Exit Polls : પશ્ચિમ બંગાળમાં આજે 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. આ પહેલા આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હવે બંગાળ સહિત ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી ચૂંટણીનું પરિણામ ચોથી મેના રોજ જાહેર કરવામાં આવશે. જોકે પરિણામ પહેલા સર્વે એજન્સીઓએ ચૂંટણીના એક્ઝિટ પોલના તારણો જાહેર કરી દીધા છે.
એક્ઝિટ પોલ એ મતદાન પછી તરત જ કરવામાં આવતા સર્વેક્ષણો છે, જેમાં મતદારોને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે અને સર્વે એજન્સીઓ આ આધારે સંભવિત પરિણામોનું અનુમાન લગાવે છે. સર્વે એજન્સી એક્સિસ માય ઈન્ડિયાએ પણ આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના પરિણામે લઈને એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળ ચૂંટણીનું એક્ઝિટ પોલ 30 એપ્રિલે જાહેર કરશે.
આસામમાં CM પદ માટે હિમંત પહેલી પસંદ
આ એજન્સીએ ચાર રાજ્યોમાં કોની પાર્ટી કે ગઠબંધનની સરકાર બનશે અને લોકો કોને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે, તેનો પણ સર્વે ક્યો છે. આ સર્વે મુજબ 42 ટકા લોકો આસામમાં હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, જ્યારે 32 ટકા લોકોએ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈને પસંદ કર્યા છે. એજન્સીના એક્ઝિટ પોલ મુજબ, આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળની NDA જીતની હેટ્રિક લગાવી શકે છે. એનડીએને 88-100 બેઠકો, કોંગ્રેસને 24-36 બેઠકો અને અન્યને 0-3 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
• આસામની 126 વિધાનસભા બેઠકો માટે 9મી એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાયું હતું, જેનું ચોથી મેએ પરિણામ જાહેર થશે. આસામમાં 2016થી NDA સત્તામાં છે.

આ પણ વાંચો : બંગાળ સહિત 5 રાજ્યોમાં કોની સરકાર બનશે? જાણો એક્ઝિટ પોલના તારણો
કેરળમાં CM પદ માટે વિજય પહેલી પસંદ
જ્યારે 33 ટકા લોકો કેરળમાં પિનરાઈ વિજયને અને 22 ટકા લોકો કોંગ્રેસ નેતા વી.ડી.સતીશનને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જોકે એક્ઝિટ પોલના તારણો મુજબ CM વિજયન સત્તા ગુમાવી શકે છે. અહીં કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સત્તામાં પરત ફરવાની અને વિજયનની પાર્ટી CPIMના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ની હાર થવાની સંભાવના છે. પરિણામોમાં યુડીએફને 78-90, એલડીએફને 49-62 અને અન્યને 0-3 બેઠકો મળવાનું અનુમાન છે.
• કેરળની 140 વિધાનસભા બેઠકો માટે 9મી એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાયું હતું, જેનું ચોથી મેએ પરિણામ જાહેર થશે. પિનરાઈ વિજયન છેલ્લી બે રાજ્યની સત્તા સંભાળી રહ્યા છે.

તમિલનાડુમાં મોટો ઉલટભેર, અભિનેતા થલપતિ વિજયની ધમાકેદાર એન્ટ્રી
એજન્સીના સર્વે મુજબ તમિલનાડુમાં મોટો ઉપલફેર થઈ શકે છે. અહીં અભિનેતાથી નેતા બનેલા થલપતિ વિજયનનો જાદુ ચાલવાની શક્યતા છે. તારણો મુજબ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમે (TVK) પહેલીવાર ચૂંટણી લડી છે, જેમાં તેને 98-120, એમ.કે.સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) પાર્ટીને 92-110 અને અન્ના દ્રમુક (AIADMK)ને 22થી 32 બેઠકો મળવાની સંભાવના છે.
• તમિલનાડુની 234 વિધાનસભા બેઠકો માટે 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાયું હતું, જેનું ચોથી મેએ પરિણામ જાહેર થશે. એમ.કે.સ્ટાલિન રાજ્યના સીએમ તરીકે 7 મે-2021થી સત્તા સંભાળી રહ્યા છે.
તમિલનાડુમાં મુખ્યમંત્રી પસંદગીની વાત કરીએ તો એજન્સીના સર્વે મુજબ વિજય સ્ટાલિનથી આગળ છે. 37 ટકા લોકો વિજયને, 35 ટકા લોકો સ્ટાલિનને અને 22 ટકા લોકો AIADMKના નેતા પલાનીસ્વામીને મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.

પુડુચેરી : CM પદ માટે 42% લોકોને રંગાસ્વામી તો 17% લોકોને વિજય પસંદ
પુડુચેરીમાં ઑલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની સરકાર બનવાની સંભાવના છે. એનડીએને 16થી 20, ડીએમકે-ઈન્ડિ ગઠબંધનને 6થી 8 અને અન્યને 3થી 7 બેઠકો મળી શકે છે. સર્વે મુજબ મુખ્યમંત્રી પદ માટે 42 ટકા લોકો ઑલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન.રંગાસ્વામીને તો 17 ટકા લોકો ટીવીકેના પ્રમુખ વિજયને પસંદ કર્યા છે.

આ પણ વાંચો : હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો


