Get The App

Explainer: શું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનો વિવાદ 2008 જેવી વૈશ્વિક મહા મંદી લાવશે? જાણો નિષ્ણાતો શું કહે છે

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: શું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનો વિવાદ 2008 જેવી વૈશ્વિક મહા મંદી લાવશે? જાણો નિષ્ણાતો શું કહે છે 1 - image

A Choked Hormuz, A Broken Globe : મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની અને રાજદ્વારી રીતે પરિસ્થિતિને કાબૂમાં લેવાની આશાઓ હવે ઝડપથી ઝાંખી પડી રહી છે. એક તરફ ઈરાન કુવૈત પર નવા હુમલા કરી રહ્યું છે અને બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકા જવાબી સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ બંને ઘટનાએ વૈશ્વિક સ્તરે અત્યંત ખતરનાક સ્થિતિ સર્જી છે અને તે એ કે આ વિવાદ ઉકેલવાની સમયની બારી ઝડપથી બંધ થઈ રહી છે. 

અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર એક એવા ભૂ-રાજકીય અખાડાનો ભોગ બની ગયું છે, જેને શાંત કરવાની હાલમાં કોઈ શક્યતા જણાતી નથી કારણ કે, કોઈપણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. જે કટોકટી એક પ્રાદેશિક સંઘર્ષ તરીકે શરૂ થઈ હતી, તે હવે વૈશ્વિક આર્થિક મહામારીનું રૂપ ધારણ કરી ચૂકી છે.

યુદ્ધવિરામ નામ માત્રનો, હકીકતમા વિનાશ ચાલુ છે

કાગળ પર ભલે એપ્રિલથી યુદ્ધવિરામ હોય, પરંતુ જમીની હકીકત તદ્દન અલગ અને ભયાનક છે. તાજેતરમાં જ બુધવારે કુવૈત પર ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા કરાયા, જેમાં ત્યાંના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. આ હુમલામાં 1 મોત થયું છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં, ઈરાને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર પણ હુમલાનો દાવો કર્યો છે, જોકે યુએસ સેન્ટ્રલ કમાન્ડે નુકસાનની વાત નકારી છે.

આના જવાબમાં અમેરિકાએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. યુએસ સૈન્ય દ્વારા દક્ષિણ ઈરાનમાં મિસાઈલ લોન્ચ સાઇટ્સ અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવેલા કેશ્મ ટાપુ નજીકના લક્ષ્યો પર ભારે બોમ્બમારો કરાયો છે. બંને દેશ શાંતિના માર્ગે ચાલવાને બદલે બદલો લેવાના ચક્રવ્યૂહમાં ફસાયા છે, જેના કારણે લેબેનોન સહિતના વ્યાપક પ્રાદેશિક મુદ્દા પરની વાટાઘાટો સંપૂર્ણપણે સ્થિર થઈ ગઈ છે.

આ પણ વાંચો : ન્યૂયોર્કના મેનહોલનું રહસ્ય: રાત્રે ગટરમાં ઉતરીને શું શોધી રહ્યા છે લોકો? પોલીસ પણ દંગ!

હોર્મુઝ સ્ટ્રેટ: વૈશ્વિક ઊર્જાની રૂંધાતી ‘ધમની’

આ સમગ્ર સંકટનું કેન્દ્રબિંદુ 'હોર્મુઝ સ્ટ્રેટ' છે. આપણા શરીરની મહત્ત્વની ગણાતી ધમનીનું જે કામ છે, તેવું જ કામ વૈશ્વિક અર્થતંત્રમાં હોર્મુઝના જળમાર્ગનું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષને કારણે આ રૂટ પરથી વ્યાપારી જહાજોની અવરજવર ભારે પ્રતિબંધિત થઈ ગઈ છે.

