Get The App

‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર 1 - image

UAE On Indian Citizens Safety Amid Middle East War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ઉભી થયેલી ભયાનક પરિસ્થિતિ વચ્ચે સંયુક્ત આરબ અમીરાતે ભારતને મજબૂત સંબંધોનો સંદેશ આપ્યો છે. આજે ઈદના પર્વે ભારતમાં યુએઈના રાજદૂત અબ્દૂલ નાસિર અલશાલીએ ભારત સરકારને પત્ર લખીને યુદ્ધની સ્થિતિ, યુએઈમાં ભારતીયોની સલામતી અને ભારત-યુએઈના સંબંધોની સંપૂર્ણ માહિતી આપી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, વર્તમાન તણાવ અને હુમલાઓ છતાં યુએઈ સંપૂર્ણ સુરક્ષિત, સ્થિર છે અને સામાન્ય રીતે કામ ચાલી રહ્યું છે. તેમણે યુએઈમાં વસતા ભારતીયોને વિશ્વાસ આપ્યો છે કે, યુદ્ધ છતાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈપણ અડચણ વગર સુરક્ષા, સેવાઓ અને વેપાર યથાવત્ રાખવાની ખાતરી આપી છે.

ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ UAE અડીખમ

યુએઈના રાજદૂતે પત્ર લખીને પોતે સંપૂર્ણ  તૈયારી હોવાના સંકેત આપવાની સાથે ભારત-યુએઈ વચ્ચે ભાગીદારીના મજબૂત સંબંધો અને અતૂટ વિશ્વાસ હોવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ઈરાને યુએઈ પર 2000થી વધુ મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા છે, જોકે યુએઈની સંરક્ષણ સિસ્ટમે મોટાભાગની મિસાઈલો તોડી પાડી છે. આવી પરિસ્થિતિ છતાં દેશમાં વીજળી, પાણી, આરોગ્ય, ખાણી-પીણી જેવી જીવન જરૂરી સેવાએ કોઈપણ અડચણ વખત ચાલી રહી છે. હોટલ, મૉલ, પ્રવાસી સ્થલો અને બેન્કિંગ વ્યવસ્થા પણ સામાન્ય રીતે કામ કરી રહી છે.

આ પણ વાંચો : હોર્મુઝમાં ટ્રમ્પે હાર સ્વીકારી? કહ્યું- જેમના જહાજ હોય તે દેશ રક્ષા કરે, જરૂર પડે તો મદદ કરીશ

અમારા દેશમાં રહેતા ભારતીયો વિકાસમાં યોગદાન આપે છે : UAE

તેમણે એવું પણ કહ્યું કે, ‘યુએઈમાં રહેતા ભારતીયો માત્ર પ્રવાસી નથી, પરંતુ તેઓ અમારા દેશનો મહત્ત્વનો ભાગ છે. તેઓ અહીં કામ કરે છે, પરિવાર વસાવે છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે. અનેક ભારતીયો માટે યુએઈ માત્ર કામનું સ્થળ નહીં, પરંતુ તેમના ઘર જેવું બની ગયું છે. વર્તમાન સ્થિતિ વચ્ચે ભારત સરકાર સતત અમારા સંપર્કમાં છે અને ભારતીયોની સુરક્ષા માટે ગંભીર છે.’

ભારત અને યુએઈ વચ્ચે વેપાર સંબંધ

ભારત અને યુએઈ વચ્ચે વેપારમાં મજબૂત સંબંધો છે. બંને દેશો વચ્ચે 100 અબજ ડૉલરથી વધુને વેપાર થાય છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે જે CEPA સમજૂતી થઈ છે, તેનાથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 18 માર્ચે યુએઈના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (United Arab Emirates President Sheikh Mohamed bin Zayed Al Nahyan) સાથે ફોન પર વાત કરી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. બંને નેતાઓએ હોર્મુઝ જલડમરૂમધ્યમાં પસાર થતો સપ્લાય ચેન સુરક્ષિત રહે તે મુદ્દે ભાર આપ્યો હતો.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની વહારે આવ્યું ભારત! પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં 400 મોત બાદ મોકલી 'સંજીવની'