IAF Sukhoi-30 MKI Goes Missing Over Assam : ગુરુવારે સાંજે ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ગુમ થયું હોવાનું સામે આવ્યું હતું. જે હવે ક્રેશ થયાની માહિતી ખુદ ઈન્ડિયન એરફોર્સે આપી છે. આ Su-30 જેટ આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને પછી અચાનક કર્બી આંગલોંગ જિલ્લામાંથી રડાર પરથી ગાયબ થઈ ગયું છે. ગુવાહાટીમાં સંરક્ષણ મંત્રાલયના પીઆરઓએ જણાવ્યું હતું કે, ફાઈટર પ્લેનનો રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. માહિતી અનુસાર સ્ક્વાડ્રન લીડર અનુજ અને લેફ્ટ. પૂર્વેશ દુરાગકરનું આ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. ભારતીય વાયુસેનાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ભારતીય વાયુસેનાએ આપી માહિતી
ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુખોઈ 30ના ગુમ થવા અંગે પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, "ભારતીય વાયુસેનાનું Su-30 MKI વિમાન ગુમ થયાના અહેવાલ છે. વિમાન આસામના જોરહાટથી ઉડાન ભરી હતી અને તેનો છેલ્લે સાંજે 7:42 વાગ્યે સંપર્ક કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેના (IAF) એ Su-30 ફાઈટર જેટ દુર્ઘટનામાં સ્ક્વૉડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરગકરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વાયુસેનાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ દુર્ઘટનામાં બંને અધિકારીઓએ જીવલેણ ઈજાઓ થઇ હતી અને તેઓ શહીદ થયા છે. વાયુસેનાના તમામ જવાનો અને અધિકારીઓએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને દુઃખની આ ઘડીમાં તેઓ આ પરિવારોની સાથે મક્કમતાથી ઊભા છે.
Su-30MKI ફાઈટર જેટની ખાસિયત
Su-30MKI ફાઈટર જેટ ઝડપી અને ધીમી ગતિએ હવામાં દુશ્મનોને છેતરીને હુમલો કરી શકે છે. Su-30MKI એ રશિયાના Su-27નું એડવાન્સ વર્ઝન છે. એરફોર્સ પાસે 272 Su-30MKI છે. આ જેટ ગ્રીજેવ-શિપુનોવ ઓટોકેનનથી સજ્જ છે. જે એક મિનિટમાં 150 રાઉન્ડ ફાયર કરે છે.
Su-30MKI ફાઈટર જેટમાં 12 હાર્ડ પોઈન્ટ છે. તેમાં 4 પ્રકારના રોકેટ લગાવી શકાય છે. ચાર પ્રકારની મિસાઈલ અને 10 પ્રકારના બોમ્બ તહેનાત કરી શકાય છે. આ ફાઈટર જેટમાં હાર્ડપોઈન્ટ પર હથિયારો ફાયર કરવાની વધુ સુવિધાઓ છે. જો એકથી વધુ રેક લગાવવામાં આવે તો તેમાં 14 હથિયારો લગાવી શકાય છે. તે કુલ 8130 કિલોગ્રામ વજનના હથિયારો ઉપાડી શકે છે. તેમાં બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત કરી શકાય છે. ચીન અને પાકિસ્તાન જાણે છે કે બ્રહ્મોસ મિસાઈલ કેટલી ઘાતક અને ઝડપી છે. સુખોઈમાં લગાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઈલની રેન્જ 500 કિ.મી. છે.


