India

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી

By GS Team
18 Jun 20263 mins read
TukuTouch Logo
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી એક બેઠક પર ભાજપ (BJP) સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી જીતી ગયા છે, જ્યારે બીજી બેઠક પર ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના બૈદ્યનાથ રામ વિજેતા બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી

Jharkhand Rajya Sabha Election : ઝારખંડ રાજ્યસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી એક બેઠક પર ભાજપ (BJP) સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી જીતી ગયા છે, જ્યારે બીજી બેઠક પર ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના બૈદ્યનાથ રામ વિજેતા બન્યા છે. 

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ 'X' (ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ઝારખંડથી રાજ્યસભા ચૂંટણીમાં NDA સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણીને જીત બદલ અભિનંદન, તેમને કુલ 28 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને માત્ર 20 વોટ મળ્યા. મહાગઠબંધન ખરાબ રીતે હાર્યું છે.'

પરિમલ નથવાણીની પ્રતિક્રિયા આવી સામે

રાજ્યસભાની ચૂંટણી જીતવા પર પરિમલ નથવાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, 'રાજ્યસભાના સભ્ય તરીકે ચોથી ટર્મ માટે સેવા કરવાની તક મળવા બદલ હું ખૂબ જ આભારી છું. આ ક્ષણ મારા માટે ખૂબ જ ભાવુક કરનારી છે, કારણ કે ઝારખંડથી આ મારી ત્રીજી ટર્મ હશે, આ એ જ ધરતી છે, જ્યાંથી 2008માં મારી સંસદીય સફર શરૂ થઈ હતી. પોતાની કર્મભૂમિમાં ફરી એકવાર પરત ફરવું એ મારા માટે ખૂબ જ ગર્વ અને નમ્રતાનો વિષય છે.'

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, અને બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. મતદાન કરનારા 81 ધારાસભ્યોમાં મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય દંડક નવીન જયસ્વાલ, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પ્રદીપ યાદવ અને સંસદીય કાર્ય મંત્રી રાધાકૃષ્ણ કિશોર સામેલ છે.

ચૂંટણી દરમિયાન JMMના ઉમેદવાર બૈદ્યનાથ રામે પોતાની જીત પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું હતું કે, '‘ઈન્ડિયા’ ગઠબંધનના ઉમેદવારો બંને રાજ્યસભા બેઠકો જીતશે.' પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરે પણ કહ્યું હતું કે, 'તેમાં કોઈ શંકા નથી કે ‘ઈન્ડિયા’ ગઠબંધન ચૂંટણી જીતશે.' બીજી તરફ નથવાણીએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'મને તમામ પક્ષોનું સમર્થન છે, અને જીતનો ભરોસો છે. સાંજ સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે.'

કોણ છે પરિમલ નથવાણી?

પરિમલ નથવાણી વરિષ્ઠ રાજ્યસભા સાંસદ છે. તેઓ વર્ષ 2008 અને 2014માં ઝારખંડથી અને 2020માં આંધ્રપ્રદેશથી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ચોથી વખત રાજ્યસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે. નથવાણી ગુજરાત ક્રિકેટ અને ફૂટબોલ એસોસિએશનોમાં પણ ટોચના હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને મુકેશ અંબાણીના અત્યંત નજીકના સહયોગી છે.'

કોણ છે બૈદ્યનાથ રામ?

બૈદ્યનાથ રામ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કદાવર નેતા અને ધારાસભ્ય છે. તેઓ ઝારખંડ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ઝારખંડના એસસી (SC) નેતાઓમાં બૈદ્યનાથ રામ એક અગ્રણી ચહેરો ગણાય છે. તેઓ અગાઉ ભાજપ સાથે પણ જોડાયેલા હતા, અને લાતેહાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તેમજ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2019ની ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ JMMમાં જોડાયા હતા, અને હવે પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા છે.