શિવસેના UBTના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પાર્ટીના બળવાખોર સાંસદો પર સતત બીજા દિવસે પણ આકરા પ્રહારો કર્યા છે. બુધવાર બાદ ગુરુવારે પણ દિલ્હીમાં તેમણે આ સાંસદો માટે અત્યંત આકરા અને અપશબ્દો જેવા શબ્દોનો પ્રયોગ કરીને તેમને ડરપોક અને દગાબાજ ગણાવ્યા છે.

શિંદે સરકારે બળવાખોર સાંસદોને બોડીગાર્ડ આપ્યા : સંજય રાઉત

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જ્યારે સંજય રાઉતને બળવાખોર સાંસદોને મળેલી સુરક્ષા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘તેમને પોતાના લોકસભા વિસ્તારમાં આવવું જોઈએ અને એ જ રીતે મુક્તપણે ફરવું જોઈએ જે રીતે તેઓ જ્યારે અમારી સાથે હતા ત્યારે ફરતા હતા. શિંદે સરકારે તેમને આગળ-પાછળ બોડીગાર્ડ આપી દીધા છે, તેઓ એવી રીતે ફરી રહ્યા છે જાણે તેમને કોઈ શૌર્યચક્ર મળ્યું હોય.’

સૌથી મોટી ગુનેગાર સુપ્રીમ કોર્ટ : રાઉત

સંજય રાઉતે (Sanjay Raut) સુપ્રીમ કોર્ટ પર પણ નિશાન સાધતા કહ્યું કે, ‘સૌથી મોટી ગુનેગાર સુપ્રીમ કોર્ટ છે. લોકશાહીના લીરેલીરા ઉડાડવામાં સૌથી મોટી ભૂલ સુપ્રીમ કોર્ટની છે. જો સુપ્રીમ કોર્ટે સમયસર યોગ્ય પગલાં લીધા હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત.’

બેઠકમાંથી 6સાંસદો ગાયબ, વ્હીપના ઉલ્લંઘન બદલ કાર્યવાહીની તૈયારી

ઉલ્લેખનીય છે કે, શિવસેના UBT દ્વારા ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ તેમાં માત્ર 3 સાંસદો (અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે) જ હાજર રહ્યા હતા, જ્યારે બાકીના 2026ના આ વર્ષની ચૂંટણીઓમાં જીતેલા 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. આ સાંસદોએ શિવસેના UBTથી અલગ થવાનું મન બનાવી લીધું હોવાના અહેવાલ છે. હવે પાર્ટી વ્હીપના ઉલ્લંઘન બદલ આ બળવાખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

બળવાખોર સાંસદોને કારણ દર્શાવો નોટિસ

દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ સંજય રાઉતે જણાવ્યું કે, ‘બેઠકમાં લોકસભાના ત્રણ સાંસદો હાજર રહ્યા હતા અને હું રાજ્યસભામાંથી હાજર હતો. જે સાંસદો બેઠકમાં નથી આવ્યા તેમણે પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તેમની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમને કારણ દર્શાવો નોટિસ મોકલીને જવાબ માંગવામાં આવશે અને તેમની સદસ્યતા રદ કરવા પર પણ વિચાર કરવામાં આવશે. તેઓ હજુ પણ અમારી જ પાર્ટીના સભ્યો છે અને અમારા ચૂંટણી ચિહ્ન પર જીત્યા છે. જો તેઓ વ્હીપનું ઉલ્લંઘન કરશે તો તેમણે કાયદાકીય પરિણામો ભોગવવા પડશે. ભાજપે દેશની અને ખાસ કરીને મહારાષ્ટ્રની રાજનીતિને ગંદી કરી છે, જેની કિંમત તેમણે ચૂકવવી પડશે.’