ગુજરાત સહિત 3 રાજ્યોમાં પેનિક બાઇંગ, સમીક્ષા કરે રાજ્ય સરકાર: પેટ્રોલ પંપો પર કતાર પર કેન્દ્રનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Petroleum Ministry On Petrol-Diesel : દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પ્રભાવિત થવાની અફવાઓને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં આ સમસ્યા જોવા મળી છે, જ્યાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. લોકો આગામી દિવસો માટે ઇંધણનો સંગ્રહ કરવાના હેતુથી ગેરેજ, ગેલોન, બોટલો અને મોટા કન્ટેનર લઈને પંપ પર પહોંચી રહ્યા છે. અફવાઓના કારણે અચાનક માંગ વધી જતાં કેટલાક પંપો પર ઇંધણ ખૂટી ગયું છે, જેના લીધે ટ્રાન્સપોર્ટ અને રોજિંદા કામકાજ પર અસર પડી છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી : પેટ્રોલિયમ મંત્રાલય
આ પરિસ્થિતિ વચ્ચે સરકાર વતી પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ સત્તાવાર માહિતી શેર કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હાલમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી, પરંતુ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ગભરાહટના કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ ખરીદી (પેનિક બાઇંગ) કરી રહ્યા છે.
આ પણ વાંચો : 102 રૂપિયામાં 378 લિટર પેટ્રોલ ! જાણો ભાવ વધારાનો રસપ્રદ ઈતિહાસ
અચાનક કેમ વધી માંગ? સરકારે આપ્યા 3 કારણો
મંત્રાલયના સચિવે આ સ્થિતિ પાછળના મુખ્ય કારણો દર્શાવતા જણાવ્યું છે કે, (1) કેટલાક વિસ્તારોમાં ખેતીવાડીની માંગ વધારે છે, એટલે કે લોકો ખેતરના કામ માટે મોટા પ્રમાણમાં ડીઝલ ખરીદી રહ્યા છે. (2) ઘણા લોકો ખૂબ મોટા જથ્થામાં ખરીદી કરી રહ્યા છે. (3) કેટલાક પ્રાઇવેટ સપ્લાયર્સ હતા, તેમની ડિમાન્ડ પણ હવે પબ્લિક સેક્ટરની (સરકારી) તેલ કંપનીઓ અને પેટ્રોલ પંપો પર શિફ્ટ થઈ ગઈ છે.
મંત્રાલય અને વહીવટી તંત્ર સતત મોનિટરિંગ હેઠળ
સુજાતા શર્માએ જણાવ્યું કેસ આ સ્થિતિને પહોંચી વળવા માટે મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત વાતચીત કરી રહ્યું છે અને એજન્સીઓ સાથે મળીને કમી પૂરી કરવાના પ્રયાસો ચાલુ છે. મંત્રાલય સ્તરેથી દરેક રીટેલ આઉટલેટ એટલે કે એક-એક પેટ્રોલ પંપ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સપ્લાયની સ્થિતિ પર કડક નજર રખાઈ રહી છે જેથી જ્યાં પણ ઇંધણ ઓછું હોય ત્યાં તાત્કાલિક સ્ટોક ફરી ભરી શકાય અને લોકોને કોઈ તકલીફ ન પડે. તંત્ર દ્વારા લોકોને ગભરાઈને વધારાનું ઇંધણ ન ખરીદવા અપીલ કરવામાં આવી છે.









