Get The App

'ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર', મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
'ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર', મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન 1 - image
Image Source: IANS

Iran Israel US Conflict: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ગંભીરતાથી લઈને  ભારત સરકારે ફરી એકવાર તમામને સંયમ રાખવાની અપીલ કરી છે. ખાડી દેશોમાં 28 February 2026ના રોજ આ સંઘર્ષની શરૂઆત થઈ, ત્યારે પણ ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તે સમયે પણ ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ વધારવાનું ટાળવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. કમનસીબે, પવિત્ર રમઝાનના માસમાં આ પ્રદેશની સ્થિતિ નોંધપાત્ર રીતે વણસી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને વિવિધ મુદ્દે વાત કરી છે. 

અન્ય રાષ્ટ્રો સુધી યુદ્ધ પહોંચ્યું, મૃત્યુઆંક વધ્યો  

હાલના દિવસોમાં, આપણે આ સંઘર્ષની તીવ્રતા જોઈ છે. આ યુદ્ધ હવે અન્ય રાષ્ટ્રોમાં ફેલાઈ રહ્યું છે. વિનાશ અને મૃત્યુના આંકડા વધ્યા છે. સામાન્ય જીવન અને આર્થિક પ્રવૃત્તિ થંભી ગઈ છે. ખાડી દેશોની સુરક્ષા અને સ્થિરતામાં મહત્ત્વના હિતો ધરાવતા પાડોશી તરીકે ભારત ખૂબ જ ચિંતિત છે. 

ખાડી દેશોમાં 1 કરોડ ભારતીયોની ચિંતા

ખાડી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે. તેમની સુરક્ષા અને સુખાકારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમને નકારાત્મક રીતે અસર કરતા કોઈપણ વિકાસ પ્રત્યે આપણે ઉદાસીન રહી શકીએ નહીં. આપણો વેપાર અને ઊર્જા પુરવઠાની ચેઈન પણ આ ભૌગોલિક વિસ્તારમાંથી પસાર થાય છે. કોઈ પણ મોટો વિક્ષેપ ભારતીય અર્થતંત્ર માટે ગંભીર પરિણામો સર્જી છે. ભારત એક એવો દેશ છે, જેના નાગરિકો વૈશ્વિક શ્રમિકોની સંખ્યામાં અગ્રણી છે. ભારત વેપારી જહાજો પરના હુમલાનો પણ સખત વિરોધ કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા હુમલાના કારણે કેટલાક ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે.

અમે સતત શાંતિની અપીલ કરીએ છીએઃ ભારત 

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સંવાદ અને રાજદ્વારી માર્ગે વિવાદ ઉકેલવાનું, ફરી એકવાર ભારપૂર્વક કહે છે. અમે સંઘર્ષના વહેલા અંતની તરફેણમાં અવાજ ઉઠાવીએ છીએ. પહેલેથી જ ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને અમે તે બાબતે શોક વ્યક્ત કરીએ છીએ.  અસરગ્રસ્ત દેશોમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકો અને સામુદાયિક સંગઠનો સાથે ગાઢ સંપર્કમાં છે. અમે નિયમિત એડવાઇઝરી પણ જાહેર કરી રહ્યા છે. આ યુદ્ધના કારણે ફસાયેલા લોકોને શક્ય તમામ મદદ પણ પૂરી પાડી છે. દૂતાવાસો અને આ સંઘર્ષને લગતી વિવિધ મુશ્કેલીઓ ઉકેલવામાં સક્રિય રહેશે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ: ભારત પાસે 25 દિવસનો ક્રૂડ ઓઈલ સ્ટોક ઉપલબ્ધ, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર

આ નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, અમે આ ક્ષેત્રની સરકારો તેમજ અન્ય મુખ્ય ભાગીદારોના સંપર્કમાં છીએ. ભારત સરકાર સતત બદલાતી સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. અમે ખાતરી આપીએ છીએ કે, અમે  રાષ્ટ્ર હિતમાં સંબંધિત નિર્ણયો લઈશું.