  • ગુપ્ત વ્યૂહરચના: બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પહેલા આ જહાજોને સૈન્ય સુરક્ષા આપવાની યોજના જાહેર કરાઈ હતી, પરંતુ બાદમાં તે પડતી મૂકાઈ. હવે યુએસ સૈન્ય અત્યંત ગુપ્ત અને અલગ વ્યૂહરચના અપનાવી રહ્યું છે.
  • ટ્રાન્સપોન્ડર બંધ: પકડાઈ જવાના ડરથી અને ઈરાની દરિયાઈ માઇન્સ (સુરંગો)થી બચવા માટે વેપારી જહાજો પોતાના ટ્રાન્સપોન્ડર (Transponders) બંધ કરી રહ્યા છે અને ઓમાનના દરિયા કિનારાની નજીકથી પસાર થઈ રહ્યા છે.
  • પુરવઠાના પુનઃસ્થાપનમાં વિલંબ: સૌથી ચિંતાજનક બાબત એ છે કે જો આવતીકાલે શાંતિ કરાર થઈ જાય, તો પણ આ રૂટને સામાન્ય થતા મહિનાઓ લાગશે. કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનના અંદાજ મુજબ, હોર્મુઝ સંપૂર્ણ ખૂલ્યા પછી પણ 6 થી 8 અઠવાડિયામાં માત્ર 70% ઓઈલનું ઉત્પાદન જ પુનઃસ્થાપિત કરી શકાશે.

ઊર્જા બજાર પર આફત અંગે ગંભીર ચેતવણી

મૂડીઝ એનાલિટિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝાંડીએ બિઝનેસ ઇનસાઇડર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમેરિકા પાસે આ મુદ્દો ઉકેલવા માટે હવે મહિનાઓ નહીં, પણ માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. તેમણે એક સરળ આર્થિક સમીકરણ સમજાવ્યું છે:

ઓઈલના ભાવ વધશે, તો ગેસોલિન/પેટ્રોલ મોંઘું થશે. તેના કારણે સામાન્ય માણસની બચત ઘટશે અને બજારમાં ગ્રાહકોનો ખર્ચ ઘટશે. છેવટે આર્થિક મંદી આવશે.

અમેરિકામાં જ ગેસોલિનના ભાવ સતત વધી રહ્યા છે. માર્ક ઝાંડીના મતે, જો ગેસોલિનનો ભાવ $5 પ્રતિ ગેલન સુધી પહોંચશે અને ક્રૂડ ઓઇલ $125 પ્રતિ બેરલની સપાટી વટાવશે, તો વૈશ્વિક અર્થતંત્રને મંદીમાં જતા કોઈ રોકી નહીં શકે.

આ પણ વાંચો : પરંપરાના નામે ક્રૂરતા: 1000 વર્ષ જૂની પ્રથા માટે સમુદ્રમાં વહ્યું લોહી, 700થી વધુ વ્હેલ અને ડોલ્ફિનની દર્દનાક હત્યા

OECD નો આંચકાજનક અહેવાલ: 2008 જેવી મહામંદીનું જોખમ

‘ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ’ (OECD) એ તેના જૂનના આર્થિક આઉટલુકમાં વૈશ્વિક વિકાસના અંદાજો ઘટાડી દીધા છે. OECD એ બે અલગ-અલગ સ્થિતિ રજૂ કરી છે: જેમ કે... 

આર્થિક સ્થિતિ

2025માં વૃદ્ધિ દર

2026માં વૃદ્ધિ દર

2027માં વૃદ્ધિ દર

જો અત્યારે જ શાંતિ સ્થપાય તો

3.4%

2.8%

ધીમો સુધારો

જો વિવાદ 2027 સુધી ખેંચાય તો

2.1%

1.8%

ગંભીર મંદી


જો વૈશ્વિક વિકાસ દર 2.1% કે 1.8% સુધી ગગડશે, તો આ સ્થિતિ વર્ષ 2008 ના ફાઈનાન્સિયલ ક્રેશ અને કોવિડ-19 મહામારી જેવી ભયાનક આર્થિક કટોકટી સમાન હશે. OECD ના મુખ્ય અર્થશાસ્ત્રી સ્ટેફાનો સ્કાર્પેટાએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘વિક્ષેપો જેટલા લાંબા ગાળાના હશે, સામાજિક અને આર્થિક કિંમત તેટલી જ મોટી ચૂકવવી પડશે.’

