Himachal Pradesh Financial Crisis : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો 30 ટકા, ધારાસભ્યોનો, 20 ટકા અને સરકારી અધિકારીઓનો 30 ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો 30 ટકા પગાર અટાકીવ દેવાયો છે.
ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓને પૂરો પગાર મળશે
મુખ્યમંત્રી સુક્ખુએ એવું પણ કહ્યું છે કે, ત્રીજા અને ચોથા વર્ગના તમામ કર્મચારીઓને પૂરો પગાર મળશે. કામચલાઉ ધોરણે પગાર કાપવાનો નિર્ણય લેવાયો છે અને રાજ્યની આર્થિક સ્થિતિ યોગ્ય થયા બાદ કપાયેલો પગાર પરત દેવામાં આવશે. તેમણે હાઈકોર્ટના ન્યાયાધીશોને પગાર મુદ્દે વિવેકપૂર્ણ નિર્ણય લેવા વિનંતી કરી છે.
અગાઉની સરકારોમાં પગાર-પેન્શનની રકમમાં વધારો થતા પગાર કાપનો નિર્ણય લેવાયો
મુખ્યમંત્રીએ કહ્યું કે, અગાઉની સરકારોના સમયમાં પગાર અને પેન્શન રકમ વધીને 13000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તેથી આગામી છ મહિના સુધી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રીનો 30 ટકા, મંત્રીમંડળના સભ્યોનો 30 ટકા, ધારાસભ્યોનો 20 ટકા પગાર ડિફર કાપવામાં આવશે અને આ નિર્ણય આગામી છ મહિના સુધી લાગુ રહેશે. તેમણે વિશ્વસ આપી કહ્યું કે, વર્તમાન સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર અને વ્યવસ્થિત ચૂકવણી કરશે તેમજ તેઓના હિતને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ પણ વાંચો : હોર્મુઝના બદલે ભારતે નવો રસ્તો શોધી કાઢ્યો, ઓઇલ સંકટ દૂર કરવા આ દેશ સાથે કરી મોટી ડીલ!
પોલીસ વિભાગમાં પણ પગાર કાપ
આ ઉપરાંત તમામ ચેરમેન, વાઈસ ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સલાહકારોનો 20 ટકા પગાર પણ આ સમયગાળા માટે ડિફર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વરિષ્ઠ વહીવટી, પોલીસ અને વન અધિકારીઓના સ્તરે પણ યોગદાન સુનિશ્ચિત કરવામાં આવશે. મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને તમામ અગ્ર સચિવોના પગારના 30 ટકા, જ્યારે સચિવો અને વિભાગીય વડાઓના પગારના 20 ટકા હિસ્સાને અટકાવી દેવામાં (ડિફર) આવશે. તેવી જ રીતે પોલીસ વિભાગમાં ડીજીપી અને એડીજીપી સ્તરના અધિકારીઓના 30 ટકા, જ્યારે આઈજી, ડીઆઈજી, એસએસપી અને એસપી સ્તરના અધિકારીઓના 20 ટકા પગારને અટકાવવામાં આવશે. વન વિભાગમાં પણ ઉચ્ચ અધિકારીઓ માટે આ જ પ્રકારની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. ગ્રુપ એ અને ગ્રુપ બીના અધિકારીઓના પગારનો 3 ટકા હિસ્સો આગામી છ મહિના માટે અટકાવી દેવામાં આવશે, જ્યારે ગ્રુપ સી અને ગ્રુપ ડીના કર્મચારીઓને આ નિર્ણયમાંથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા છે અને તેમને પૂરો પગાર મળતો રહેશે.
CMએ અગાઉની સરકારો પર સાધ્યું નિશાન
મુખ્યમંત્રી સુક્ખુએ કહ્યું કે, કર્મચારીઓના સહયોથી રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને વિકાસને આગળ વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં વર્તમાન આર્થિક સંકટ ઉભું થયું છે, તે અગાઉની સરકારના નબળા નાણાંકીય વહિવટીનું પરિણામ છે. આ ઉપરાંત રેવેન્યૂ ડેફિસિટિ ગ્રાન્ટ બંધ થવાથી રાજ્ય પર વધારાનો બોજ વધ્યો છે. જો આપણે આ પડકારોમાંથી બહાર નીકળવું હોય તો તમામે યોગદાન આપવું પડશે.’
આ પણ વાંચો : ‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર


