India Sri Lanka Fuel Supply : અમેરિકા-ઈઝરાયલે યુદ્ધ શરૂ કર્યા બાદ ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દેતા વિશ્વભરમાં ક્રૂડ ઓઈલ અને LPG ગેસની ભારે અછત ઉભી થઈ છે. જોકે ઈરાને ભારત જેવા મિત્ર દેશો માટે હોર્મઝ બંધ કર્યું નથી. હોર્મુઝમાંથી ક્રૂડ ઓઈલ અને એલપીજીના જહાજો સતત ભારત તરફ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક જહાજો પહોંચી પણ ચુક્યા છે. બીજીતરફ ભારતના પડોશી દેશોમાં સ્થિતિ ચિંતાજનક છે. શ્રીલંકા ક્રૂડ ઓઈલની ભારે અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતે પડકારજનક સમયમાં શ્રીલંકાની મદદ કરી છે.
શ્રીલંકાએ ભારતનો આભાર માન્યો
શ્રીલંકાના સાંસદ નેતા નમલ રાજપક્ષાએ ભારતના વખાણ કર્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ભારત એક મિત્રની જેમ સાથે ઉભુ રહ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમણે ભારત દ્વારા 38000 ટન પેટ્રોલિયમ મોકલવા બદલ આભાર પણ માન્યો છે. રાજપક્ષાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની પ્રજાએ ફરી શ્રીલંકાને 38000 ટન પેટ્રોલિયમ જથ્થો આપીને પડોશી પહેલાની નીતિને કાયમ રાખી છે.’
સંકટ સમયે ભારત અમારી મદદ કરનારો પ્રથમ દેશ : શ્રીલંકન સાંસદ
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘શ્રીલંકા પર સંકટ સમયે ભારત હંમેશા સૌ પ્રથમ મદદ કરનારો દેશ રહ્યો છે. જરૂરી ચીજવસ્તુઓના પુરવઠા લઈને આર્થિક મદદ વખતે ભારતે પડોશી પહેલાની નીતિ અપનાવી મદદ કરી છે. હું શ્રીલંકન સરકારને વિનંતી કરું છું કે, ભારતે તાજેતરમાં જ ઈંધણ કર ઘટાડવાનો જે નિર્ણય કર્યો છે, તેવા નિર્ણય પર શ્રીલંકન સરકાર વિચાર કરે. ભારતે માત્ર કિંમતો ઘટાડવા માટે ઉત્પાદન કર ઘટાડ્યો નથી, પરંતુ તેઓએ માર્કેટને સ્થિર કરવા અને વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક થયેલા વધારાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતનો વધતી અટકાવવા માટે કર્યો છે.
ભારતે શ્રીલંકાને ઇંધણનો જથ્થો પહોંચાડ્યો
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી સ્થિતિ હતી, પરંતુ ભારતે સમયસર મદદ મોકલીને શ્રીલંકાને મોટી રાહત આપી છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને શનિવારે (28 માર્ચ, 2026) જણાવ્યું હતું કે, ભારતે શ્રીલંકાને કુલ 38,000 મેટ્રિક ટન (MT) પેટ્રોલિયમ પદાર્થોની ડિલિવરી કરી છે. જેમાં 20,000 MT ડીઝલ, 18,000 MT પેટ્રોલનો સમાવેશ થાય છે.
PM મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે વચ્ચે વાતચીત
આ મહત્ત્વપૂર્ણ મદદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે 24 માર્ચ, 2026ના રોજ થયેલી ટેલિફોનિક વાતચીત બાદ મળી છે. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં યુદ્ધ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધ અને ભારત-શ્રીલંકા વચ્ચે ઊર્જા સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
શ્રીલંકામાં ઈંધણ સંકટ કેમ સર્જાયું?
શ્રીલંકાની IOCએ અગાઉ પશ્ચિમ એશિયા અને સિંગાપોરથી ઇંધણ મંગાવવા માટે કોન્ટ્રાક્ટ કર્યા હતા. પરંતુ ત્યાં ચાલી રહેલા યુદ્ધ અને જહાજોની અનુપલબ્ધતાને કારણે સપ્લાયરોએ માલ મોકલવામાં અસમર્થતા દર્શાવી હતી. આ કટોકટીમાં શ્રીલંકાએ ભારત પાસે રેસ્ક્યુ સપ્લાય માટે વિનંતી કરી હતી.