યુરોપમાં ઉદ્યોગોનો ધબડકો, રોજગારીનું સંકટ

એશિયા સિવાય આ સંકટની સૌથી મોટી અસર યુરોપ પર થવાની સૌથી વધારે શક્યતા છે.

  • યુરોપિયન કમિશનના અંદાજ પ્રમાણે, વધતા ઊર્જા ખર્ચને કારણે આ વર્ષે યુરોપમાં આશરે 13 લાખ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.
  • એકલો ઓટોમોટિવ ઉદ્યોગ જ 6 લાખ જેટલી નોકરીઓ ગુમાવી શકે છે.
  • આ સિવાય સ્ટીલ, કેમિકલ્સ, કન્સ્ટ્રક્શન, બેટરી પ્રોજેક્ટ્સ અને સોલાર ઉત્પાદન ક્ષેત્રોમાં પણ મોટાપાયે છટણી થઈ શકે છે.

યુરોપ હજુ માંડ રશિયા-યુક્રેન યુદ્ધના આંચકામાંથી બહાર આવી રહ્યું હતું, ત્યાં આ બીજા ઊર્જા સંકટે ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં બિનઔદ્યોગિકીકરણ (Deindustrialization) નો ભય પેદા કર્યો છે.

એશિયાઈ દેશોના ઊર્જા ભંડાર અપૂરતા

ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયાના અર્થતંત્રો ખાડી દેશોના ઓઈલ અને ગેસ પર ભારે નિર્ભર છે. જો કે જાપાન અને દક્ષિણ કોરિયા પાસે કટોકટી માટે વ્યૂહાત્મક ભંડાર (Strategic Reserves) છે, પણ લાંબા ગાળાના સંકટ સામે તે અપૂરતા સાબિત થશે. ભારતે તો પુરવઠાના દબાણને કારણે અત્યારથી જ કેટલાક ક્ષેત્રોમાં ગેસનો વપરાશ રેશનિંગ (નિયંત્રિત) કરવાનું શરૂ કરી દીધું છે. એશિયાના ઉત્પાદન ક્ષેત્ર માટે આ એક બહુ મોટો ફટકો છે.

રાજદ્વારી મડાગાંઠને કારણે નાણાકીય બજારોમાં ગભરાટ

શેરબજારો અને રોકાણકારો માત્ર વર્તમાન ઘટનાઓથી જ નહીં, પરંતુ ભવિષ્યની અનિશ્ચિતતાથી પણ ડરેલા છે. વડાપ્રધાન કક્ષાએ કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વારંવાર દાવો કરાય છે કે ઈરાન સાથે ડીલ નજીક છે, પરંતુ વાસ્તવિકતામાં વાટાઘાટો અટકેલી છે. ઈરાન આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવાની અને તેલની આવક સુરક્ષિત કરવાની માંગ કરી રહ્યું છે, જ્યારે અમેરિકા ઈરાનની આ નીતિ સામે નમવા તૈયાર નથી.

કંપનીઓ યુદ્ધ કે મોંઘા તેલ સાથે અનુકૂલન સાધી શકે છે, પરંતુ તેઓ 'અનિશ્ચિતતા' સહન કરી શકતી નથી. લાંબા ગાળાના આવા લકવાને કારણે વિશ્વભરની કંપનીઓ નવું રોકાણ અટકાવી રહી છે અને નવી ભરતીઓ પાછી ઠેલી રહી છે, જે પોતે જ મંદી લાવવા માટે પૂરતું છે.

રાજદ્વારી નિષ્ક્રિયતા ભારે પડશે

અત્યાર સુધી વૈશ્વિક બજારો ટ્રમ્પના આશ્વાસનો પર ટકેલા હતા, પરંતુ હવે આર્થિક અંદાજો અને આંકડાઓ વિપરીત સંકેતો આપી રહ્યા છે. રાજદ્વારી નિષ્ક્રિયતાનું દરેક અઠવાડિયું ભવિષ્ય માટે અબજો ડોલરનું નુકસાન લાવી રહ્યું છે. જો આગામી થોડા દિવસોમાં કોઈ નક્કર રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો સમજી લેવું કે વૈશ્વિક મંદીની શરૂઆત થઈ ચૂકી છે.